
4 ફેબ્રુઆરીએ દેશ સહિત વિશ્વભરમાં વેલેન્ટાઈન્સ ડેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેરના રેસકોર્સ ખાતે આવેલા લવ ગાર્ડનમાં પોતાના ચાહિતાઓને મળવા માટે પ્રેમી પંખીડાઓ આવ્યા હતા. અનેક વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ શાળા છોડીને લવ ગાર્ડનમાં પહોંચ્યા હતા. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરો રેસકોર્સના આ ગાર્ડનમાં પહોંચ્યા હતા અને અહીં પહોંચી જય શ્રીરામનો સૂત્રોચ્ચાર કર્યો હતો.
ગાર્ડનમાં અચાનક VHP અને બજરંગ દળના કાર્યકરો ઘૂસી આવ્યા હતા, જેને જોઈ પ્રેમી પંખીડાઓએ લવ ગાર્ડનથી ફુર..ર.. થઈ ગયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા કેટલાક યુવાનોને સનાતન સંસ્કૃતિ શું છે તે સહિતના પાઠ ભણાવ્યા હતા.

VHPના આગેવાને જણાવ્યું હતું કે યુવક-યુવતીએ ઘરેથી ખોટું બોલી અહીં આવે છે. વેલેન્ટાઈન ડે, રોઝ ડે, પ્રોમિસ ડે ન ઊજવવા જોઈએ. આજના દિવસે ઘરે માતા-પિતાનું પૂજન કરવું જોઈએ. VHPના કાર્યકર પરેશ રાવલે જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે પુલવામાં હુમલાના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજની પેઢી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી ગઈ છે. વેલેન્ટાઈન ડે અને રોઝ ડેની ઉજવણી કરી રહી છે. આજના દિવસે માતૃ-પિતૃ પૂજન સહિતના કાર્યક્રમો કરવા જોઈએ. યુવક-યુવતીઓ ઘરેથી ખોટું કહીને અહીં ગાર્ડનમાં આવે છે અને ખોટા કામ કરે છે. તેને અટકાવવા માટે અમે આવ્યા છીએ.
તેમણે જણાવ્યું હતું કે વાલીઓએ પણ જાગ્રૃત થવાની જરૂર છે. વિદ્યાર્થીઓ ઘરેથી સ્કૂલ અને કોલેજ જવાનું કહી નીકળતા હોય છે અને ત્યાર બાદ રાંસ્ટોરાં કે ગાર્ડનમાં જતા હોય છે અને અંગત પળો માણતા હોય છે. આ સનાતન સંસ્કૃતિ વિરુદ્ધ છે, જેથી અમે અહીં રેસકોર્સ મેદાનમાં એકત્ર થયા છીએ. આ દરમિયાન જય શ્રીરામ અને પશ્ચિમી સંસ્કૃતિનો નાશ કરોના નારા લગાવવામાં આવ્યા હતા.

આ મામલે રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ સેક્રેટરી વિનય કારીયાએ જણાવ્યું હતું કે, 14 ફેબ્રુઆરીને ભારત આખું પુલવામા હુમલાની યાદગીરીમાં બ્લેક ડે તરીકે માની રહ્યું છે, જોકે આજની યુવા પેઢી આને ભૂલીને ઘણા બધા ફટકેલા યુવાનો વેલેન્ટાઈન ડે બનાવે છે. જે અયોગ્ય છે. વેલેન્ટાઈન્સ ડે એ પશ્ચિમી સંસ્કૃતિનો તહેવાર છે. આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા નથી, આપણી સંસ્કૃતિ આખા વિશ્વનું નેતૃત્વ કરતી આવી છે. જેથી આપણે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આપણે ન કરવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આના વિરોધમાં આજે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સક્રિય છે, અને જ્યાં પણ આપણી સંસ્કૃતિ વિરુદ્ધ કૃત્ય થતું જણાશે તો અમે પોલીસ સાથે કાયદેસરની કાર્યવાહી કરીશું, સાથે જ અમે (VHP) રાજકોટના તમામ યુવાનો આજના દિવસને વેલેન્ટાઈન્સ ડે નહીં, પરંતુ માતૃ-પિતૃ દિનની ઉજવણી કરે તેવી અપીલ કરીએ છીએ.
