
માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. વિપક્ષી ગઠબંધન INDIA બ્લોક અને મહા વિકાસ આઘાડીમાં મતભેદો ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે. મરાઠા નેતા શરદ પવારે DyCM એકનાથ શિંદેનું સન્માન કર્યા પછી MVAમાં તિરાડ વધુ તીવ્ર બની છે. આ દરમિયાન, શિવસેના UBT નેતા આદિત્ય ઠાકરેએ દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓ વચ્ચે રાજકીય પરિસ્થિતિ અને ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા થઈ. આ બેઠક એવા સમયે થઈ છે, જ્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

ખરેખર, અહીં એ પણ જાણવું જોઈએ કે દિલ્હીની ચૂંટણી પછી, INDIA બ્લોકમાં પણ તિરાડ પડી ગઈ છે. જ્યારે કોંગ્રેસ BJP સામે એકલી મેદાનમાં હતી ત્યારે અખિલેશના સમાજવાદી પાર્ટી, CM મમતાના પક્ષે આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો હતો. આ દરમિયાન, આદિત્ય ઠાકરે અને રાહુલ ગાંધી વચ્ચેની મુલાકાતમાં ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પણ ચર્ચા થઈ. વિરોધ પક્ષોનો આરોપ છે કે, ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાઓ થઈ છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસે ઘણી બેઠકો પર તેને નુકસાન પહોંચાડ્યું, જેનો ફાયદો BJPને થયો. આ મુદ્દા પર INDIA બ્લોકમાં પણ આંતરિક ઝઘડો ચાલી રહ્યો છે, કારણ કે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને CM મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો હતો, જ્યારે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડી રહી હતી.

આ દરમિયાન, મહારાષ્ટ્રમાં, શરદ પવાર દ્વારા DyCM એકનાથ શિંદેને ‘મહાદજી શિંદે રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા પછી MVAમાં હોબાળો મચી ગયો છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે આ પગલાને ખોટું ગણાવ્યું અને DyCM શિંદેને ‘ગદ્દાર’ ગણાવ્યા. આદિત્ય ઠાકરેએ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, જે લોકો મહારાષ્ટ્ર વિરોધી છે તેઓ રાષ્ટ્ર વિરોધી છે, અને આવા લોકોનું સન્માન ન કરવું જોઈએ. તેમણે શરદ પવારના આ પગલા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તે તેમના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
આ એ જ DyCM શિંદે છે જેમણે 2022માં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારને તોડી પાડ્યા પછી BJPના સમર્થનથી CM પદ સંભાળ્યું હતું. હવે રાજકીય નિષ્ણાતો માને છે કે આ ઘટનાક્રમ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ફેરફાર લાવી શકે છે. શરદ પવારના આ નિર્ણયથી MVAમાં આંતરિક વિખવાદ વધુ ઘેરો બન્યો છે. જ્યારે, BJP, શિંદે જૂથની શિવસેના અને DyCM અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહાગઠબંધને છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે MVAને મોટો ઝટકો લાગ્યો હતો.

હાલમાં, આદિત્ય ઠાકરેની રાહુલ ગાંધી સાથેની મુલાકાત પછી, બધાની નજર તેની ભવિષ્યમાં શું અસર થશે તેના પર ટકેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આદિત્ય ઠાકરે અરવિંદ કેજરીવાલને પણ મળવાના છે, જેથી વિપક્ષી ગઠબંધનમાં નવી રણનીતિ પર ચર્ચા થઈ શકે. હવે આપણે જોવાનું છે કે, વિપક્ષ કઈ દિશામાં પલટી મારે છે.