

અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટીમાં એક અભ્યાસક્રમને લઈને વિવાદ થયો છે. બન્યું એવું કે એક વિદ્યાર્થીએ ‘લિવ્ડ હિન્દુ રિલિજિયન’ નામના અભ્યાસક્રમ અંગે આક્ષેપો કર્યા અને વિવાદ વધુ વકર્યો. આ પછી યુનિવર્સિટીએ સ્પષ્ટતા આપવી પડી. આ કોર્ષ ત્યાં પ્રોફેસર એરોન માઈકલ ઉલ્લેરી દ્વારા શીખવવામાં આવે છે અને તેનો ઉદ્દેશ્ય હિન્દુ ધર્મના તમામ પાસાઓને સમજાવવાનો છે. પરંતુ ભારતીય અમેરિકન વિદ્યાર્થી અને કાર્યકર્તા વસંત ભટ્ટે આ કોર્ષ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. તેમનું કહેવું છે કે, આ કોર્સ હિન્દુ ધર્મને ખોટી રીતે રજૂ કરે છે અને હિન્દુફોબિયાને પ્રોત્સાહન આપે છે.

આ ઘટના પછી અમેરિકામાં હિન્દુ સમુદાય અને શૈક્ષણિક વર્તુળોમાં ઘણી ચર્ચા થઈ રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વસંત ભટ્ટ અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ અભ્યાસક્રમમાં હિન્દુ ધર્મને પ્રાચીન જીવંત પરંપરાને બદલે વસાહતી રચના અને રાજકીય સાધન તરીકે દર્શાવવામાં આવ્યો છે. અભ્યાસક્રમની સામગ્રીનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે તે હિન્દુત્વને હિન્દુ રાષ્ટ્રવાદીઓ દ્વારા અન્ય ધર્મો, ખાસ કરીને ઇસ્લામને દબાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધન તરીકે દર્શાવે છે.
વધુમાં, ભટ્ટ દાવો કરે છે કે, આ રજૂઆત માત્ર હિન્દુ ધર્મની ખોટી છબી જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં તેના પ્રત્યે પૂર્વગ્રહ પણ પેદા કરે છે. આ ઉપરાંત, હિન્દુ વિદ્યાર્થી સંગઠનોએ પણ આ અભ્યાસક્રમની ટીકા કરી છે અને તેને હિન્દુ વિરોધી ગણાવ્યો છે. આ વિવાદના જવાબમાં, હ્યુસ્ટન યુનિવર્સિટી વહીવટીતંત્રે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. એક રીતે, એક સ્પષ્ટતા રજૂ કરવામાં આવી છે.

યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારી સીન લિન્ડસેએ જણાવ્યું હતું કે, તેઓ શૈક્ષણિક સ્વતંત્રતાને મહત્વ આપે છે અને અભ્યાસક્રમ ધાર્મિક અભ્યાસના ધોરણોની આસપાસ રચાયેલ છે. વહીવટીતંત્રે એમ પણ કહ્યું કે, ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને સમીક્ષાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીનું કહેવું છે કે, અભ્યાસક્રમમાં ઉપયોગમાં લેવાતી કટ્ટરવાદ જેવી પરિભાષા શૈક્ષણિક સંદર્ભમાં છે.

અન્ય એક અહેવાલ મુજબ, પ્રોફેસર એરોન માઈકલ ઉલેરીએ પણ આ અભ્યાસક્રમ અંગે સ્પષ્ટતા આપી છે. તેમનું કહેવું છે કે, મીડિયામાં તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો ઉદ્દેશ્ય કોઈ ધર્મની ટીકા કરવાનો નથી, પરંતુ ઐતિહાસિક, સામાજિક અને રાજકીય સંદર્ભમાં હિન્દુ ધર્મના વિકાસને સમજાવવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે હિન્દુ ધર્મ એક પ્રાચીન પરંપરા છે અને આ અભ્યાસક્રમનો હેતુ તેના પાસાઓ પર વિચાર કરવાનો છે.