fbpx

દિલ્હીમાં એક ACએ 9 લોકોનો જીવ લઈ લીધો, કોઈ બેડ પર જ હોમાયું તો કોઈ સીડી પર ભડથું થયું

Spread the love

દિલ્હીમાં એક ACએ 9 લોકોનો જીવ લઈ લીધો, કોઈ બેડ પર જ હોમાયું તો કોઈ સીડી પર ભડથું થયું

દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલી ચાર માળની ઈમારતમાં ભયંકર આગ લાગવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આગ એટલી ભયાનક હતી કે ઈમારતમાં સૂતા લોકોને પોતાની જાન બચાવવાનો મોકો પણ મળ્યો નહોતો. કેટલાક લોકોના મૃતદેહ બેડ પર મળ્યા, જ્યારે કેટલાક સીડી પર જ બળેલી હાલતમાં મળ્યા.

રિપોર્ટ મુજબ ઈમારતના બીજા માળના પાછળના ભાગમાં લગાવેલા ACમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે આગ લાગી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે તે ત્રીજા માળ સુધી પહોંચી ગઈ. લોકો બચવા માટે પ્રયત્ન તો કર્યા, પરંતુ ઘણીવાર તેઓ નિષ્ફળ રહ્યા.

02

ત્રીજા માળ પર રહેતા એક પરિવારના સભ્યો પોતાનો જીવ બચાવવા માટે છત તરફ ભાગ્યા હતા, પરંતુ દુર્ભાગ્યે છતનો દરવાજો બંધ હતો. જેના કારણે તેઓ દાદરમાં જ ફસાઈ ગયા અને ત્યાં જ બળીને મોતને ભેટ્યા. જ્યાં આગ લાગી હતી તે માળ પર હાજર ચાર લોકો પણ જીવતા બચી શક્યા નહોતા અને તેઓ પણ આગમાં મૃત્યુ પામ્યા.

ઈમારતના આગળના ભાગમાં રહેનાર લોકોને સમયસર બચાવી લેવામાં આવ્યા, પરંતુ પાછળના ભાગમાં રહેનાર લોકો સુધી રાહત ટીમ પહોંચી શકી નહોતી. મૃતદેહો એટલા વધુ બળેલા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે.

ફાયર વિભાગ મુજબ, ત્રણ મૃતદેહ બેડ પર મળ્યા છે, જે દર્શાવે છે કે આગ એટલી ઝડપી અને ભયંકર હતી કે તેઓ ઊભા થવાનો સમય પણ નહોતો મળ્યો. પોલીસે અત્યાર સુધી 9 લોકોના મોતની પુષ્ટિ કરી છે અને આ આંકડો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

03

સ્થાનિક લોકોએ જણાવ્યું કે રાત્રે લગભગ 3 વાગ્યે આગ લાગી હતી અને સવારે 5 વાગ્યે પણ આગ ભયંકર રીતે ચાલુ હતી. કેટલાક લોકોને બચાવવા માટે ઈમારતના પાછળના ભાગમાંથી સરિયા કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક બાળકી અને એક મહિલાને સલામત રીતે બચાવવામાં આવ્યા હતા.

સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર પંકજ લૂથરા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, “મને માહિતી મળતા જ હું તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ઉપર જઈને તપાસ કરતા બીજા માળના પાછળના ભાગમાં પાંચ મૃતદેહ મળ્યા, એક વધુ મૃતદેહ પાછળથી અને ત્રણ ઉપરના માળેથી મળ્યા છે. હાલ મૃતકોની ઓળખ શક્ય નથી.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “હાલ તપાસ ચાલુ છે. DNA ટેસ્ટિંગ થયા પછી જ મૃતકોની ઓળખ અને તેમનું લિંગ જાણી શકાશે. હાલ સુધી 9 મૃતદેહોની પુષ્ટિ થઈ ચૂકી છે. ઘટનાનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે જાહેર થયું નથી. લોકો શોર્ટ સર્કિટની વાત કરી રહ્યા છે, પરંતુ તેની પુષ્ટિ નથી.”

04

ફાયર અધિકારી મુકેશ વર્માએ જણાવ્યું કે ઈમારતમાંથી 9 બળેલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આગ ઈમારતના પાછળના ભાગમાં લાગી હતી. ઈમારતમાં માત્ર એક જ સીડી હતી, જે મધ્યમાં આવેલી હતી. ઉપરાંત, બાલ્કનીમાં જાળ લગાવવામાં આવી હતી, જેના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મોડું થયું.

Leave a Reply

error: Content is protected !!