
દેશવ્યાપી આંદોલન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈના રોજ રાજીનામું આપ્યું અને રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું. પ્રદર્શન કરી રહેલા યુવાનોની ઉજવણી વચ્ચે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેને વિદ્યાર્થીઓની જીત ગણાવી. તેમણે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરનારા સુરક્ષા દળો સામે કાર્યવાહીની પણ માંગ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી માફી માંગવાની માંગ કરી.
20 જુલાઈથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ ખૂબ આક્રમક દેખાયું. બંને ગૃહોમાં, વિપક્ષે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને NEET પેપર લીક મુદ્દા પર ચર્ચાની માંગ કરી. હોબાળાને કારણે કાર્યવાહી ઘણી વખત મુલતવી રાખવી પડી. પ્રશ્ન એ છે કે, આ સમગ્ર ઘટનાઓમાંથી વિપક્ષને કેટલો રાજકીય ફાયદો થયો છે? શું વિપક્ષ સરકાર સામે અસરકારક નેરેટિવ બનાવવામાં સફળ રહ્યું છે?
CJPના રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી વિપક્ષી રાજકારણ કઈ દિશામાં જશે તે અંગે રાજકીય વિશ્લેષક હેમંત અત્રી માને છે કે આંદોલનનો સૌથી મહત્ત્વપૂર્ણ પ્રભાવ વિપક્ષની રાજકીય તાકતમાં વધારો નહીં, પરંતુ તેની એકતાના રૂપમાં સામે આવ્યો છે, જે વિપક્ષ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
અત્રી જણાવે છે કે, આ આંદોલનને ફક્ત દિલ્હી પૂરતું મર્યાદિત ન માનવું જોઈએ. તે એક સંપૂર્ણ ભારતભરનું આંદોલન હતું જેણે દેશભરમાંથી વિરોધના અવાજો માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. આ આંદોલન દરમિયાન વિપક્ષી પક્ષો અગાઉ કરતા વધુ સંગઠિત દેખાયા. કોંગ્રેસની સાથે-સાથે, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને અન્ય વિપક્ષી પક્ષો પણ એક જ પ્લેટફોર્મ પર આવ્યા.

રાજકીય વિશ્લેષક આદેશ રાવલ માને છે કે આ ઘટનાક્રમથી વિપક્ષને ફાયદો થઈ શકે છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે આગામી ચૂંટણીઓ પહેલા હજુ પણ સમય છે, અને તાત્કાલિક ચૂંટણી પરિણામોની આગાહી કરવી જલગી ગણાશે. તેમણે કહ્યું કે, ઇતિહાસમાં જોવા મળ્યું છે કે જ્યારે પણ સરકાર વિરુદ્ધ કોઈ મોટું જનઆંદોલન ઉભું થાય છે, ત્યારે વિપક્ષી દળને ઘણીવાર રાજકીય લાભ મળે છે. અન્ના આંદોલન દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકાર સત્તામાં હતી, પરંતુ તે આંદોલનમાંથી સૌથી વધુ રાજકીય લાભ ભાજપને મળ્યો હતો.
તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં કોંગ્રેસ સૌથી મોટો વિપક્ષી પક્ષ છે અ INDIA ગઠબંધનનો મુખ્ય ચહેરો છે; તેથી, કોઈપણ મોટા સરકાર વિરોધી આંદોલનમાંથી તેને રાજકીય લાભ મળવાની શક્યતા છે.
હેમંત અત્રીએ કહ્યું કે 2013થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રાજકીય છબી બનાવી હતી તેને આ આંદોલન દરમિયાન Gen-Z દ્વારા પડકારવામાં આવી છે. તેમનું કહેવું છે કે યુવાનોએ તેમની ચિંતા કરતા મુદ્દાઓ અંગે એક અલગ પ્રકારનો રાજકીય પ્રતિભાવ દર્શાવ્યો છે. અત્રીના મતે, નવી પેઢી રોજગાર, શિક્ષણ અને તકો જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપે છે, ધર્મ અથવા જાતિ પર આધારિત રાજકારણને બદલે તેમની તાત્કાલિક ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે કહ્યું કે, કોઈપણ આંદોલનની અસર ફક્ત રાજકીય પક્ષો સુધી મર્યાદિત નથી; તે જાહેર ધારણાને પણ પ્રભાવિત કરે છે. આ આંદોલને યુવાનો મુદ્દાઓને રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.

જોકે, ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટિપ્પણી કરી હતી કે ભાજપના કાર્યકરો માટે દેશ કોઈપણ સત્તાવાર પદ કરતા વધુ મહત્ત્વ ધરાવે છે. શનિવારે મોડી રાત્રે, ગૃહમંત્રી શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, મોદી સરકાર દેશના યુવાનોની લાગણીઓનું સન્માન કરે છે અને પેપર લીકના મુદ્દાને ઉકેલવા માટે જરૂરી સુધારાઓ લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે, આદર્શ રાવલે કહ્યું કે, તેને સરકારનું એક વ્યૂહાત્મક નિર્ણય હતો. રાવલના મતે, સરકારે સંભવિત રાજકીય લાભ અને નુકસાનનું મૂલ્યાંકન કર્યા પછી આ પગલું ભર્યું. આ રાજીનામું મંત્રી દ્વારા સ્વૈચ્છિક નિર્ણય નહોતો પરંતુ વિદ્યાર્થીઓ અને યુવાનોના દબાણનું પરિણામ હતું. આંદોલનની અસર માત્ર દિલ્હી સુધી મર્યાદિત નહોતી; તેના સંભવિત વિસ્તરણની સંભાવનાને જોતા સરકારે રાજકીય નુકસાન ઘટાડવા માટે આ નિર્ણય લીધો હતો. આદેશ રાવલ જણાવે છે કે CJP આંદોલન સરકાર વિરુદ્ધ એક નવી રાજકીય નેરેટિવ બનાવવામાં સફળ રહ્યું છે. તેમના મતે, છેલ્લા પાંચ દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને છેલ્લા 12 વર્ષમાં અન્ય કોઈપણ આંદોલન કરતાં વધુ નુકસાન થયું છે. ખેડૂતોનો વિરોધ લાંબા સમય સુધી ચાલ્યો, છતા તેની વડાપ્રધાનની વ્યક્તિગત છબી પર એટલી અસર પડી નહીં જેટલી આ આંદોલનથી પડી છે. વડાપ્રધાનની છબી ભાજપ કરતા પણ મોટી રાજકીય સંપત્તિ બની ગઈ છે; તેથી, સરકાર સાથે સંકળાયેલ કોઈપણ મોટો વિવાદ તેમની છબીને સીધી અસર કરે છે.

શનિવારે, રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ અંગે જવાબદારીની માંગણી કરી હતી. આનો ઉલ્લેખ કરતા હેમંત અત્રીએ કહ્યું કે, વિપક્ષ જવાબદારીનો પ્રશ્ન ફક્ત ધર્મેન્દ્ર પ્રધાન સુધી મર્યાદિત રાખશે નહીં પરંતુ ટોચના નેતૃત્વ પર રાજકીય જવાબદારી નક્કી કરવાનો પ્રયાસ કરશે. અત્રી માને છે કે નજીકના ભવિષ્યમાં ભાજપ અને કેન્દ્ર સરકારને અનેક મુદ્દાઓ પર રાજકીય પડકારોનો સામનો કરવો પડી શકે છે. તેમણે રામ મંદિર, અમેરિકા સાથેના વેપાર કરારો, E20 નીતિ, બેરોજગારી અને ફુગાવા જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ વિષયો ભવિષ્યના રાજકારણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.