
કેરળમાં એક રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન દરમિયાન મુસ્લિમ લીગના મહિલા ધારાસભ્ય ફાતિમા તહલિયા દ્વારા પરંપરાગત દીવો પ્રગટાવવાની ઘટનાએ ચર્ચા જગાવી છે. આ ઘટના બાદ એવી ચર્ચા શરૂ થઇ ગઇ છે કે મુસ્લિમ પરંપરાગત દીવો પ્રગટાવી શકે છે કે નહીં. સુન્ની ધાર્મિક સંગઠન સમસ્તાએ આ બાબતનો વિરોધ નોંધાવ્યો છે. અહેવાલો દર્શાવે છે કે મુસ્લિમ લીગના પ્રથમ મહિલા ધારાસભ્ય ફાતિમા તહલિયાએ તેમના મતવિસ્તાર પેરામ્બ્રામાં રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન સમારોહમાં પરંપરાગત દીવો પ્રગટાવ્યો હતો. આ કાર્યક્રમના ફોટા અને વિગતો સામે આવ્યા પછી, આ મુદ્દો સામાજિક અને ધાર્મિક સ્તરે આ ચર્ચા શરૂ થઇ ગઇ છે.

આ ઘટનાનો જવાબ આપતા સમસ્તાએ જણાવ્યું હતું કે મુસ્લિમોએ એવા કાર્યોથી દૂર રહેવું જોઈએ જે ઇસ્લામિક ઉપદેશો પર આધારિત ન હોય અને અન્ય ધર્મોના ધાર્મિક વિધિઓનો ભાગ માનવામાં આવે છે. દીપ પ્રગટાવવાના સમારોહ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સંગઠને આ ટિપ્પણી કરી. સમસ્તાનું કહેવું કે દીવો પ્રગટાવવાની પરંપરા અન્ય ધર્મોના લોકો તેમના ધાર્મિક રીત-રિવાજોના ભાગ રૂપે નીભાવે છે. કે જો કોઈ મુસ્લિમ આવા ધાર્મિક પ્રતિકો અથવા ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે, તો તે ગંભીર ધાર્મિક પ્રશ્નો ઉભા કરી શકે છે.
જોકે, સમસ્તાએ તેના નિવેદનમાં એક મહત્ત્વપૂર્ણ વાત પણ સ્પષ્ટ કરી. સંગઠને કહ્યું હતું કે જો દીવો ફક્ત પ્રકાશના હેતુ માટે પ્રગટાવવામાં આવે છે અને ધાર્મિક વિધિઓ અથવા ધાર્મિક લાગણીઓ સાથે કોઈ સંબંધ નથી તો તેને અલગ રીતે જોઈ શકાય છે અને આવા કિસ્સાઓમાં સ્વીકાર્ય ગણી શકાય છે. ફાતિમા તહલિયાના દીપ પ્રાગટ્યથી શરૂ થયેલી ચર્ચા ધાર્મિક અને સામાજિક ક્ષેત્રોમાં ચર્ચાનો વિષય બની રહી છે.

જ્યારે સમસ્તા પોતાનો વાંધો ઉઠાવ્યો છે, ત્યારે બીજી તરફ મુદ્દો એ વાતને લઇને પણ ચર્ચામાં છે કે જાહેર કાર્યક્રમોમાં પરંપરાગત પ્રતિકો અને ધાર્મિક માન્યતાઓ વચ્ચે સંતુલન જાળવવામાં આવે. સમસ્તાના નિવેદન બાદ ચર્ચા વધુ તીવ્ર બની છે; વિવાદનો મૂળ એ છે કે જાહેર કાર્યક્રમમાં દીવો પ્રગટાવવાની પરંપરાને કયા દૃષ્ટિકોણથી જોવામાં આવે અને ધાર્મિક દૃષ્ટિકોણથી તેનું કેવું અર્થઘટન કરવામાં આવે છે.