fbpx

મહિલાએ IAS અધિકારી હોવાનો દાવો કરીને યુવાન સાથે કર્યા લગ્ન, 40 લાખ માંગ્યા પણ…

Spread the love

મહિલાએ IAS અધિકારી હોવાનો દાવો કરીને યુવાન સાથે કર્યા લગ્ન, 40 લાખ માંગ્યા પણ...

જ્યારે નકલી ઓળખનો ઉપયોગ કરીને લગ્ન કરવાના મોટાભાગના કેસોમાં પુરુષોનું નામ સામે આવે છે, પરંતુ અહીં ઉત્તર પ્રદેશના બરેલીના એક કિસ્સાએ બધાને ચોંકાવી દીધા છે. એક મહિલા પર ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી તરીકે ઓળખાણ કરીને એક યુવાન સાથે લગ્ન કરવાનો, લાખો રૂપિયાના દાગીના પડાવી લેવાનો, 40 લાખ રૂપિયાની માંગણી કરવાનો અને તેના પતિની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી છે અને આરોપી મહિલાની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ફરીદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પચૌમી ગામનો રહેવાસી અભિષેક, બદાયું જિલ્લાના બિલસી પોલીસ સ્ટેશન વિસ્તારના સંતૌત પટ્ટી ઈશા ગામની રહેવાસી સાધનાને સોશિયલ મીડિયા દ્વારા મળ્યો. તેઓએ ફેસબુક પર ચેટિંગ શરૂ કર્યું, જે ધીમે ધીમે મિત્રતા અને પછી પ્રેમ સંબંધમાં પરિણમ્યું. અભિષેકનો આરોપ છે કે તેમની વાતચીત દરમિયાન સાધનાએ પોતાને IAS અધિકારી તરીકે રજૂ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે તેની નિમણૂક ફક્ત એક કોર્ટ કેસને કારણે બાકી હતી અને ચુકાદો જાહેર થતાં જ તે વહીવટી સેવામાં જોડાશે.

Fake IAS Bride

ફરિયાદ મુજબ, સાધનાના પિતા નરેન્દ્ર પાલ સિંહ, ભાઈ સૂર્ય પ્રતાપ અને સંબંધી રાજેન્દ્ર સિંહે પણ અભિષેક અને તેના પરિવારને ખાતરી આપી હતી કે, કોર્ટ કેસ પૂરો થતાં જ સાધનાની નિમણૂક થઇ જશે. એટલું જ નહીં, તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે સાધના તેના હોદ્દાનો ઉપયોગ કરીને અભિષેકને પણ સરકારી નોકરી મેળવવામાં મદદ કરશે. આ દાવાઓ પર વિશ્વાસ કરીને, અભિષેકે 7 ફેબ્રુઆરી, 2025ના રોજ સાધના સાથે લગ્ન કર્યા.

અભિષેકનો આરોપ છે કે લગ્નના થોડા સમય પછી તરત જ સાધનાનું વર્તન બદલાઈ ગયું. કોર્ટ કેસ અને નિમણૂકનો ઉલ્લેખ કરીને, તેણે પરિવારના દાગીના અને કિંમતી વસ્તુઓ પોતાની પાસે રાખવાનું શરુ કર્યું. તેના પતિનો આરોપ છે કે સાધનાએ તેની સોનાની ચેઈન, વીંટી, તેની માતાના દાગીના, આશરે 15 તોલા સોનું, 1.5 કિલો ચાંદી અને લગ્નની ભેટ તરીકે મળેલી અન્ય કિંમતી વસ્તુઓ રાખી હતી. FIR મુજબ, સાધનાએ ત્યારપછી પરિવાર પર હોસ્પિટલ બનાવવા માટે 20 વીઘા જમીન વેચવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. ફરિયાદમાં આરોપ છે કે, તેણે રૂ. 40 લાખની પણ માંગણી કરી હતી. જ્યારે પરિવારે વિરોધ કર્યો, ત્યારે સાધનાએ કથિત રીતે IAS અધિકારી હોવાનો દાવો કર્યો અને તેને ખોટા કેસોમાં ફસાવવા, જેલમાં મોકલવા અને આખા પરિવારને બરબાદ કરવાની ધમકી આપી.

Fake IAS Bride

આ કેસમાં સૌથી ગંભીર આરોપ હત્યાનો પ્રયાસ છે. અભિષેકે પોલીસને જણાવ્યું કે 12-13 માર્ચ, 2026ની રાત્રે સાધનાએ તેનું ગળું દબાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે કોઈક રીતે ભાગી જવામાં સફળ રહ્યો અને તરત જ ડાયલ-112ને જાણ કરી. આ પછી ગામમાં પંચાયત પણ બોલાવવામાં આવી હતી. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે, પંચાયત દરમિયાન સાધનાએ દાગીના પોતાની પાસે હોવાની કબૂલાત કરી હતી. અભિષેકે પોતાની ફરિયાદમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે, સાધનાએ અગાઉ પણ ઘણા લોકો સાથે આવી છેતરપિંડી કરી છે. પોલીસ આ આરોપોની તપાસ કરી રહી છે. 28 જૂને પતિએ ફરીદપુર પોલીસ સ્ટેશનમાં સાધના અને તેના પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સાધના ઉપરાંત તેના પિતા નરેન્દ્ર પાલ સિંહ, ભાઈ સૂર્ય પ્રતાપ અને સંબંધી રાજેન્દ્ર સિંહનું પણ FIRમાં નામ આપવામાં આવ્યું છે.

પોલીસે જણાવ્યું કે, નોંધાયેલા કેસના આધારે કાર્યવાહી કરીને સાધનાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા પર તેના પતિની હત્યાનો પ્રયાસ, ઘરેણાંની ચોરી અને અન્ય ગંભીર આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે, અને અન્ય આરોપીઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

error: Content is protected !!