
-copy7.jpg?w=1110&ssl=1)
કોઇ પણ લોકશાહી દેશની તાકાત તેનું મજબૂત લોકતંત્ર હોય છે. સરકાર લોકોથી ગભરાતી રહે તેનું નામ લોકશાહી. વર્તમાન પરિસ્થિતિમાં સરકાર નહીં, પણ લોકો સરકારથી બહુ જ ગભરાય છે. લોકોનો એ ડર જ લોકશાહીને નુકસાન પહોંચાડે છે. આજે લોકો પોતાની વાત કહેતા ડરી રહ્યા છે, સંકોચ અનુભવે છે, જાણતા અજાણતા આવા લોકો લોકશાહીને મોટું નુક્સાન પહોંચાડે છે. લોકશાહીને ધબકતી રાખવા માટે લોકો રાજકારણમાં સક્રિયપણે જોડાય, એને બરાબર સમજે એ જરૂરી છે. નહીં તો લોકશાહી લાંબા ગાળે નિર્જીવ બની જશે. આજે પરિસ્થિતિ એવી છે કે શિક્ષણમાં રાજકારણ વધુ છે. રાજકારણમાં શિક્ષણ ઓછું છે. સમયની માંગ છે કે લોકો જાગૃત બને, બંધારણીય અધિકારોને જાણે, લોકતંત્રને સમજે.

આપણને રાજકારણમાં રસ નહીં હોય તો પણ, રાજકારણને આપણામાં ખૂબ જ રસ છે. એ આપણા પરિવારને, રોજિંદા જનજીવનને, ખાસ કરીને નોકરી- ધંધા, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ જેવા મુદ્દાઓને સીધી રીતે અસર કરે છે. રાજકારણીઓ જ પોલિસી, કાયદા ઘડીને મારું તમારું ભવિષ્ય નક્કી કરે છે. આપણું રોજિંદુ જનજીવન આડકતરી રીતે રાજકારણ ઉપર જ નિર્ભર છે. આજે સોશ્યલ મીડિયા અને AI (આર્ટિફીશ્યલ ઇન્ટેલિજન્સ) નાં જમાનામાં રાજકીય કાર્યકરો સહિત મોટાભાગના લોકોને રાજકારણ શું છે એની ખબર જ નથી, બધાં “હળદરના ગાંઠિયે ગાંધી” થઈ ગયા છે.