
ઉત્તર પ્રદેશ પોલીસે મહાકુંભ 2025 સાથે સંબંધિત ભ્રામક અને ખોટી માહિતી ફેલાવનારા 7 સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ સામે કડક કાર્યવાહી કરી છે. 13 ફેબ્રુઆરી 2025ના રોજ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા મોનિટરિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સે મિસ્ત્રમાં 2020માં થયેલા અગ્નિ કાંડના વીડિયોને મહા કુંભ સાથે જોડીને અફવા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પોસ્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ‘મહાકુંભમાં ત્રીજી વખત આગ લાગી, મહાકુંભ બસ સ્ટેન્ડ પર 40-50 ગાડીઓ બળીને રાખ થઈ ગઇ.’
પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સ્પષ્ટ થયું કે વીડિયો 14 જુલાઈ, 2020ના રોજ મિસ્ત્રનાના કાહિરો ઉપનગરમાં તેલના લિકેજને કારણે લાગેલી આગનો હતો, જેનું ખંડન કુંભ મેળા અને ઉત્તર પ્રદેશ પોલીસના સત્તાવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ્સથી કરવામાં આવ્યું હતું. એ છતા, કેટલાક સોશિયલ મીડિયા અકાઉન્ટ્સે આ વીડિયોને મહાકુંભ સાથે જોડીને ખોટી માહિતી ફેલાવવાની શરૂઆત કરી દીધી.

આ મામલે જે 7 સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી તે નીચે મુજબ છે.
India With Congress (@UWCforYouth) – X
Harindra Kumar Rao (@kumar.harindra.rao) – Instagram
Anil Patel (@_1_4_3_anil_patel) – Instagram
Vishal Babu (@a.v.r_rider_0) – Instagram
Nemi Chand (@nemichand.kumawat.2022) – Instagram
Sifa Bhadoriya (@bhadoriya6285) – Instagram
Hello Prayagraj (@Hello_Prayagraj) – YouTube
પોલીસનું કહેવું છે કે આ અકાઉન્ટ્સ મહાકુંભના આયોજનને બદનામ કરવા અને પ્રશાસન પ્રત્યે નકારાત્મક માહોલ બનાવવાના હેતુથી ખોટી માહિતી ફેલાવવામાં આવી. યુપી પોલીસે આ અકાઉન્ટ્સ સામે કોતવાલી કુંભમેળામાં FIR દાખલ કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મહાકુંભ મેળા સાથે જોડાયેલી અન્ય ભ્રામક પોસ્ટ પર પણ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનામાં, સોશિયલ મીડિયા પર કુલ 53 અકાઉન્ટ્સ સામે FIR નોંધવામાં આવી છે, જે મહાકુંભ સાથે જોડાયેલી અફવાઓ ફેલાવવામાં સંડોવાયેલા હતા.

તમને જણાવી દઈએ કે આમાંથી કેટલાક અકાઉન્ટ્સે કુંભમેળા વિસ્તારમાં ફાયર સર્વિસ દ્વારા કરવામાં આવેલી મોક ડ્રિલને અસલી આગની ઘટના બતાવીને અફવા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે કેટલાકે નેપાળ અને ગાઝીપુરની ઘટનાઓના વીડિયોને મહાકુંભ સાથે જોડ્યા હતા. પોલીસ દ્વારા મહાકુંભની સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 24X7 નજર રાખવામાં આવી રહી છે. DGP પ્રશાંત કુમારે અપીલ કરી છે કે લોકો સોશિયલ મીડિયા પર કોઈ પણ પોસ્ટને વેરિફિકેશન કર્યા વિના શેર ન કરે અને જવાબદાર નાગરિક બને. પોલીસ હવે સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી આ અકાઉન્ટ ચલાવનારાઓની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.