

રાજ્યસભાના સભ્ય અશોક કુમાર મિત્તલે સોમવારે રાજ્યસભામાં અલ્લાહાબાદ હાઈકોર્ટ અને અલ્લાહાબાદ યુનિવર્સિટીના નામ બદલવાની માગ ઉઠાવી હતી. તેમણે કહ્યું કે, જ્યારે શહેરનું નામ પ્રયાગરાજ થઈ ગયું છે, તો આ સંસ્થાઓના નામ પણ બદલવા જોઈએ. તેમણે બ્રિટિશ કાળમાં રાખવામાં આવેલા સંસ્થાઓ અને ભવાનોના નામ બદલવાની પણ માગ કરી હતી. સરકારે આ દિશામાં ઘણાં પગલાં લીધાં છે. તેમણે રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરવા, ભારતીય દંડ સંહિતાનું નામ બદલીને ભારતીય ન્યાય સંહિતા કરવા જેવા ઉદાહરણો આપ્યા. પરંતુ શું આટલું પૂરતું છે? બોમ્બે હાઈકોર્ટ, મદ્રાસ હાઈકોર્ટ અને કોલકાતા હાઈકોર્ટ જેવી ઘણી હાઈકોર્ટના નામ હજુ પણ બ્રિટિશ કાળના છે.
દિલ્હીમાં એવા રસ્તાઓ અને હોસ્પિટલો છે જેના નામ બ્રિટિશ કાળના છે. મિત્તલે કહ્યું કે, તેમને પ્રયાગરાજમાં મહાકુંભની પવિત્ર યાત્રા કરવાનો અવસર મળ્યો. શહેરનું નામ બદલીને પ્રયાગરાજ કરી દેવામાં આવ્યું છે, પરંતુ ત્યાંની હાઈકોર્ટ હજુ પણ અલ્લાહબાદ હાઈકોર્ટ, યુનિવર્સિટીને અલ્લાહાબાદ યુનિવર્સિટી અને લોકસભા મતવિસ્તારને અલ્લાહાબાદ નામથી ઓળખવામાં આવે છે. તેઓ રાજ્ય સરકારોને બ્રિટિશ કાળની નામ વાળી ઇમારતો અને સંસ્થાઓના નામ બદલવા માટે પણ પત્ર લખશે. તેમણે એવી સંસ્થાઓની ઓળખ કરવા માટે એક સંસદીય સમિતિની રચના કરવાનું પણ સૂચન કર્યું, જેના નામ અત્યારે પણ બ્રિટિશ કાળના છે.
ગૃહમાં ઝીરો અવર દરમિયાન આ મુદ્દો ઉઠાવતા આમ આદમી પાર્ટી (AAP)ના સભ્ય અશોક કુમાર મિત્તલે કહ્યું કે ભારતે 200 વર્ષથી અંગ્રેજોના અત્યાચારો જોયા છે. આઝાદીના 70 વર્ષ પછી પણ આજે પણ અનેક હાઈકોર્ટ, રસ્તા, હોસ્પિટલ, યુનિવર્સિટી અને અન્ય ઐતિહાસિક ઈમારતોના નામ અંગ્રેજોના નામ પર છે.