

ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો તેમનું પાણી કનેક્શન સીધું કાપી દેવાશે. ઉપરાંત, ખોદકામ દરમિયાન પાણીની લાઇનને નુકસાન થવા પર જે તે જવાબદાર એજન્સી પાસે ભરપાઈ વસુલવામાં આવશે.

પાલિકાની તાજેતરની મીટીંગમાં ઉલ્લેખાયું કે, શહેરના ઘણા વિસ્તારોમાં ટાંકામાં બોલવાલ ન હોવાને કારણે પાણી રસ્તા પર વહી જાય છે અને મોટા પાયે પાણીનો બગાડ થાય છે. આ સ્થિતિને સુધારવા માટે નગરપાલિકા દ્વારા વોટર સપ્લાય વિભાગના વાલમેનને દરેક વિસ્તારમાં જઈને રહીશોને ટાંકામાં બોલવાલ લગાવવા સૂચના આપવામાં આવશે.

ભવિષ્યમાં જો કોઈ ઘરમાં પાણીનો બગાડ જોવા મળશે તો કોઈ પણ ચેતવણી વિના તેમનું કનેક્શન કાપી દેવામાં આવશે. નગરપાલિકા દ્વારા જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે જેથી લોકોને પાણી બચાવવાનું મહત્વ સમજાવી શકાય.