
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંધે એક મોટા રાજકીય વિવાદના કેન્દ્રમાં જોવા મળ્યા છે. રાજ્ય વિધાનસભામાં તેમની બદલીના કથિત પ્રયાસ અને આ મામલે ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા’ની સંડોવણી અંગે સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં NCP (શરદ પવાર)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, FDA કમિશનર તુકારામ મુંધેના ટ્રાન્સફર માટે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ લોબીએ 250 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા.

તેમણે આરોપ લગાવ્યો કે ફાર્માસ્યુટિકલ અને ફૂડ ક્ષેત્રના શક્તિશાળી વ્યક્તિઓ અને ભ્રષ્ટ અધિકારીઓ IAS અધિકારી દ્વારા ભેળસેળ અને ગેરકાયદેસર વેપાર પર કાર્યવાહીથી નાખુશ હતા. આવ્હાડે કહ્યું, ‘હું આવતા સોમવારે વિધાનસભામાં આ રેકેટમાં સામેલ તમામ મોટા નામોનો પર્દાફાશ કરીશ.’
ગૃહમાં આ મુદ્દો ત્યારે વધુ ગરમાયો જ્યારે BJP ધારાસભ્ય સુધીર મુંઘંટીવારે મુંધેના કામની પ્રશંસા કરી અને કહ્યું કે અધિકારી ઓછામાં ઓછા 3 વર્ષ સુધી તેમના પદ પર રહેવા જોઈએ. શિવસેનાના ધારાસભ્ય અર્જુન ખોટકરે દાવો કર્યો હતો કે, મુંધેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને તેમના માટે સુરક્ષા વધારવાની માંગ કરી હતી.
ચર્ચાનો જવાબ આપતા, મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મંત્રી નરહરિ ઝિરવાલે તાત્કાલિક ટ્રાન્સફરની અટકળોને ફગાવી દીધી. તેમણે કહ્યું કે મુંધેને તેમના પદ પરથી દૂર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી અને તેમના કાર્યને અસરકારક ગણાવ્યું. જોકે, મંત્રીએ સ્વીકાર્યું કે, વિભાગ હજુ પણ વાહનો અને માળખાગત સુવિધાઓનો અભાવ અનુભવી રહ્યો છે.

મહારાષ્ટ્રના સૌથી પ્રખ્યાત IAS અધિકારીઓમાંના એક, તુકારામ હરિભાઉ મુંધેએ પોતાને કોઈ પણ મુદ્દે સમાધાન ન કરનારા અને પુરી રીતે સ્વતંત્ર અધિકારી તરીકે સ્થાપિત કર્યા છે. મુંધે એક નાના ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમના પિતા, હરિભાઉ મુંધે, એક નાના ખેડૂત હતા, જ્યારે તેમની માતા, આશારાબાઈ મુંધે, મુશ્કેલ નાણાકીય પરિસ્થિતિઓ છતાં ઘર સાંભળતા હતા.
મુંધે જિલ્લા પરિષદ શાળામાં ભણ્યા હતા અને સ્કૂલે જતા પહેલા અને સ્કૂલેથી આવ્યા પછી પરિવારની સાથે ખેતરમાં કામ કરતા હતા. ત્યાર પછી તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી અને 2004માં UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 20મા ક્રમ સાથે પાસ કરી.
2005 બેચના મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી, મુંધે નાંદેડ, વાશિમ, જાલના, સોલાપુર, નવી મુંબઈ, નાસિક, નાગપુર અને પુણેમાં અનેક મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે. તેમણે સહાયક કલેક્ટર, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, અને PMPMLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી છે, અને અનેક વરિષ્ઠ વહીવટી હોદ્દાઓ પણ સંભાળ્યા છે.

સોલાપુરના કલેક્ટર તરીકે, તેમને પાણી વ્યવસ્થાપન અને પારદર્શક વહીવટમાં સુધારો કરવા માટે ઓળખાતા હતા, તેમને 2015-16 માટે મહારાષ્ટ્ર સરકારનો શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર એવોર્ડ મળ્યો હતો. તેમને મહારાષ્ટ્રના વોટરમેન તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
મુંધેની કારકિર્દી તેમની વહીવટી શૈલી તેમજ વારંવાર બદલીઓના કારણે પણ ચર્ચામાં રહી છે. નિયમોના કડક અમલ, અનિયમિતતાઓ સામે કાર્યવાહી અને કોઈ પણ મુદ્દે સમાધાન ન કરનારા તેમના સ્વભાવને કારણે ઘણીવાર સ્વાર્થી લોકો સાથે સંઘર્ષ થયો છે. લગભગ બે દાયકાના તેમના કાર્યકાળમાં તેમની 24થી વધુ વખત બદલી કરવામાં આવી હોવાના અહેવાલ છે.
FDA કમિશનરનો હોદ્દો સંભાળ્યા પછી, મુંધેએ તાજેતરના વર્ષોમાં વિભાગની સૌથી આક્રમક અમલીકરણ ઝુંબેશ શરૂ કરી છે. તેમના કાર્યકાળના પહેલા મહિનામાં, FDAએ સમગ્ર મહારાષ્ટ્રમાં 904 દરોડા પાડ્યા હતા અને રૂ. 34.66 કરોડથી વધુ કિંમતના પ્રતિબંધિત ગુટખા અને પાન મસાલા જપ્ત કર્યા હતા.

વિભાગે એવો પણ સંકેત આપ્યો છે કે, તે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (MCOCA) હેઠળ સંગઠિત ગુટખા સિન્ડિકેટ સામે કાર્યવાહી કરી શકે છે. તેમના વહીવટીતંત્રે તમાકુ ઉત્પાદનોથી આગળ વધીને તેનો વ્યાપ વધાર્યો છે.
હોટેલ, રેસ્ટોરાં અને રસ્તાની બાજુમાં ખાણીપીણીની દુકાનોને ગ્રાહકોને બોટલબંધ પાણી ખરીદવા માટે દબાણ કરવાને બદલે મફત સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાની સૂચના આપવામાં આવી છે.
હોસ્પિટલોને પણ ચેતવણી આપવામાં આવી છે કે, દર્દીઓને ફક્ત તેમની સંલગ્ન ફાર્મસીઓમાંથી દવાઓ ખરીદવા માટે દબાણ ન કરવું. સાથે એ પણ પુનરાવર્તિત કરવામાં આવ્યું છે કે દર્દીઓ કોઈપણ લાઇસન્સ પ્રાપ્ત મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદવા માટે મુક્ત છે.

FDAએ એક સાથે ખોરાકમાં ભેળસેળ સામે ઝુંબેશને વધુ તીવ્ર બનાવી છે, જેમાં ડેરી ઉત્પાદનો, માવા, રસોઈ તેલ અને અન્ય ખાદ્ય ઘટકોને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યું છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ અને મુખ્ય ફૂડ બ્રાન્ડ્સની પણ ખાદ્ય સુરક્ષા નિયમોના પાલન માટે કડક તપાસ કરવામાં આવી રહી છે.
વિભાગના જણાવ્યા અનુસાર, અમલીકરણ કામગીરીના પરિણામે સંસ્થાઓને સીલ કરવામાં આવી, 457 લોકોની ધરપકડ કરવામાં આવી અને 42 વાહનો જપ્ત કરવામાં આવ્યા.
મુંધેની તાજેતરની કાર્યવાહીથી તેમને અભૂતપૂર્વ જાહેર સમર્થન પણ મળ્યું છે. પરભણીના ગાર્ડિયન સેક્રેટરી તરીકેની તેમની વધારાની જવાબદારી પાછી ખેંચી લેવામાં આવ્યા પછી તેમના સંભવિત ટ્રાન્સફરની અટકળો શરૂ થઈ. આ પછી, તેમના સમર્થકોએ સાંગલીમાં વિરોધ પ્રદર્શન કર્યું, અને સરકારને તેમને FDA કમિશનર તરીકે જાળવી રાખવાની માંગ કરી.

પાણી સંઘર્ષ સમિતિના સભ્યોએ મુંધેના ફોટાનો દૂધથી અભિષેક કર્યો અને અધિકારી માટે ઓછામાં ઓછા 3 વર્ષનો કાર્યકાળ રાખવાની માંગણી કરતું મેમોરેન્ડમ સુપરત કર્યું. સમર્થકોએ દલીલ કરી હતી કે, ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામેના તેમના કડક પગલાંથી માત્ર જાહેર આરોગ્યનું રક્ષણ જ નહીં પરંતુ નકલી અને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો સામે પગલાં લઈને ખેડૂતોના હિતોનું પણ રક્ષણ થયું છે.
તેમણે જણાવ્યું હતું કે, આ આંદોલન રાજકીય કારણોસર નહીં પરંતુ એક પ્રામાણિક અધિકારી પોતાનું કામ ચાલુ રાખી શકે તે સુનિશ્ચિત કરવા માટે હતું.