પ્રાંતિજમાં વીજ તંત્રની ઘોર બેદરકારીથી જનતા ત્રાહિમામ
- દિવસમાં પાંચ-પાંચ વખત વીજળી ગુલ
- કાળઝાળ ગરમીમાં લોકોનો ધીરજનો બંધ તૂટ્યો, ઉગ્ર આંદોલનની ચેતવણી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ શહેરમાં વીજ પુરવઠાની સતત ખોરવાયેલી વ્યવસ્થાના કારણે લોકોનો રોષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દિવસ દરમિયાન ચારથી પાંચ વખત અચાનક વીજળી ગુલ થઈ જવાની ઘટના સામાન્ય બની ગઈ છે એક તરફ અસહ્ય ગરમી અને બીજી તરફ વીજ કંપનીની નિષ્ક્રિયતા વચ્ચે શહેરવાસીઓ નરક સમાન પરિસ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યા છે

તાજેતરમાં વીજ કંપની દ્વારા પ્રી-મોન્સૂન મેન્ટેનન્સના નામે કલાકો સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો પરંતુ કરોડો રૂપિયાના આ કહેવાતા મેન્ટેનન્સ બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી ઉલટાનું પાવર કટની સમસ્યા વધુ ગંભીર બની છે જેના કારણે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો મેન્ટેનન્સ કરવામાં આવ્યું હતું તો રોજિંદા વીજ વિક્ષેપો શા માટે સર્જાઈ રહ્યા છે? પ્રાંતિજના બજાર વિસ્તાર, મોટોમાડ, ખોડીયાર કુવા, લાલ દરવાજા સહિતના અનેક વિસ્તારોમાં દિવસભર વીજળી ગુલ થવાના બનાવો વધી રહ્યા છે વેપારીઓના ધંધા-રોજગાર પર માઠી અસર પડી રહી છે જ્યારે ઘરોમાં પંખા, એસી અને કૂલર માત્ર શોભાના સાધનો બની રહ્યા છેવૃદ્ધો, બાળકો અને દર્દીઓ સૌથી વધુ પરેશાનઅસહ્ય ગરમી અને બફારાના કારણે નાના બાળકો, વૃદ્ધો તથા બીમાર લોકોની હાલત કફોડી બની ગઈ છે અનેક ઘરોમાં વીજળીના અભાવે રાત્રી દરમિયાન પણ લોકો ઊંઘી શકતા નથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધવાનો ભય પણ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે
ફરિયાદ કરવા જાઓ તો ફોન પણ ઉપાડતા નથી!
સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે વીજળી ગુલ થતાં જ ફરિયાદ નોંધાવવા માટે જી.ઈ.બી. કચેરીનો સંપર્ક કરવામાં આવે તો ફોન સતત વ્યસ્ત આવે છે અથવા અધિકારીઓ ફોન ઉપાડવાની તસ્દી પણ લેતા નથી જેના કારણે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે સ્થાનિક રહીશો અને સામાજિક આગેવાનો દ્વારા વીજ તંત્રને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે કે આગામી ૨૪થી ૪૮ કલાકમાં વીજ પુરવઠો નિયમિત નહીં થાય અને સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો ઘેરાવ, ચક્કાજામ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જનતાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવે વધુ સહન નહીં કરવામાં આવે અને સમગ્ર જવાબદારી વીજ વિભાગની રહેશે પ્રાંતિજની જનતાનો એક જ સવાલ — “આખરે આ અંધેર વહીવટ ક્યારે બંધ થશે?”