fbpx

PM મોદીના મતે ભારત આ દિશામાં ઘણું પાછળ રહી ગયું હતું

Spread the love

PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્ત્વ વધી ગયું છે, કારણ કે ભગવાન બુદ્ધની અભિધમ્મ પરના ઉપદેશો મૂળરૂપે પાલી ભાષામાં ઉપલબ્ધ છે.

PMએ કહ્યું હતું કે, આ પ્રસંગે લોકોને પ્રેમ અને કરુણા સાથે વિશ્વને વધુ સારું સ્થળ બનાવવાની યાદ અપાવે છે. PM મોદીએ ગયા વર્ષે કુશીનગરમાં આયોજિત આ પ્રકારનાં એક કાર્યક્રમમાં ભાગ લેવાનું યાદ કર્યું હતું અને કહ્યું હતું કે, ભગવાન બુદ્ધ સાથે જોડાવાની યાત્રા તેમના જન્મથી શરૂ થઈ હતી અને આજે પણ ચાલુ છે. PMએ માહિતી આપી હતી કે, તેમનો જન્મ ગુજરાતનાં વડનગરમાં થયો હતો, જે એક સમયે બૌદ્ધ ધર્મનું નોંધપાત્ર કેન્દ્ર હતું અને તે પ્રેરણારૂપ બન્યું હતું, જેનાં પરિણામે ભગવાન બુદ્ધનાં ધમ્મ અને ઉપદેશો સાથે તેમનાં અનુભવો થયાં હતાં. PMએ ભારત અને દુનિયામાં વિવિધ તકોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે છેલ્લાં 10 વર્ષમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત અનેક શુભ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો તથા નેપાળમાં ભગવાન બુદ્ધનાં જન્મસ્થળની મુલાકાત લેવાનાં ઉદાહરણો ટાંક્યાં હતાં તથા મોંગોલિયામાં ભગવાન બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તથા શ્રીલંકામાં વૈશાખ સમારંભનું અનાવરણ કર્યું હતું. PMએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સંઘ અને સાધકનું મિલન એ ભગવાન બુદ્ધનાં આશીર્વાદનું પરિણામ છે. તેમણે આ પ્રસંગે પોતાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે શરદ પૂર્ણિમાના શુભ પ્રસંગ અને મહર્ષિ વાલ્મિકી ઋષિની જન્મજયંતિની નોંધ લીધી હતી. PMએ તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.

PMએ નોંધ્યું હતું કે, પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપીને જે સન્માન મળ્યું છે, તે ભગવાન બુદ્ધનાં મહાન વારસા અને ધરોહરને શ્રદ્ધાંજલિ છે. PM મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, અભિધમ્મ ધમ્મમાં સમાયેલું છે અને ધમ્મના સાચા સારને સમજવા માટે પાલી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. ધમ્મના વિવિધ અર્થો સમજાવતા PM મોદીએ જણાવ્યું હતું કે, ધમ્મ એટલે ભગવાન બુદ્ધનો સંદેશ અને સિદ્ધાંત, માનવ અસ્તિત્વ સાથે સંબંધિત પ્રશ્નોના ઉકેલ, માનવ જાતિ માટે શાંતિનો માર્ગ, બુદ્ધના શાશ્વત ઉપદેશો અને સમગ્ર માનવતાના કલ્યાણ માટે દ્રઢ ખાતરી. તેમણે ઉમેર્યું હતું કે, બુદ્ધના ધમ્મથી આખું વિશ્વ સતત પ્રબુદ્ધ થઈ રહ્યું છે.

PMએ કહ્યું હતું કે, કમનસીબે પાલી ભાષા જે ભગવાન બુદ્ધ દ્વારા બોલાતી હતી, તે હવે સામાન્ય વપરાશમાં નથી. ભાષા એ માત્ર સંદેશાવ્યવહારનું માધ્યમ જ નથી, પણ સંસ્કૃતિ અને પરંપરાનો આત્મા છે એ વાત પર ભાર મૂકીને PMએ કહ્યું હતું કે, તે મૂળભૂત અભિવ્યક્તિઓ સાથે જોડાયેલી છે તથા તેમણે આજના દિવસ અને યુગમાં પાલીને જીવંત રાખવાની સહિયારી જવાબદારી ગણાવી હતી. તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે, વર્તમાન સરકારે આ જવાબદારી વિનમ્રતાથી નિભાવી છે અને ભગવાન બુદ્ધનાં કરોડો શિષ્યોને સંબોધિત કરવાનો પ્રયાસ કર્યો છે.

PMએ કહ્યું હતું કે, કોઈ પણ સમાજની ભાષા, સાહિત્ય, કળા અને આધ્યાત્મિકતાનો વારસો તેના અસ્તિત્વને વ્યાખ્યાયિત કરે છે. PMએ જણાવ્યું હતું કે, કોઈ પણ દેશ દ્વારા શોધી કાઢવામાં આવેલા કોઈ પણ ઐતિહાસિક અવશેષો અથવા કલાકૃતિઓ સમગ્ર વિશ્વ સમક્ષ ગર્વભેર પ્રસ્તુત કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, દરેક દેશ પોતાનાં વારસાને ઓળખ સાથે જોડે છે, પણ ભારત આઝાદી અગાઉનાં આક્રમણો અને સ્વતંત્રતા મેળવ્યા પછી ગુલામીની માનસિકતાને કારણે પાછળ રહી ગયું છે. PMએ જણાવ્યું હતું કે, ભારતને ઇકોસિસ્ટમનો કબજો મળી ગયો છે, જે દેશને વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, બુદ્ધ કે જેઓ ભારતના આત્મામાં વસે છે અને તેમનાં પ્રતીકો જે સ્વતંત્રતા સમયે અપનાવવામાં આવ્યાં હતાં, તે પછીનાં દાયકાઓમાં ભૂલી ગયાં હતાં. તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે આઝાદીના સાત દાયકા પછી પણ પાલીને તેનું યોગ્ય સ્થાન મળ્યું નહોતું.

PMએ જણાવ્યું હતું કે, દેશ હવે આ લઘુતાગ્રંથિથી આગળ વધી રહ્યો છે અને મોટા નિર્ણયો લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે એક તરફ પાલી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો છે તો બીજી તરફ મરાઠી ભાષાને પણ એટલું જ સન્માન આપવામાં આવ્યું છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે બાબા સાહેબ આંબેડકર જેમની માતૃભાષા મરાઠી હતી તેઓ પણ બૌદ્ધ ધર્મના મહાન સમર્થક હતા અને પાલીમાં તેમની ધમ્મ દીક્ષા હતી. PM મોદીએ બંગાળી, આસામી અને પ્રાકૃત ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની વાત પણ કરી હતી.

PMએ કહ્યું હતું કે, ભારતની વિવિધ ભાષાઓ આપણી વિવિધતાને પોષણ આપે છે. ભૂતકાળમાં ભાષાના મહત્ત્વને સૂચવીને PM મોદીએ જણાવ્યું હતું કે, આપણી દરેક ભાષાએ રાષ્ટ્રનિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે ભારતે અપનાવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ આ ભાષાઓનું જતન કરવાનું માધ્યમ બની રહી છે. PM મોદીએ નોંધ્યું હતું કે, જ્યારથી દેશનાં યુવાનોને તેમની માતૃભાષામાં અભ્યાસ કરવાનો વિકલ્પ મળ્યો છે, ત્યારથી માતૃભાષા વધારે મજબૂત થઈ રહી છે.

PMએ નોંધ્યું હતું કે, સરકારે આ સંકલ્પોને પૂર્ણ કરવા લાલ કિલ્લા પરથી ‘પંચ પ્રાણ’નું વિઝન પ્રસ્તુત કર્યું હતું. પંચ પ્રાણનો વિચાર સમજાવતાં PM મોદીએ કહ્યું હતું કે, તેનો અર્થ થાય છે વિકસિત ભારતનું નિર્માણ, ગુલામીની માનસિકતામાંથી મુક્તિ, દેશની એકતા, કર્તવ્યોનું પાલન અને આપણા વારસા પર ગર્વ. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે ભારત ઝડપી વિકાસ અને સમૃદ્ધ વારસાનાં એમ બંને સંકલ્પોને એકસાથે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. PMએ જણાવ્યું હતું કે, ભગવાન બુદ્ધ સાથે સંબંધિત વારસાનું સંરક્ષણ પંચ પ્રાણ અભિયાનની પ્રાથમિકતા છે. 

ભારત અને નેપાળમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત સ્થળોના વિકાસ કાર્યોને બુદ્ધ સર્કિટના રૂપમાં સૂચિબદ્ધ કરતા PM મોદીએ કહ્યું હતું કે, કુશીનગરમાં એક આંતરરાષ્ટ્રીય વિમાનમથકની શરૂઆત કરવામાં આવી હતી, લુમ્બિનીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર બૌદ્ધ કલ્ચર એન્ડ હેરિટેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, લુમ્બિનીમાં બૌદ્ધ યુનિવર્સિટીમાં બૌદ્ધ અભ્યાસ માટે ડો. બાબાસાહેબ આંબેડકર ચેરની સ્થાપના કરવામાં આવી છે. સાથે જ બોધગયા, શ્રાવસ્તી, કપિલવસ્તુ, સાંચી, સતના અને રેવા જેવા ઘણા સ્થળોએ વિકાસ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યો છે. PM મોદીએ એમ પણ જણાવ્યું કે, તેઓ 20 ઓક્ટોબર, 2024નાં રોજ વારાણસીનાં સારનાથમાં થયેલાં અનેક વિકાસલક્ષી કાર્યોનું ઉદઘાટન કરશે. તેમણે વધુમાં કહ્યું કે, નવા નિર્માણની સાથે-સાથે સરકાર ભારતનાં સમૃદ્ધ ભૂતકાળને જાળવવા પ્રયાસો પણ હાથ ધરી રહી છે. PM મોદીએ જણાવ્યું હતું કે, સરકારે છેલ્લાં દાયકામાં ભારતમાં 600થી વધારે પ્રાચીન વારસો, કળાકૃતિઓ અને અવશેષો પરત લાવ્યાં છે, જેમાંથી ઘણાં બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે. તેમણે ઉમેર્યું હતું કે, બુદ્ધનાં વારસાની નવજાગૃતિમાં ભારત તેની સંસ્કૃતિ અને સભ્યતાને નવી રીતે પ્રસ્તુત કરી રહ્યું છે.

PMએ ભગવાન બુદ્ધનાં ઉપદેશોને પ્રોત્સાહન આપવાની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો, જે માત્ર દેશનાં લાભ માટે જ નહીં, પણ માનવતાની સેવા માટે પણ સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે, બુદ્ધનાં ઉપદેશોને અનુસરતાં દેશોને સંગઠિત કરવા વૈશ્વિક સ્તરે પ્રયાસો થઈ રહ્યાં છે તથા મ્યાનમાર, શ્રીલંકા અને થાઇલેન્ડ જેવા ઘણાં દેશો પાલી ભાષાની ટિપ્પણીઓનું સક્રિયપણે સંકલન કરી રહ્યાં છે. PM મોદીએ જણાવ્યું હતું કે, પાલીને પ્રોત્સાહન આપવા માટે સરકાર પરંપરાગત પદ્ધતિઓ અને ઓનલાઇન પ્લેટફોર્મ, ડિજિટલ આર્કાઇવ્સ અને એપ્સ જેવી આધુનિક પદ્ધતિઓ અને આધુનિક અભિગમો એમ બંનેનો ઉપયોગ કરીને ભારતમાં આ પ્રકારનાં સમાન પ્રયાસોને વેગ આપી રહી છે. ભગવાન બુદ્ધને સમજવામાં સંશોધનનાં મહત્ત્વ પર પ્રકાશ પાડતાં PM મોદીએ જણાવ્યું હતું કે, બુદ્ધ જ્ઞાન અને તપાસ બંને છે. તેમણે બુદ્ધનાં ઉપદેશોમાં આંતરિક સંશોધન અને શૈક્ષણિક સંશોધન એમ બંનેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે યુવાનોને આ મિશન તરફ દોરી જવા માટે બૌદ્ધ સંસ્થાઓ અને સાધુઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા માર્ગદર્શન પર ગર્વ વ્યક્ત કર્યો હતો.

21મી સદીમાં વધી રહેલી વૈશ્વિક અસ્થિરતાનો ઉલ્લેખ કરીને PMએ જણાવ્યું હતું કે, બુદ્ધનાં ઉપદેશો પ્રસ્તુત હોવાની સાથે-સાથે આજની દુનિયામાં આવશ્યક પણ છે. સંયુક્ત રાષ્ટ્રમાંથી પોતાના સંદેશને દોહરાવતા PMએ કહ્યું હતું કે, ભારતે વિશ્વને યુદ્ધ નથી આપ્યું, પણ બુદ્ધ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ યુદ્ધ નહીં પણ ભગવાન બુદ્ધમાં સમાધાન શોધી કાઢશે કારણ કે તેમણે વિશ્વને બુદ્ધ પાસેથી શીખવા, યુદ્ધનો અસ્વીકાર કરવા અને શાંતિ માટેનો માર્ગ મોકળો કરવા હાકલ કરી હતી. ભગવાન બુદ્ધના શબ્દોને ટાંકીને PMએ સમજાવ્યું હતું કે, શાંતિથી મોટું સુખ બીજું કોઈ નથી; બદલો લેવાથી વેરની ભાવના શાંત થતી નથી અને કરુણા અને માનવતા દ્વારા જ દ્વેષને દૂર કરી શકાય છે. વધુમાં તેમણે ભગવાન બુદ્ધનો સૌના માટે ખુશી અને કલ્યાણનો સંદેશ આપ્યો હતો.

ભારતે વર્ષ 2047 સુધીનાં આગામી 25 વર્ષ અમૃત કાલ તરીકે ઓળખાવ્યાં છે એ વાતનો ઉલ્લેખ કરીને PM મોદીએ કહ્યું હતું કે, અમૃત કાલનો આ સમયગાળો ભારતની પ્રગતિનો ગાળો હશે, જે એક વિકસિત ભારતનું નિર્માણ કરવાનો સમયગાળો હશે, જેમાં ભગવાન બુદ્ધનાં ઉપદેશો ભારતે તેનાં વિકાસ માટે જે રોડમેપ બનાવ્યો છે, તેમાં માર્ગદર્શન આપશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર બુદ્ધની ભૂમિ પર જ શક્ય છે કે આજે વિશ્વની સૌથી મોટી વસ્તી સંસાધનોના ઉપયોગ અંગે સભાન છે. સમગ્ર વિશ્વ આબોહવામાં પરિવર્તનની કટોકટીનો સામનો કરી રહ્યું છે તેના પર ભાર મૂકતાં PMએ કહ્યું હતું કે, ભારત આ પડકારોનાં સમાધાનો પોતાની મેળે જ નથી શોધી રહ્યું, પણ દુનિયા સાથે પણ તેને વહેંચી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતે દુનિયાનાં ઘણાં દેશોને સાથે રાખીને મિશન લાઈફની શરૂઆત કરી હતી.

ભગવાન બુદ્ધનાં ઉપદેશોનું પઠન કરતાં PM મોદીએ કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારની ભલાઈની શરૂઆત આપણે જાતે જ કરવી જોઈએ, જે મિશન લાઈફનાં વિચારનું હાર્દ હતું. તેમણે ઉમેર્યું હતું કે, દરેક વ્યક્તિની કાયમી જીવનશૈલીમાંથી સ્થાયી ભવિષ્યનો માર્ગ નીકળશે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના મંચની જેમ વિશ્વમાં ભારતના પ્રદાનની નોંધ લેતા, જી-20ની અધ્યક્ષતા દરમિયાન વૈશ્વિક જૈવઇંધણ ગઠબંધનની રચના, એક સૂર્ય, એક વિશ્વ, વન ગ્રિડના વિઝનની નોંધ લેતા PM મોદીએ જણાવ્યું હતું કે, આ તમામ બાબતો ભગવાન બુદ્ધના વિચારોને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતનો દરેક પ્રયાસ દુનિયા માટે સ્થાયી ભવિષ્ય સુનિશ્ચિત કરવા તરફ છે. PMએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર, ભારતનું ગ્રીન હાઇડ્રોજન મિશન, વર્ષ 2030 સુધીમાં ભારતીય રેલવેને ચોખ્ખું શૂન્ય બનાવવાનું લક્ષ્યાંક, પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારીને 20 ટકા કરવા જેવી વિવિધ પહેલો તરફ ધ્યાન દોર્યું હતું. આ તમામ પહેલોએ આ પૃથ્વીની સુરક્ષા માટે ભારતનાં મજબૂત ઇરાદાને પ્રદર્શિત કર્યો હતો.

PMએ જણાવ્યું હતું કે, સરકારનાં ઘણાં નિર્ણયો બુદ્ધ, ધમ્મ અને સંઘથી પ્રેરિત છે તથા તેમણે દુનિયામાં કટોકટીનાં સમયમાં ભારત પ્રથમ પ્રતિસાદ આપનાર દેશ હોવાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે તુર્કીમાં ધરતીકંપ, શ્રીલંકામાં આર્થિક કટોકટી અને કોવિડ-19 રોગચાળા જેવી વૈશ્વિક કટોકટી દરમિયાન દેશની ઝડપી કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, આ બુદ્ધનાં કરુણાનાં સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું હતું કે, એક વિશ્વ બંધુ (વિશ્વનાં મિત્ર) તરીકે ભારત દરેકને સાથે લઈને ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, યોગ, બાજરી, આયુર્વેદ અને કુદરતી ખેતી જેવી પહેલો ભગવાન બુદ્ધનાં ઉપદેશોથી પ્રેરિત છે.

સંબોધનના સમાપનમાં PMએ જણાવ્યું હતું કે, ભારત, જે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, તે પણ તેના મૂળિયાને મજબૂત કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ લક્ષ્યાંક ભારતની યુવા પેઢી વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં દુનિયાનું નેતૃત્વ કરે અને સાથે સાથે તેમની સંસ્કૃતિ અને મૂલ્યો પર ગર્વ અનુભવે છે. તેમણે કહ્યું હતું કે, બૌદ્ધ ધર્મનાં ઉપદેશો આ પ્રયાસોમાં આપણું સૌથી મોટું માર્ગદર્શક છે તથા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત ભગવાન બુદ્ધનાં ઉપદેશો સાથે પ્રગતિ કરવાનું ચાલુ રાખશે.

Leave a Reply

error: Content is protected !!