
કેન્દ્ર સરકારે નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 18માં સુધારો કર્યો છે, અને નવા નાગરિકતા (સુધારા) નિયમો, 2026 પ્રકાશિત કર્યા છે. 2009ના નિયમોના શેડ્યૂલ ICમાં એક નવો ફકરો (iiiA) પણ ઉમેરવામાં આવ્યો છે, જે હેઠળ ભારતીય નાગરિકતા મેળવવા માટે બને પાસપોર્ટ સરેન્ડર કરવાની શરત જોડવામાં આવી છે.
નવા નિયમો અનુસાર, ભારતીય નાગરિકતા માટે અરજી કરનાર વ્યક્તિએ તેમના પાસપોર્ટ સંબંધિત વિગતો પ્રદાન કરવી પડશે. અરજદારે જાહેર કરવું જરૂરી છે કે તેમની પાસે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા બાંગ્લાદેશના પાસપોર્ટ છે કે નહીં. જો તેમની પાસે આ ત્રણમાંથી કોઈપણ દેશનો પાસપોર્ટ છે, તો તેમણે સ્પષ્ટ કરવું પડશે છે કે તે હાલમાં વેલિડ અને એક્ટિવ છે કે નહીં, અથવા તે સમાપ્ત થઈ ગયો છે.

નવા નિયમો અનુસાર, જો કોઈ અરજદાર આ ત્રણ રાષ્ટ્રોમાંથી કોઈપણ એકનો પાસપોર્ટ ધરાવે છે, તો તેણે તે પાસપોર્ટ સંબંધિત સંપૂર્ણ વિગતો આપવી પડશે. જેમાં પાસપોર્ટ નંબર, પાસપોર્ટ જાહેર થવાની તારીખ, પાસપોર્ટ જાહેર થવાનું સ્થળ અને સમાપ્તિ તારીખ સહિત અન્ય વિગતોનો સમાવેશ થાય છે. અરજી ફોર્મ સાથે આ માહિતી આપવી હવે ફરજિયાત છે.
નવા નિયમો હેઠળ, અરજદારોએ ભારતીય નાગરિકતા માટેની અરજી સ્વીકારાયાના 15 દિવસની અંદર તેમના વિદેશી પાસપોર્ટ સરેન્ડર કરવા પડશે. આ માટે, અરજદારોએ સંબંધિત સીનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ અથવા સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા માટેની લેખિત સહમતિ આપવી પડશે; ત્યારબાદ અરજીને ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવશે.

ગૃહ મંત્રાલય અનુસાર, આ નવા નાગરિકતા નિયમો પાછળનો ઉદ્દેશ્ય નાગરિકતા સંબંધિત બાબતોમાં ચકાસણી પ્રક્રિયાને મજબૂત બનાવવા અને રેકોર્ડ મેન્ટેનેન્સને મજબૂત કરવાનો છે. આ મહિનાની શરૂઆતમાં, નાગરિકતા (સુધારા) નિયમો 2026, ઔપચારિક રીતે સૂચિત કરવામાં આવ્યા હતા; જે હેઠળ ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (e-OCI) કાર્ડની શરૂઆત કરવામાં આવી અને અરજી પ્રક્રિયાને ડિજિટાઇઝ કરી દેવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે સગીરો દ્વારા ડ્યૂઅલ પાસપોર્ટ રાખવાના નિયમોને પણ વધુ કડક બનાવવામાં આવ્યા છે. ફિઝિકલ અને પેપર પ્રોસેસ ખતમ કરીને, e-OCI કાર્ડ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો પાસપોર્ટ અરજદારોએ હવે તેમના બાયોમેટ્રિક ડેટા શેર કરવા માટે સંમતિ આપવી પડશે, જેથી તેમને ફાસ્ટ-ટ્રેક ઇમિગ્રેશન પ્રોગ્રામનો હિસ્સો બનાવી શકાય અને ભવિષ્યમાં ઓટોમેટિક નોંધણીનો લાભ મેળવી શકે.