
જંતર-મંતર પર 20 દિવસથી ઉપવાસ કરી રહેલી સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક હવે પોતાના ઉપવાસ ખતમ કરવા તૈયાર છે, પરંતુ આ માટે તેણે જનતા સમક્ષ એક શરત મૂકી છે. NEET પેપર લીકને કારણે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP) પ્લેટફોર્મ પર ઉપવાસ કરી રહેલા વાંગચુકે સંકેત આપ્યો છે કે, તેઓ 20 જુલાઈએ ‘સંસદ કૂચ’ પછી તેને સમાપ્ત કરી શકે છે. જો કે, આ માટે તેમણે જનતાને આ કૂચને સફળ બનાવવા જણાવ્યું છે.

સોનમ વાંગચુક, જેણે તેના ઉપવાસના 19મા દિવસે 9 કિલો વજન ગુમાવ્યું છે, તેણે એક વીડિયો સંદેશ દ્વારા કહ્યું કે ઘણા લોકો તેને તેના ઉપવાસને સમાપ્ત કરવા માટે કહી રહ્યા છે. વાંગચુકે કહ્યું કે તેનું શરીર નબળું પડી ગયું છે, પરંતુ તેની હાલત એવી નથી કે તે 3-4 દિવસમાં મૃત્યુ પામે. ત્યાર પછી વાંગચુકે લોકોને 20 જુલાઈના રોજ યોજાનારી ‘સંસદ કૂચ’ને સફળ બનાવવા અપીલ કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે, જો આ કૂચ સફળ થશે તો તેઓ ઉપવાસ સમાપ્ત કરી શકશે. જો કે, તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે, કૂચ સફળ થવા માટેના માપદંડ શું છે, કેટલી ભીડને તેઓ સફળ માને છે અને કેટલી હદ સુધી કૂચ કરવાથી તે સફળ ગણાશે.

વાંગચુકે વીડિયોમાં કહ્યું, ‘હું તમને બધાને મોટી સંખ્યામાં જોડાવા અને એક નાનું પગલું ભરવાનું કહીશ અને માત્ર મને ઉપવાસ ખતમ કરવાનું કહેશો નહીં. એક મિસ્ડ કોલ આપો અને જાણ કરો કે તમે કૂચમાં ભાગ લેવા આવી રહ્યા છો. જે પણ હોય, તે દિવસે ખુબ મોટી સંખ્યામાં આવો. તમારી માતાને લઈને આવો, કારણ કે માતાના દિલમાં તેના બાળકો માટે જેટલો પ્રેમ હોય છે તેટલો પ્રેમ કોઈ પાસે નથી હોતો. હું ઈચ્છું છું કે માતાઓ આ કૂચનું નેતૃત્વ કરે. તેઓ આપણને સંસદ સુધી લઇ જાય. 20મી જુલાઈએ હું તમને બધાને મળીશ. જો આ સફળ થશે તો હું તમને ખાતરી આપી શકું છું કે જ્યારે આ મુદ્દો સાચા હાથમાં જશે, ત્યારે હું શાંતિથી ઊંઘી શકીશ અને ઉપવાસ પણ તોડી શકીશ.’

વાંગચુકે કહ્યું કે, હજારો લોકો તેમને મેસેજ મોકલી રહ્યા છે અને ઉપવાસ તોડવા માટે અપીલ કરી રહ્યા છે. તેણે કોર્ટમાં દાખલ કરેલી અરજીનો પણ ઉલ્લેખ કર્યો હતો. વાંગચુકે કહ્યું કે મેડિકલ તપાસ અનુસાર તેના શરીરમાં નબળાઈ છે, પરંતુ સ્થિતિ એટલી ખરાબ નથી કે તેનો જીવ નીકળી જાય. કંઈ વધારે જોખમ નથી. બીજી વાત એ કે, જો હું ઉપવાસ તોડીશ તો શું બદલાશે, તેનાથી સરકારને શું સંદેશ જશે કે કોઈ જવાબદારીની જરૂર નથી, લોકો જાતે જ દૂર થઈ જશે. તમે મારા જીવનની ચિંતા કરો છો, પરંતુ જે 20 લોકોએ આત્મહત્યા કરી છે તેનું શું? મારું જીવન અને મારું સ્વાસ્થ્ય એટલી મોટી વાત નથી. પરંતુ આ સંદેશાઓને માન આપીને, મેં 20મી જુલાઈ માટેનો વચલો માર્ગ શોધી કાઢ્યો છે.