

ઘણીવાર લોકોને ટ્રેનોમાં મુસાફરી કરતી વખતે રોકડની સમસ્યાનો સામનો કરવો પડે છે. ક્યારેક, જે લોકો ખુબ જ ઉતાવળે મુસાફરી કરવા નીકળ્યા હોય છે તેઓ પોતાની સાથે રોકડ રાખી શકતા નથી અને તેથી, તેમને દરેક વખતે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ટ્રેનોમાં મોટાભાગે રોકડનો ઉપયોગ ખાવાનું, પાણી કે કોલ્ડ ડ્રિન્ક સહીત અન્ય વસ્તુઓ ખરીદવા માટે થાય છે. આવી સ્થિતિમાં, ભારતીય રેલ્વેએ આ સમસ્યાનો અંત લાવવા માટે એક પ્રયોગ કર્યો છે, જેના પછી ટૂંક સમયમાં ટ્રેનોમાં ATM મશીનો લગાવવામાં આવી શકે છે.
મુસાફરો કોઈપણ મુશ્કેલી વિના પૈસા ઉપાડી શકે છે કે કેમ તે જોવા માટે રેલવેએ ટ્રાયલ ધોરણે ટ્રેનમાં ATM મશીન લગાવ્યું છે. જો આ ટ્રાયલ સફળ થશે તો ખૂબ જ ટૂંક સમયમાં લોકો ચાલતી ટ્રેનમાં પણ ATMમાંથી પૈસા ઉપાડી શકશે અને રોકડની સમસ્યાથી બચી શકશે. આ ATM પંચવટી એક્સપ્રેસમાં લગાવવામાં આવ્યું છે.

ભારતીય રેલ્વેએ હવે મુસાફરોની સુવિધા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. હવે ચાલતી ટ્રેનમાં પણ ATM માંથી પૈસા ઉપાડી શકાશે. આ સુવિધા હાલમાં ટ્રાયલ મોડ પર શરૂ કરવામાં આવી છે. મનમાડથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સુધી દોડતી પંચવટી એક્સપ્રેસમાં ATM મશીન લગાવવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ રેલ્વે (CR)એ મુંબઈ-મનમાડ પંચવટી એક્સપ્રેસમાં ટ્રાયલ ધોરણે ઓટોમેટિક ટેલર મશીન (ATM) ઇન્સ્ટોલ કર્યું છે. તેમણે કહ્યું કે, ખાનગી બેંક દ્વારા પૂરું પાડવામાં આવેલ ATM દૈનિક સેવાના એર-કન્ડિશન્ડ ચેર કાર કોચમાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં મુસાફરો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ATM કોચના પાછળના ભાગમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ અગાઉ કામચલાઉ પેન્ટ્રી તરીકે થતો હતો. તેમણે કહ્યું કે, ટ્રેન ચાલુ હોય ત્યારે સુરક્ષા અને પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે એક શટર ડોર પણ લગાવવામાં આવ્યો છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોચમાં જરૂરી સુધારા મનમાડ રેલ્વે વર્કશોપ ખાતે કરવામાં આવ્યા હતા.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને નાસિક જિલ્લાના મનમાડ જંક્શન વચ્ચે દરરોજ દોડતી પંચવટી એક્સપ્રેસ તેની એકતરફી મુસાફરી લગભગ 4.35 કલાકમાં પૂર્ણ કરે છે. ઇન્ટરસિટી મુસાફરી માટે તેના અનુકૂળ સમયને કારણે તે આ રૂટ પરની લોકપ્રિય ટ્રેનોમાંની એક છે.