
ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલના મોડેલને અનુસરીને સરકાર હવે ડીઝલ સાથે આઇસોબ્યૂટેનોલ ભેળવવાનું ફરજિયાત બનાવી શકે છે. આ સંદર્ભમાં સરકાર ટૂંક સમયમાં ટ્રક અને ટ્રેલર્સ માટે નવા નિયમો જારી કરે તેવી અપેક્ષા છે. મિન્ટના એક અહેવાલમાં જણાવાયું છે કે તાજેતરમાં (29 મેના રોજ), ઔદ્યોગિક સંસ્થા CII શિખર કાર્યક્રમમાં બોલતા માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે ટિપ્પણી કરી હતી કે આ વર્ષના અંત સુધીમાં દેશભરના તમામ પેટ્રોલ પંપ પર આઇસોબ્યૂટેનોલ-મિશ્રિત ડીઝલ વેચાણ માટે ઉપલબ્ધ થઈ શકે છે. કેન્દ્ર સરકાર આ પહેલ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.
તેમણે કહ્યું કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) હાલમાં ડીઝલ સાથે આઇસોબ્યૂટેનોલ ભેળવવા પર સંશોધન કરી રહી છે. અત્યાર સુધી મળેલા પરિણામો ખૂબ જ ઉત્સાહજનક છે. એવી પ્રબળ સંભાવના છે કે આ વર્ષના અંત સુધીમાં ડીઝલ સાથે આઇસોબ્યૂટેનોલ ભેળવવાનો આદેશ અમલમાં આવશે. ડીઝલનો વપરાશ પેટ્રોલ કરતા લગભગ બમણો છે. તેમણે કહ્યું કે, આ કારણે ડીઝલમાં આઇસોબ્યૂટેનોલનું મિશ્રણ કરવાથી ખૂબ ફાયદા થશે.

અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI)ને ડીઝલના વિકલ્પ તરીકે 100% સુધી આઇસોબ્યૂટેનોલ પર ચાલી શકે તેવા ફ્લેક્સ-ફ્યૂઅલ એન્જિન પર અભ્યાસ કરવા માટે પણ કામ સોંપ્યું છે.
આઇસોબ્યુટેનોલ શું છે?
આઇસોબ્યૂટેનોલ એ એક બાયોફ્યૂલ પ્રક્રિયા દ્વારા ઇથેનોલમાંથી ઉત્પાદિત કરવામાં આવે છે. એવું જણાવવામાં આવે છે કે, ઇથેનોલની તુલનામાં, આઇસોબ્યૂટેનોલ સાથે મિશ્રિત ઇંધણ વધુ સારી એવરેજ આપે છે અને વાહનના સ્પેરપાર્ટ્સમાં ઓછું નુકસાન થાય છે.

પ્રારંભિક પરીક્ષણોમાંથી મળેલા ડેટા સૂચવે છે કે આઇસોબ્યૂટેનોલનું મિશ્રણ ડીઝલ વાહનોમાંથી થતું પ્રદૂષણ ઘણી હદ સુધી ઘટાડે છે. તો, તે વાહનના એવરેજ અથવા તેના પ્રદર્શન પર કોઇ પ્રકારનો ફેરફાર થતો નથી. તો, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું હતું કે દિલ્હીને ફરીદાબાદ અને નોઇડા સાથે જોડતા રૂટ પર તાજેતરમાં હાઇડ્રોજન સંચાલિત જાહેર બસો શરૂ કરવામાં આવી છે.
હાઇડ્રોજન રિફ્યૂઅલિંગ સ્ટેશનો પહેલાથી જ સ્થાપિત થઈ ગયા છે. આ બસો રિફ્યૂઅલિંગની જરૂર પડે તે પહેલાં 450 કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે. એટલે, દિલ્હી-મુંબઈ કોરિડોરને સંભવિત રીતે 3 રિફ્યૂઅલિંગ સ્ટેશનોની જરૂર પડી શકે છે.