
રિયાલિટી શો ‘લોકઅપ’ અને નેટફ્લિક્સ ફિલ્મ ‘થાર’માં જોવા મળેલી જાણીતી અભિનેત્રી મંદાના કરીમીએ સત્તાવાર રીતે ભારત છોડવાની જાહેરાત કરી છે. મંદાનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ‘Ask Me Anything’ (AMA) સેશન દરમિયાન ચાહકો સાથે આ મુશ્કેલ નિર્ણયની વિગતો શેર કરી હતી.
જ્યારે એક ચાહકે પૂછ્યું કે શું તેણે મુંબઈ કાયમ માટે છોડી દીધું છે અને શું તે આ શહેરને યાદ કરશે? ત્યારે મંદાનાએ એરપોર્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે કહ્યું, મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે હું આવું કહી શકીશ, પણ ગુડબાય ઇન્ડિયા. તેણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ખૂબ જ મુશ્કેલ છે. ભારતમાં લગભગ 16 વર્ષ રહ્યા પછી, આખરે હું મારા બીજા ઘરને પાછળ છોડી રહી છું. હવે નવા દેશમાં, નવા ઘર સાથે એક નવી શરૂઆત થશે.
શા માટે છોડવું પડ્યું ભારત? સુરક્ષાના કારણોનો ખુલાસો
મંદાનાએ અગાઉ એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તે સુરક્ષાના કારણોસર ભારત છોડવાનું વિચારી રહી છે. જ્યારે ગંભીરતાથી પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, હા, હું સુરક્ષાના કારણોસર જઈ રહી છું. જ્યાં સુધી હું બહાર ન નીકળી જાઉં ત્યાં સુધી હું વધુ વિગતો આપી શકું તેમ નથી.

ભારત છોડવા પાછળના કારણો આપતા તેણે કહ્યું ભારતમાં રહીને ઈરાનમાં ચાલી રહેલી પરિસ્થિતિ અને વાસ્તવિકતા વિશે સતત અવાજ ઉઠાવતી રહી છું. તેણે ઈરાની અધિકારીઓની ભૂલોને જાહેરમાં પડકારી હતી અને તે ક્યારેય હાર માનવા તૈયાર નહોતી. મંદાનાએ કહ્યું કે તે વર્ષોથી ભારતમાં રહીને આ લડાઈ લડી રહી હતી, પરંતુ હવે તેને અહીં રહેવાનો કોઈ અર્થ દેખાતો નથી.
મંદાનાએ એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો હતો કે તેને ભારતમાં સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું આ સમય દરમિયાન તેને કોઈનું સમર્થન મળ્યું? તો તેણે નિરાશા સાથે જવાબ આપ્યો હતો. ના, કોઈનું નહીં. ન તો મિત્રોનું, ન સરકારનું કે ન મીડિયાનું. તેથી જ હવે અહીં ઘર જેવું લાગતું નથી. આ ખૂબ જ કપરું રહ્યું છે, પરંતુ મેં જે કર્યું તે બધું ઈરાન અને મારા લોકોના નામે છે. જો મને કોઈ ટેકો ન મળે તો પણ હું આ ફરીથી કરીશ.

મંદાના કરીમી લાંબા સમયથી ભારતીય મનોરંજન જગતનો ભાગ રહી છે. તે છેલ્લે નેટફ્લિક્સની ફિલ્મ ‘થાર’માં જોવા મળી હતી. આ ઉપરાંત તે ‘બિગ બોસ’ અને ‘લોકઅપ’ જેવા પ્રખ્યાત શો દ્વારા ઘર-ઘરમાં જાણીતી બની હતી. તેના આ અચાનક નિર્ણયથી તેના ચાહકો આશ્ચર્યચકિત અને દુખી છે.