fbpx

પૂજાએ HCમાં કહ્યું, UPSC પાસે ઉમેદવારી રદ કરવાની સત્તા નથી;લાગેલા આરોપને નકાર્યા

Spread the love

ભૂતપૂર્વ IAS તાલીમાર્થી પૂજા ખેડકરે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના દાવાઓ પર પ્રતિક્રિયા આપી છે. ખેડકરે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પોતાનો જવાબ દાખલ કર્યો છે. તેમનું કહેવું છે કે, UPSC પાસે તેમની ઉમેદવારીને ગેરલાયક ઠેરવવાની કોઈ સત્તા નથી. પૂજાએ તેના જવાબમાં કહ્યું છે કે, એકવાર પ્રોબેશનરી ઓફિસર તરીકે પસંદગી અને નિમણૂક કર્યા પછી, ઉમેદવારની ઉમેદવારીને ગેરલાયક ઠેરવવાની UPSCની કાર્યસત્તા બંધ થઈ જાય છે.

પૂજા ખેડકરે કોર્ટમાં કહ્યું છે કે, હવે માત્ર કેન્દ્ર સરકારનો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT)જ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. તેણે દાવો કર્યો છે કે 2012-2022 સુધી તેના નામ કે અટકમાં કોઈ ફેરફાર થયો નથી, ન તો તેણે UPSCને પોતાના વિશે કોઈ ખોટી માહિતી આપી છે. પૂજા ખેડકરે કહ્યું છે કે, UPSCએ મારી ઓળખ બાયોમેટ્રિક ડેટા દ્વારા વેરિફાય કરી છે, કમિશનને મારા દ્વારા સબમિટ કરવામાં આવેલ કોઈપણ દસ્તાવેજ નકલી કે બનાવટી હોવાનું જણાયું નથી. તેમણે કહ્યું છે કે, ‘મારું શૈક્ષણિક પ્રમાણપત્ર, આધાર કાર્ડ, જન્મ તારીખ અને વ્યક્તિગત માહિતી સહિત અન્ય તમામ વિગતો વિગતવાર અરજી ફોર્મ (DAF)માં સુસંગત રહેલા છે.

પૂજા ખેડકરે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલા તેના જવાબમાં કહ્યું છે કે, ‘UPSCએ 2019, 2021 અને 2022માં વ્યક્તિત્વ પરિક્ષણ દરમિયાન એકત્રિત બાયોમેટ્રિક ડેટા (સાયબર અને ફિંગરપ્રિન્ટ) દ્વારા મારી ઓળખની ચકાસણી કરી છે. ત્યારપછી 26 મે, 2022ના રોજ પર્સનાલિટી ટેસ્ટ દરમિયાન કમિશન દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. મેં મારા નામ અને પ્રમાણપત્રોમાં વિસંગતતાઓને સુધારવા માટે એફિડેવિટ અને સત્તાવાર ગેઝેટ પણ સબમિટ કર્યા અને PWBD (બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતી વ્યક્તિ), જાતિ અને પિતાના નામની ઘોષણા માટે UPSCની વિનંતીનું પાલન કર્યું. તેથી, મેં મારું નામ ખોટા નામ તરીકે આપ્યું છે તેવું આયોગનું કહેવું ખોટું છે.’

તેણે કહ્યું છે કે DOPT દ્વારા પણ મારા વિશે તમામ જરૂરી ચકાસણી કરવામાં આવી હતી. DOPT અનુસાર, AIIMS દ્વારા રચવામાં આવેલા મેડિકલ બોર્ડે મારો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. મેડિકલ બોર્ડને મારી વિકલાંગતા 47 ટકા અને PwBD શ્રેણી માટે જરૂરી 40 ટકા વિકલાંગતા કરતાં ઘણી વધુ હોવાનું જણાયું હતું. પૂજાએ કોર્ટમાં કહ્યું છે કે, તેના દ્વારા UPSC સમક્ષ રજૂ કરાયેલા કોઈપણ દસ્તાવેજો નકલી કે બનાવટી નથી અને સક્ષમ અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. તેણે કહ્યું છે કે, ‘મેં UPSCને મારા વિશે કોઈ ખોટી માહિતી આપી નથી કે કોઈ છેતરપિંડી કરી નથી, જેમ કે 19 જુલાઈ, 2024ના રોજ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ નોંધાયેલી FIRમાં મારા વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યો છે.’

પૂજા ખેડકર 2023 બેચની તાલીમાર્થી IAS હતી. તેણે સિવિલ સર્વિસ પરીક્ષા-2022માં 841મો રેન્ક મેળવ્યો હતો. તેમની તાલીમ જૂન 2024થી મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA)માં ચાલી રહી હતી. તેમના પર અનામતનો લાભ મેળવવા માટે UPSCને પોતાના વિશે ખોટી માહિતી આપવાનો આરોપ છે. તેના પર તેની ઉંમર અને માતા-પિતા સંબંધિત ખોટી માહિતી આપવા, તેની ઓળખ બદલવા, નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વખત સિવિલ સર્વિસની પરીક્ષા આપવા, નકલી જાતિ અને વિકલાંગતા પ્રમાણપત્ર રજૂ કરવાનો આરોપ છે. UPSC, તેની આંતરિક તપાસમાં, પૂજા ખેડકરને છેતરપિંડી માટે દોષી ઠેરવવામાં આવી હતી અને 31 જુલાઈના રોજ તેણીની પસંદગી રદ કરી હતી.

આ મામલામાં UPSC દ્વારા તેમની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે અને તેમના પર ધરપકડનો ખતરો તોળાઈ રહ્યો છે. પૂજા ખેડકર અગાઉ તેની ધરપકડ પર રોક લગાવવા માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી હતી. પરંતુ કોર્ટે 1 ઓગસ્ટ, 2022ના રોજ તેમને રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી તેણે 8 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. 12 ઓગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટે પૂર્વ તાલીમાર્થી IASની ધરપકડ પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. તેણે કોર્ટમાં આગોતરા જામીનની માંગણી કરી છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 29 ઓગસ્ટના રોજ થવાની છે.

error: Content is protected !!