
તેલંગાણાના સઇદાબાદમાં આવેલી ‘સક્સેસ, ધ સ્કૂલે’ તેના શિક્ષિકા શેખ આયેશા પરવીન સામે કડક કાર્યવાહી કરી છે, તેમને તાત્કાલિક અસરથી નોકરી પરથી કાઢી મૂક્યા છે. શાળા મેનેજમેન્ટનો આરોપ છે કે તેમણે ધોરણ 2ના વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રક્રિયાનું હોમવર્ક સોંપ્યું હતું. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી, શાળા વહીવટીતંત્રે આંતરિક સમીક્ષા હાથ ધરી હતી અને કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.
શાળા દ્વારા આપવામાં આવેલા ટર્મિનેશન લેટરમાં માત્ર નોકરીમાંથી બરતરફીનો જ ઉલ્લેખ નથી, પરંતુ શિક્ષકને સંસ્થાની કોઈપણ શાળામાં ભવિષ્યમાં નોકરી મેળવવાથી પણ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. પત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, ‘તમને એ પણ જાણ કરવામાં આવે છે કે, ભવિષ્યમાં સક્સેસ ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી કોઈપણ સંસ્થામાં રોજગાર માટે અરજી કરવા માટે તમને કાયમી ધોરણે અયોગ્ય ઠેરવવામાં આવે છે.’

BJPના એક નેતાએ આ બાબતની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, આ ઘટના પાછળ MIM પાર્ટીનો હાથ છે, અને તેથી, ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવી જોઈએ અને શાળાની માન્યતા રદ કરવી જોઈએ.
હૈદરાબાદના ઓલ્ડ સિટી એરિયામાં આવેલા સઈદાબાદમાં આવેલી ‘સક્સેસ ધ સ્કૂલ’માં એક વિવાદ ફાટી નીકળ્યો છે. બીજા ધોરણમાં ભણતા એક હિન્દુ વિદ્યાર્થીના માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે, સ્કૂલ મેનેજમેન્ટે તેમના બાળકને કલમા વાંચીને આવવાનું કહ્યું હતું. વિદ્યાર્થીની માતા સુપ્રિયા સ્કૂલ પહોંચીને આ ઘટના અંગે મેનેજમેન્ટને સવાલ કર્યો હતો. તે સ્કૂલ પ્રશાસન સામે કડક કાર્યવાહીની માંગ કરી રહી છે. જ્યારે મીડિયા સૂત્રોએ સ્કૂલ પ્રશાસન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.

આ ઘટના સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર પણ વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો સ્કૂલના નિર્ણયને સમર્થન આપે છે, જ્યારે અન્ય લોકો કહે છે કે સમગ્ર ઘટનાના સંજોગો અને તથ્યો જાહેર કરવા જોઈએ.
આ કાર્યવાહી દ્વારા, સ્કૂલ મેનેજમેન્ટે સંકેત આપ્યો છે કે, તે તેના કેમ્પસમાં એવી કોઈ પણ પ્રકારની કાર્યવાહીને સહન કરશે નહીં, જે તેની નીતિઓ વિરુદ્ધ માનવામાં આવે. જો કે, ઉપલબ્ધ માહિતી અનુસાર, સ્કૂલે હજુ સુધી વિદ્યાર્થીઓને સોંપવામાં આવેલા હોમવર્કની વિગતો અને તેને ધાર્મિક કેમ માનવામાં આવ્યું તે જાહેરમાં જાહેર કર્યું નથી.