
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકે તેમના ‘સ્કૂલ વ્યવસ્થિત કરો’ અભિયાનથી પાછળ હટવા તૈયાર નથી. દીપકે મહારાષ્ટ્ર સરકારને પડકાર ફેંકતા કહ્યું કે, જો તેમની સામે 100 FIR દાખલ કરવામાં આવે તો પણ તેઓ સરકારી શાળાઓમાં નબળા સંચાલનનો મુદ્દો ઉઠાવવાનું બંધ કરશે નહીં. તાજેતરમાં, CJPના સ્થાપક સામે સરકારી શાળાની મુલાકાત લેવા બદલ FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારપછી તેમણે આ નિવેદન આપ્યું હતું.
અભિજીત દિપકે તેમના ગૃહ રાજ્ય મહારાષ્ટ્રમાં સરકારી શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે, સરકારી શાળાઓની જર્જરિત સ્થિતિ અને કથિત ગેરવહીવટ વિશે વાત કરી રહ્યા છે. દીપકેનો દાવો છે કે, તેમણે જે સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી તેમાં બાળકો માટે મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. CJPના સ્થાપકનો આરોપ છે કે, સરકારી શાળાઓમાં સ્વચ્છ પાણી અથવા સ્વચ્છ શૌચાલયનો અભાવ છે.

તાજેતરમાં, અભિજીત દિપકેએ હિંગોલી તાલુકાના લોહગાંવ અને કરાંજલમાં જિલ્લા પરિષદની શાળાઓની મુલાકાત લીધી. તેમણે વર્ગખંડો, બેન્ચ, પીવાના પાણીની સુવિધાઓ અને મધ્યાહન ભોજનની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. તેમની સાથે સામાજિક કાર્યકર્તા મુનીર પઠાણ અને અન્ય ગ્રામજનો પણ હતા.
22 ઓગસ્ટના રોજ, મહારાષ્ટ્રના લાતુરમાં અભિજીત દિપકે વિરુદ્ધ શિક્ષકોની પરવાનગી વિના શાળામાં પ્રવેશ કરવા બદલ FIR દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં દિપકે સહિત 5 લોકોને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા. દિપકે કાનૂની કાર્યવાહીનો જવાબ આપ્યો. મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ, અભિજીત દિપકેએ કહ્યું, ‘શું શાળાઓમાં જઈને સમસ્યાઓ અને સુવિધાઓના અભાવની જાણ કરવી ગુનો છે? જો એમ હોય, તો મારા વિરુદ્ધ એક નહીં પણ 100 કેસ દાખલ કરો, પરંતુ કૃપા કરીને એ નક્કી કરો કે શાળાઓમાં સુધારો થઇ જાય.’
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં, અભિજીત દિપકેએ શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજન અંગે ગંભીર આરોપો લગાવ્યા હતા. 29 ઓગસ્ટના એક વીડિયોમાં, દિપકેએ આરોપ લગાવ્યો હતો કે, વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં એક્સપાયરી ડેટના મસાલાનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે ફેબ્રુઆરી 2026ની એક્સપાયરી ડેટ ધરાવતું પેકેટ બતાવ્યું. તેના આધારે, દિપકેએ આરોપ લગાવ્યો હતો કે, બાળકોને એક્સપાયરી ડેટથી બનાવેલો ખોરાક આપવામાં આવી રહ્યો છે.

મીડિયા સાથે વાત કરતા, અભિજીત દિપકેએ પ્રશ્ન કર્યો હતો કે, શું મંત્રીઓ અને ધારાસભ્યો તેમના બાળકોને એક્સપાયરી ડેટથી બનાવેલો ખોરાક ખવડાવે છે. CJPના વડાએ કહ્યું કે, સરકારી શાળાના બાળકોમાં ક્ષમતા અને પ્રતિભા હોય છે, સરકારે ફક્ત તેમને ટેકો આપવો જોઈએ અને તેમને તકો આપવી જોઈએ.
તેમણે શિક્ષકોની ઓછી સંખ્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો. અભિજીત દિપકેએ કહ્યું, ‘જો મારી સામે કેસ દાખલ કરવાથી શાળાઓમાં સુધારો થાય છે, તો તે કરો. તમે કોઈ પણ FIR દાખલ કરવા માંગો છો તે દાખલ કરો.’ દિપકેએ કહ્યું કે, શિક્ષણ સરકારની પ્રાથમિકતા લાગતી નથી.