
તાજેતરમાં જ NEETની પરીક્ષાનું પેપર લીક થવાને લઈને ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી અને હવે નવેસરથી પરીક્ષા લેવામાં આવશે. એવામાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા યુવરાજ સિંહે મોટો દાવો કર્યો છે. તેમણે Re-NEET 2026 પેપર લીકના નામે ચાલી રહેલા મોટા સાયબર કૌભાંડનો આરોપ લગાવતા ચોંકાવનારા દાવા કર્યા છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘ટેલિગ્રામ પર કાર્યરત કેટલીક શંકાસ્પદ ચેનલો વિદ્યાર્થીઓ અને વાલીઓને ‘Re-NEET 2026નું પેપર લીક થઈ ગયું છે’ તેવી લાલચ આપી લાખો રૂપિયા પડાવી રહી છે.’

તેમના જણાવ્યા અનુસાર, એક પેપરનો ભાવ રૂપિયા 10 લાખ રાખવામાં આવ્યો છે અને ‘RENEET LEAKER’ સહિતની અનેક ટેલિગ્રામ ચેનલો દ્વારા અત્યાર સુધીમાં આશરે 7901 લોકો પાસેથી ₹5.74 કરોડથી વધુની રકમ વસૂલવામાં આવી હોવાનો પ્રાથમિક અંદાજ છે. યુવરાજસિંહે દાવો કર્યો હતો કે ‘રાઘવ સર’ નામનો શખ્સ આ સમગ્ર નેટવર્ક સંચાલિત કરી રહ્યો હોવાની શંકા છે અને ઉપલબ્ધ ઓડિયો રેકોર્ડિંગમાં તે અગાઉ પણ પેપર લીક કરાવ્યાની કબૂલાત કરતો સંભળાય રહ્યો છે.

યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, ‘આ સમગ્ર કૌભાંડમાં એક ધારાસભ્યની સંડોવણી હોવાના પણ એંધાણ મળી રહ્યા છે. ઓડિયો ક્લિપમાં ‘આ આખી સિસ્ટમ છે, કશું નહીં થાય’ જેવા શબ્દો બોલાતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.’ સાથે જ ટેલિગ્રામ ગ્રુપોમાં અનામત મુદ્દે ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓમાં જાતિવાદી દ્વેષ ફેલાવવાનો પ્રયાસ થતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ‘ટૂંક સમયમાં સ્ક્રીનશોટ, વીડિયો, ઓડિયો રેકોર્ડિંગ અને નાણાકીય વ્યવહારો સહિતના ડિજિટલ પુરાવાઓ મીડિયા અને તપાસ એજન્સીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે. સાથે જ સમગ્ર ટેલિગ્રામ નેટવર્કની સાયબર ફોરેન્સિક તપાસ, UPI ID અને ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ટ્રેલની તપાસ કરી સંડોવાયેલા ખાતાઓ સીઝ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.’

AAP નેતાએ ‘રાઘવ સર’ સહિત તમામ સંડોવાયેલા લોકોની ઓળખ જાહેર કરી તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, જો કોઈ રાજકીય વ્યક્તિ અથવા ધારાસભ્યની સંડોવણી સામે આવે તો વિશેષ તપાસ ટીમ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

AAP નેતા યુવરાજસિંહે @RENEETLEAKER, @RENEET_LEAKER, @RENEET_LEAKERS, @RENEET_PAPERLEAK, @NEET_HANDLER, @WASSPHERE અને @RAREOB જેવી ટેલિગ્રામ ચેનલોને શંકાસ્પદ ગણાવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને આવા ફ્રોડથી સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી હતી.