4.jpg?w=1110&ssl=1)
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની અસ્થિર કિંમતો વચ્ચે, કેન્દ્ર સરકારે ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જનતાને મોટી રાહત આપતું એક મહત્વનું પગલું ભર્યું છે. નાણા મંત્રાલયે એક નવી અધિસૂચના બહાર પાડીને વધુ ઇથેનોલ મિશ્રણ (22% થી 30%) ધરાવતા પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ભારત કાચા તેલની આયાત પરની પોતાની નિર્ભરતા ઘટાડવા અને ‘ગ્રીન એનર્જી’ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
આવો સમજીએ કે સરકારના આ નિર્ણયની તમારા પર શું અસર થશે.
નાણા મંત્રાલયની સત્તાવાર અધિસૂચના અનુસાર, 22 ટકાથી લઈને 30 ટકા સુધી ઇથેનોલ મિશ્રણ ધરાવતા પેટ્રોલ (એટલે કે E22, E25, E27 અને E30) પર હવેથી કોઈ એક્સાઇઝ ડ્યુટી લાગશે નહીં. આ ટેક્સ હવે શૂન્ય કરી દેવામાં આવ્યો છે. ભારતના મહત્વાકાંક્ષી બાયોફ્યુઅલ પ્રોગ્રામ અંતર્ગત E20 (20% ઇથેનોલ) થી વધુના બ્લેન્ડ પર આપવામાં આવેલું આ પહેલું મોટું નાણાકીય પ્રોત્સાહન છે.

બજારની વર્તમાન પરિસ્થિતિ પર નજર કરીએ તો, મે મહિનાના બીજા પખવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર આશરે 7.50 રૂપિયાનો તીવ્ર ઉછાળો આવ્યો હતો. આ પહેલા માર્ચ મહિનામાં પણ સરકારે વાર્ષિક 1 લાખ કરોડ રૂપિયાની મહેસૂલી આવકનું નુકસાન વેઠીને પેટ્રોલ-ડીઝલ પરની ડ્યુટીમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, જેથી જનતાને વૈશ્વિક બજારની મોંઘવારીથી બચાવી શકાય.
આ ઉપરાંત ટેક્નિકલ મોરચે 15 મે 2026થી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા E22થી E30 પેટ્રોલ મિશ્રણ માટેના નવા ગુણવત્તાના માપદંડો લાગુ કરી દેવામાં આવ્યા છે. આ માપદંડો નક્કી થયાના તરત જ બાદ એક્સાઇઝ ડ્યુટી હટાવી લેવી, એ દર્શાવે છે કે સરકાર આ સેગમેન્ટમાં સુનિયોજિત તૈયારી સાથે આગળ વધી રહી છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત પોતાની જરૂરિયાતનું 87% ફોસિલ ફ્યુઅલ આયાત કરે છે. આ નીતિગત નિર્ણયથી દેશને ઘણા ફાયદા થશે. મોંઘા ક્રૂડ ઓઇલની આયાત ઘટશે, જેનાથી દેશના વિદેશી હૂંડિયામણની મોટી બચત થશે. ફ્યૂઅલની આયાત પાછળ ખર્ચાતા નાણાં દેશમાં જ રહેશે, જે સીધા જ શેરડી પકવતા ખેડૂતો, ગ્રામીણ યુવાનો અને કૃષિ ક્ષેત્રને આર્થિક રીતે મજબૂત બનાવશે. ઇથેનોલ એક સ્વચ્છ અને ‘ગ્રીન ફ્યુઅલ’ છે, જેના ઉપયોગથી પ્રદૂષણના સ્તરમાં મોટો ઘટાડો આવશે.
ગ્રાહકોના મનમાં અત્યારે આ સૌથી મોટો સવાલ છે. પેટ્રોલિયમ મંત્રાલયના આંકડા મુજબ, ઇથેનોલની સરેરાશ ખરીદી કિંમત (GST અને ટ્રાન્સપોર્ટેશન સહિત) પ્રતિ લીટર 71.32 રૂપિયા છે, જે રિફાઇન્ડ પેટ્રોલની પડતર કિંમત કરતાં વધુ થઈ ગઈ છે. તેથી, વધુ મિશ્રણ હોવા છતાં છૂટક કિંમતોમાં મોટો ઘટાડો કરવો એ કંપનીઓ માટે એક પડકાર છે.
જોકે, સરકારે તાજેતરમાં જ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે 85% ઇથેનોલ ધરાવતું ‘E85’ ફ્યૂઅલ લોન્ચ કર્યું છે, દેશના 48 પેટ્રોલ પંપ પર E20 ફ્યૂઅલની સરખામણીએ 20 રૂપિયા પ્રતિ લીટર સસ્તું વેચાઈ રહ્યું છે.
ઘણા વાહન માલિકોને ચિંતા હોય છે કે વધુ ઇથેનોલવાળા પેટ્રોલ (E20 કે તેથી વધુ)ના ઉપયોગથી તેમની જૂની ગાડીઓની માઇલેજ કે એન્જિનના પરફોર્મન્સ પર કોઈ ખરાબ અસર પડશે કે નહીં. આ અંગે ઓટોમોબાઈલ ઉત્પાદકોના સંગઠન (SIAM) એ સ્પષ્ટતા કરી છે કે, જૂની ગાડીઓની માઇલેજમાં થોડો ઘણો ઘટાડો ચોક્કસ આવી શકે છે, પરંતુ તેનાથી સુરક્ષાને લઈને કોઈ જોખમ નથી.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ આ ચિંતાઓને ફગાવી દેતાં કહ્યું છે કે, ફ્લેક્સ-ફ્યુઅલ મોટરસાયકલોને પેટ્રોલ અને ઇથેનોલ બંને પર ચલાવી શકાય છે, અને ઇથેનોલનું પરફોર્મન્સ સામાન્ય પેટ્રોલ કરતાં ક્યાંય ઓછું નથી.

ભારતનો ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ નક્કી કરેલા સમય કરતાં ઘણો આગળ ચાલી રહ્યો છે. અગાઉ સરકારે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ (E20) ભેળવવાનું લક્ષ્ય 2030 સુધીનું રાખ્યું હતું, જેને બાદમાં ઘટાડીને 2025-26 કરી દેવામાં આવ્યું હતું. તાજેતરના આંકડાઓની વાત કરીએ તો, ભારતે વર્ષ 2022-23માં 12.06% અને 2023-24માં 14.60% ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું.
ચાલુ વર્ષે 15 મે 2026થી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા E22, E25, E27 અને E30 બ્લેન્ડ માટે નવા ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ (IS 19850:2026) લાગુ કરી દેવાયા છે. આ નવા માપદંડોમાં ઇથેનોલની માત્રા, ઓક્ટેન રેટિંગ, સલ્ફરની મર્યાદા અને સુરક્ષાના તમામ નિયમો સ્પષ્ટપણે નક્કી કરવામાં આવ્યા છે.

ઇથેનોલવાળા પેટ્રોલને લઈને શરૂઆતમાં કેટલાક વિવાદો પણ સામે આવ્યા હતા. સપ્ટેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટમાં દેશભરમાં E20 ફ્યૂઅલ લાગુ કરવા સામે એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી, જેને સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. આ સિવાય કેટલાક લોકોએ એવી પણ માંગ કરી હતી કે પેટ્રોલ પંપ પર ઇથેનોલવાળા પેટ્રોલની સાથે ‘ઇથેનોલ વગરનું સાદું પેટ્રોલ’ પણ ઉપલબ્ધ કરાવવું જોઈએ. જોકે, સરકારે આ માંગને સ્પષ્ટપણે ફગાવી દીધી છે અને જણાવ્યું છે કે આ નિર્ણય ઘણો વિચાર-વિમર્શ કરીને અને ખેડૂતોના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ભારત સરકારે 2025-26 સુધીમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય રાખ્યું હતું અને ફેબ્રુઆરી 2025 સુધીમાં જ 17.98% નો મોટો આંકડો સ્પર્શી લીધો છે. એક્સાઇઝ ડ્યુટીમાં આપવામાં આવેલી આ નવી છૂટ દર્શાવે છે કે સરકાર ભવિષ્ય (E30 અને તેનાથી આગળ) માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ પગલું માત્ર ઓટોમોબાઈલ સેક્ટરને ‘ફ્લેક્સ-ફ્યુઅલ’ ટેકનોલોજી અપનાવવા પ્રેરિત નહીં કરે, પરંતુ ભારતને ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો એક મજબૂત રોડમેપ પણ પૂરો પાડશે.