

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં યજમાન પાકિસ્તાની ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. પાકિસ્તાનને આ પહેલા ન્યૂઝીલેન્ડ સામે 60 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી તેને ભારતીય ટીમ સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. સતત બે હારના કારણે પાકિસ્તાની ટીમ સેમિફાઇનલની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ છે. પાકિસ્તાની ટીમ હવે ટૂર્નામેન્ટમાં તેની છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે રમી રહી છે, જેનું ટૂર્નામેન્ટ માટે કોઈ ખાસ મહત્વ રહ્યું નથી.

પાકિસ્તાની ટીમના ખરાબ પ્રદર્શન વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં ઓપનિંગ બેટ્સમેન ઇમામ ઉલ હક પાકિસ્તાની ટીમની અંદરની લડાઈ વિશે વાત કરી રહ્યા છે. જ્યારે ઇમામને પૂછવામાં આવ્યું કે, ટીમનો લીડર કોણ છે, ત્યારે તેણે કહ્યું કે, બધા અંદરોઅંદર લડી રહ્યા હતા. ફખર ઝમાન ઘાયલ થયા પછી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાની ટીમમાં ઇમામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇમામ ભારત સામેની મેચમાં પણ રમ્યો હતો.
ઇમામ ઉલ હક પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકનો ભત્રીજો છે. ઇમામે ખુલાસો કર્યો કે, મોહમ્મદ રિઝવાન નમાઝ માટે હોટલોમાં રૂમ શોધે છે. આ ઉપરાંત, નમાઝ રૂમમાં બિન-મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ છે. ઇમામે આ વાતો અલ્ટ્રા એજ પોડકાસ્ટમાં કહી હતી. આ પોડકાસ્ટ ડિસેમ્બર 2024નો છે.

ઇમામ ઉલ હક કહે છે, ‘લીડરનું નામ મારા મગજમાં નથી આવી રહ્યું. બધા લોકો એકબીજા સાથે લડી રહ્યા છે. રિઝી (રિઝવાન) નમાઝ સમયે બધાને ભેગા કરી લે છે. આ તેની ખૂબ જ સારી આદત છે. જ્યારે પણ અમે કોઈપણ હોટલમાં જઈએ છીએ, ત્યારે સૌથી પહેલા અમારે રૂમ શોધીને ચાદર પાથરવાની હોય છે. કોઈના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો. ત્યાંના કર્મચારીઓ બિન-મુસ્લિમ હોય છે, તેમને અંદર આવતા અટકાવવા. વોટ્સએપ ગ્રુપ બનાવવું અને સમય પ્રમાણે કાર્યક્રમ મોકલવો. રિઝવાન આ બધું કામ કરે છે.’
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કેપ્ટન મોહમ્મદ રિઝવાન અને કોચ આકિબ જાવેદ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. ટીમની પસંદગી અંગે બંને વચ્ચે મતભેદ હતા. રિઝવાને ખુશદિલ શાહને ટેકો આપ્યો, જ્યારે જાવેદે ફહીમ અશરફને પસંદ કર્યો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાની કેપ્ટન રિઝવાનનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નહોતું. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રિઝવાન માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ભારત સામેની મેચમાં રિઝવાને 46 રન બનાવવા માટે 77 બોલ લીધા હતા. રિઝવાનની ધીમી બેટિંગ માટે ભારે ટીકા થઈ રહી છે.

બીજી તરફ, પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇમરાન ખાન પોતાની ટીમના પ્રદર્શનથી ખૂબ નિરાશ છે. તેમની બહેન અલીમા ખાને આ માહિતી આપી. રાવલપિંડીની અદિયાલા જેલમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ PMને મળ્યા પછી, તેમની બહેન ખાન અલીમાએ ખુલાસો કર્યો હતો કે, ઇમરાન કટ્ટર હરીફ ભારત સામે પાકિસ્તાનના નબળા પ્રદર્શનથી નારાજ હતા. દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી હાઇ-પ્રોફાઇલ મેચમાં પાકિસ્તાનનો છ વિકેટથી કારમી હાર થયો. વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી અને ભારતે 241 રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો.
એક ન્યૂઝ એજન્સી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અલીમાએ કહ્યું, PTI (પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ)ના સ્થાપકે ભારત સામે મેચ હારવા પર ખૂબ દુઃખ વ્યક્ત કર્યું. અલીમાએ કહ્યું કે, ઇમરાને જેલમાં હતો ત્યારે મેચ જોઈ હતી. ઇમરાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા મોહસીન નકવીની ક્ષમતાઓ પર પણ સવાલ ઉઠાવ્યા અને વર્તમાન સરકાર દ્વારા ક્રિકેટ વહીવટમાં ટોચના હોદ્દાઓ પર નિમણૂકો પર નિરાશા વ્યક્ત કરી.