

અમદાવાદમાં યોજાનાર સંમેલનમાં, કોંગ્રેસ સંગઠનાત્મક નિર્માણ અને જવાબદારી પર ભાર મૂકશે અને તેની સામેના પડકારોનો સામનો કરવા અને તેના ચૂંટણી નસીબને સુધારવા માટે એક રોડમેપ પણ તૈયાર કરશે.
ગુજરાતમાં 64 વર્ષ પછી આ પાર્ટી સંમેલન યોજાઈ રહ્યું છે.
પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, આ સત્ર દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિઓ (DCC)ની સત્તાઓ વધારવા, સંગઠન નિર્માણના કાર્યને ઝડપી બનાવવા, ચૂંટણીની તૈયારીઓ અને પદાધિકારીઓની જવાબદારી નક્કી કરવા જેવા નિર્ણયો લેવામાં આવશે.

આ સંમેલનમાં પાર્ટીના ટોચના નેતાઓ, કાર્યકારી સમિતિના સભ્યો, વરિષ્ઠ નેતાઓ અને અખિલ ભારતીય સમિતિના સભ્યો હાજરી આપશે.
આ સત્ર 9 એપ્રિલે યોજાશે અને તેના એક દિવસ પહેલા, 8 એપ્રિલે, વિસ્તૃત કાર્યકારી સમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં સંમેલનના કાર્યસૂચિને મંજૂરી આપવામાં આવશે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, પાર્ટીના 140 વર્ષના ઇતિહાસમાં ગુજરાતમાં કોંગ્રેસનું આ છઠ્ઠું અધિવેશન છે.

તેમણે કહ્યું, ‘ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની આવી પહેલી બેઠક સુરેન્દ્રનાથ બેનર્જીની અધ્યક્ષતામાં 23-26 ડિસેમ્બર 1902 દરમિયાન અમદાવાદમાં યોજાઈ હતી. કોંગ્રેસની બીજી બેઠક 26-27 ડિસેમ્બર 1907ના રોજ ગુજરાતના સુરતમાં રાસ બિહારી ઘોષની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
તેમના મતે, ગુજરાતમાં પાર્ટીનું ત્રીજું અધિવેશન 27-28 ડિસેમ્બર 1921ના રોજ હકીમ અજમલ ખાનની અધ્યક્ષતામાં યોજાયું હતું.
રમેશે કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટીનું ત્રીજું અધિવેશન 19-21 ફેબ્રુઆરી 1938ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં ગુજરાતના હરિપુરામાં યોજાયું હતું. કોંગ્રેસની આવી પાંચમી બેઠક 6-7 જાન્યુઆરી 1961ના રોજ ગુજરાતના ભાવનગરમાં નીલમ સંજીવ રેડ્ડીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

તેમણે કહ્યું કે ગુજરાતમાં છઠ્ઠી વખત કોંગ્રેસની આવી બેઠક 8 અને 9 એપ્રિલ 2025ના રોજ અમદાવાદમાં મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે.
રમેશે કહ્યું, ‘વિસ્તૃત કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક 8 એપ્રિલે સરદાર પટેલ સ્મારક ખાતે યોજાશે અને બીજા દિવસે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠક સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ વચ્ચે સાબરમતી નદીના કિનારે યોજાશે.’
પાર્ટીનું આ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યું છે, જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા પછી, મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હારને કારણે તેની આશાઓને મોટો ફટકો પડ્યો છે.

આ વર્ષે, પાર્ટીની નજર બિહાર વિધાનસભાની ચૂંટણી પર છે, જ્યાં તે તેના સાથી પક્ષો સાથે સત્તામાં પાછા ફરવાની આશા રાખે છે.
આગામી વર્ષ કોંગ્રેસના ચૂંટણી ભવિષ્ય માટે મહત્વપૂર્ણ રહેશે, કારણ કે તે કેરળ અને આસામની વિધાનસભા ચૂંટણીમાં સત્તાના દાવેદાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે. તે આવતા વર્ષે તમિલનાડુમાં DMK સાથે ગઠબંધનમાં ચૂંટણી લડશે, જોકે તેમણે હજુ સુધી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન અંગે ચિત્ર સ્પષ્ટ કર્યું નથી.