fbpx

હાઈ કોર્ટે હિન્દુ દંપતીને સોંપી મુસ્લિમ છોકરી, કહ્યું- ‘ધર્મથી ઉપર ભલાઈ…’

Spread the love

હાઈ કોર્ટે હિન્દુ દંપતીને સોંપી મુસ્લિમ છોકરી, કહ્યું- ‘ધર્મથી ઉપર ભલાઈ...’

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે એક સગીર મુસ્લિમ છોકરીનો ઉછેર એક હિન્દુ દંપતીને સોંપ્યો છે. કોર્ટે બાળકના કલ્યાણને ધર્મથી ઉપર માનતા આ ચૂકાદો આપ્યો છે. આ અગાઉ, એક ફેમિલી કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી, કારણ કે બાળક એક છોકરી હતી અને દંપતી તેના માટે ‘અજાણ્યા’ હતા. જોકે, મદ્રાસ હાઈકોર્ટે તે આદેશને રદ કરી દીધો.

બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, એસ. બાલાજીએ તેની પત્ની સાથે મળીને બાળકીના કાયદાકીય વાલી બનવા માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે તેમની અપીલ મંજૂર કરી. ન્યાયાધીશ એન. આનંદ વેંકટેશ અને ન્યાયાધીશ કે.કે. રામકૃષ્ણનની ડિવિઝન બેન્ચે કહ્યું કે બાળકની ભલાઈ ધર્મ કરતા વધુ મહત્ત્વની છે. કોર્ટે જણાવ્યું હતું કે, ‘કોર્ટે જે સૌથી મહત્ત્વપૂર્ણ વાત પર ધ્યાન આપવું જોઇએ તે છે, બાળકની ભલાઈ. આ ઉપરાંત, કોર્ટે સગીરની ઉંમર, લિંગ અને ધર્મ અને સાથે જ વાલીના ચરિત્ર અને યોગ્યતાને પણ ધ્યાનમાં લેવી જોઈએ.’

શું છે મામલો?

આ દંપતીનું કોઇ સંતાન નહોતું અને તેઓ છોકરીની માતાને એક દાયકાથી વધુ સમયથી ઓળખતા હતા. બાળકીની માતા એક દૈનિક મજૂર હતી, તેના પતિના નિધન પછી તેના બે બાળકોનો ઉછેર કરવા માટે સંઘર્ષ કરી રહી હતી. તેના ત્રીજા બાળકના જન્મ બાદ જ તેણે ત્રીજું સંતાન પોતાની મરજીથી આ હિન્દુ દંપતીને સોંપી દીધું હતું. ત્યારબાદ દંપતીએ વાલીપણાની વ્યવસ્થાને ઔપચારિક બનાવવા માટે મદુરાઈની ફેમિલી કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

ફેમિલી કોર્ટે 29 સપ્ટેમ્બર, 2025ના રોજ અરજી ફગાવી દીધી. જો કે, કોર્ટે તેના આદેશમાં એ પણ લખ્યું હતું કે બિન-મુસ્લિમને વાલી તરીકે નિયુક્ત કરવાથી અટકાવવામાં કોઈ કાયદાકીય અવરોધ નથી. તેમ છતા કોર્ટે અરજીને એ આધાર પર ફગાવી દીધી કે બાળકી એક છોકરી હતી અને દંપતી તેના માટે ‘અજાણ્યા’ હતા. ત્યારબાદ, દંપતીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

હાઇકોર્ટે શું કહ્યું?

બેન્ચે બંને પક્ષો સાથે વાતચીત કરી અને દંપતી સાથે બાળકના સંબંધ પર ભાર આપ્યો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, ‘બાળક અપીલકર્તાને ‘પિતા’ અને તેની પત્નીને ‘માતા’ કહીને બોલાવી રહી હતી, જ્યારે બાળકી તેની અસલી માતાને ‘આંટી’ કહીને સંબોધી રહી હતી’

હાઇકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ્સ એક્ટ, 1890 કોઈ ધાર્મિક પ્રતિબંધો લાદતો નથી. સગીર બાળકનો વાલી બનવા ઇચ્છુક કોઈપણ વ્યક્તિ અરજી દાખલ કરી શકે છે. એટલે કોર્ટે અપીલને મંજૂરી આપી અને દંપતીને બાળકના કાયદાકીય વાલી તરીકે નિયુક્ત કર્યા.

Leave a Reply

error: Content is protected !!