
2026ની આ IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) રિષભ પંત માટે એક દુઃસ્વપ્નથી ઓછી નહોતી રહી. રિષભ પંતનું ન તો બેટ ચાલ્યું કે ન તો તેની કેપ્ટનશીપ જોઈએ એટલી સારી રહી. હવે, એવું લાગે છે કે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) તેને છોડીને આગળ વધવાની તૈયારી કરી રહી છે. પંજાબ કિંગ્સ (PBKS) સામેની હાર પછી, LSG ફક્ત 8 પોઈન્ટ સાથે આ વર્તમાન IPL સીઝનમાંથી બહાર થઇ ગયું.

એ પછી તરત જ, ટીમના ક્રિકેટ ડિરેક્ટર, ટોમ મૂડીએ એક નિવેદન આપ્યું, જેણે રિષભ પંતની કેપ્ટનશીપ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા. ટોમ મૂડીએ સ્પષ્ટપણે સંકેત આપ્યો કે, ફ્રેન્ચાઇઝ હવે ટીમના નેતૃત્વ પર ગંભીરતાથી પુનર્વિચાર કરશે, અને આગામી સીઝન પહેલા ઘણા મોટા ફેરફારો શક્ય છે. આનો અર્થ એ છે કે સંજીવ ગોએન્કાની ટીમ, લખનઉ સુપર જાયન્ટ્સ, આગામી સીઝન પહેલા રિષભ પંત અંગે મોટો નિર્ણય લઈ શકે છે.
ગુજરાત પ્રવાસન માર્ગદર્શિકા
ટોમ મૂડીએ કહ્યું, ‘અમે આ આખી સીઝન વિશે શાંત મનથી વિચાર કરીશું. અમે અમારી ક્ષમતા મુજબ પ્રદર્શન કર્યું નથી. ભવિષ્યમાં ટીમનું નેતૃત્વ કેવું હશે તે અંગે અમારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. એવું લાગે છે કે, આપણને ફરીથી સેટ થવાની જરૂર છે.’ આનાથી સ્પષ્ટ થઇ જાય છે કે, LSG મેનેજમેન્ટ હવે ફક્ત ટીમ કોમ્બિનેશન પર જ નહીં પરંતુ કેપ્ટનશિપ મોડેલ પર પણ મોટો નિર્ણય લેવાના મૂડમાં છે.

રિષભ પંત IPL 2026ની આખી સીઝન દરમિયાન સંઘર્ષ કરતો નજરે આવ્યો હતો. તેની બેટિંગ કે કેપ્ટનશિપની મોટી મેચોમાં કોઈ પ્રભાવ પડ્યો નહીં. LSG પાસે અનુભવી વિદેશી ખેલાડીઓ, મેચ વિજેતા ભારતીય સ્ટાર્સ અને ઘણી સારી યુવા પ્રતિભાઓ હતી, પરંતુ ટીમ સમગ્ર સિઝન દરમિયાન વિખરાયેલી દેખાતી હતી. ઘણી મેચોમાં, કેપ્ટનશિપના નિર્ણયો પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા, અને ટીમ દબાણ હેઠળ તૂટી ગઈ હતી.

વધુ મહત્ત્વની વાત તો એ છે કે, રિષભ પંત પોતે પણ બેટ સાથે પોતાની લય શોધવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. રિષભ પંતે આ IPL સિઝનમાં 13 ઇનિંગ્સમાં 28.36ની સરેરાશથી 312 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તે ફક્ત બે વાર અડધી સદીનો આંકડો પાર કરવામાં સફળ રહ્યો. આ કારણે હવે તેનું સ્થાન અને કેપ્ટનશિપ બંને જોખમમાં છે. રિષભ પંતની મુશ્કેલીઓ ફક્ત IPL સુધી મર્યાદિત નથી. તાજેતરમાં જ તેને અફઘાનિસ્તાન શ્રેણી માટે ભારતની વ્હાઇટ-બોલ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત તેને ટેસ્ટ ક્રિકેટમાં પણ મોટો આંચકો લાગ્યો હતો. જ્યારે ભારતીય ટીમનું ઉપ-કપ્તાન KL રાહુલને સોંપવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, રાહુલ આ અગાઉ LSGનું નેતૃત્વ કરી ચુક્યો છે. LSGની ખરાબ સિઝન બાદ, સોશિયલ મીડિયા પર એ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે, શું LSG ફ્રેન્ચાઇઝ ફરીથી કોઈ અનુભવી ભારતીય કેપ્ટનની શોધ કરવા લાગી જશે?