

મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો. બેસરનમાં, આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 12 લોકો ઘાયલ થયા હતા, જેમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. આ હુમલો અમરનાથ યાત્રા શરૂ થવાના થોડા મહિના પહેલા જ થયો છે, જેના કારણે સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. પહેલગામ આતંકવાદી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ ભયાનક દ્રશ્યનું વર્ણન કર્યું. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન TRFએ લીધી છે.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં એક મહિલાના પતિનું ગોળી વાગતા મોત થયું હતું. હુમલા પછી ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓને ભાગતા જોઈ શકાય છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મહિલાએ દુઃખદ શબ્દોમાં જણાવ્યું છે કે, આતંકવાદીઓએ તેના પતિને ગોળી મારી દીધી છે. આ પહેલા આતંકવાદીએ તેને પૂછ્યું કે, શું તે મુસ્લિમ છે? મહિલાએ કહ્યું કે, તે તેના પતિ સાથે ભેલપુરી ખાઈ રહી હતી ત્યારે એક આતંકવાદી આવ્યો અને પૂછ્યું કે શું તે મુસ્લિમ છે અને તેના પતિને ગોળી મારી દીધી હતી.
પહેલગામની તાજેતરની તસવીરમાં, એક મહિલા સ્થાનિક લોકોને તેના પતિને બચાવવા માટે અપીલ કરતી જોવા મળે છે. આ ભાવનાત્મક અપીલથી સમગ્ર દેશમાં સહાનુભૂતિની લહેર ઉભરી આવી છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, આતંકવાદીઓએ પહેલા તેમના નામ પૂછ્યા અને પછી તેમના પર ગોળીબાર કર્યો.

મીડિયા સૂત્રએ પહેલગામ આવેલા એક પ્રવાસી સાથે વાત કરી. પ્રવાસીએ જણાવ્યું કે, તેનું નામ પ્રદીપ છે અને તે પંજાબથી કાશ્મીર ફરવા આવ્યો હતો. જ્યારે તેઓ અહીં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે થોડા સમય પહેલા આતંકવાદી હુમલો થયો હતો અને કેટલાક પ્રવાસીઓને ગોળી મારી દેવામાં આવી હતી. જેમાં એકનું મૃત્યુ થયું છે.
પ્રવાસીએ કહ્યું, ‘થોડું ભયનું વાતાવરણ છે. અમને ઘરેથી ફોન પણ આવ્યો હતો, જેમાં તેમને પાછા આવવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે અમે પાછા જવા લાગ્યા હતા, ત્યારે અમારા કાશ્મીરી ભાઈઓએ અમને કહ્યું કે અહીં આવી કોઈ સમસ્યા નથી, તમારે અહીં જ રહેવું જોઈએ, જુઓ અહીં ડર તો લાગે જ છે. અહીંયા અમારા જે સ્થાનિક લોકો છે તેઓ અમારી સાથે છે, અમારા ભાઈઓ અહીં નથી, તેઓ ઘણા આગળ નીકળી ગયા છે.’

આતંકવાદી હુમલા પછી, PM નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. શાહે એક કટોકટી બેઠક બોલાવી છે. આ બેઠકમાં IBના ગૃહ સચિવ અને ગૃહ મંત્રાલયના અન્ય અધિકારીઓ હાજર છે. જમ્મુ અને કાશ્મીરના DGP વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા. જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ આ હુમલાની નિંદા કરી અને કહ્યું કે, મહેમાનો પર હુમલો કરવો એ ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.