fbpx

‘રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઇએ..’, ખડગેએ કર્ણાટક સરકારને કેમ આપી ચીમકી?

Spread the love
‘રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઇએ..’, ખડગેએ કર્ણાટક સરકારને કેમ આપી ચીમકી?

કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર જાતિગત સર્વેક્ષણને લઈને ફૂંકી-ફૂંકીને પગલાં ભરી રહી છે. મુદ્દો પોતાના નેતા રાહુલ ગાંધીનો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મંગળવારે સીધો સંદેશ આપ્યો કે, જાતિગત વસ્તી ગણતરી કરો, પરંતુ તે સારી રીતે કરો. રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઈએ. આ વાત તેમણે કર્ણાટકના હોસપેટમાં કોંગ્રેસ સરકારના 2 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં કહી. સામે રાહુલ ગાંધી ઉપસ્થિત હતા. સાથે જ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને ઘણા મંત્રીઓ પણ હતા. ખડગેએ કહ્યું કે, હું સિદ્ધારમૈયા અને તેમના મંત્રીમંડળના તમામ મંત્રીઓને કહેવા માગુ છું કે જાતિગત વસ્તી ગણતરી કરાવો, પરંતુ તેને સારી રીતે કરો. તેનાથી રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઈએ. જો તમે કામનો શ્રેય ઈચ્છો છો, પરંતુ તેનાથી સમસ્યાઓ પેદા થાય છે, તો તેની અસર આખા રાજ્ય પર પડશે.

kharge1

ખડગેનું નિવેદન એક તરફ કોંગ્રેસ સરકારને ચેતવણી છે અને બીજી તરફ, તે રાહુલ ગાંધીની છબી બચાવવાનો પ્રયાસ પણ. જાતિગત સર્વેનો મુદ્દો હવે માત્ર રાજ્યની રાજનીતિ સુધી સીમિત નથી રહ્યો. આ એક રાષ્ટ્રીય બહેસ બની ચૂક્યો છે અને કોંગ્રેસ નેતૃત્વ નથી ઇચ્છતું કે કર્ણાટકમાં કોઈ ભૂલ પાર્ટીને દેશભરમાં મુશ્કેલીમાં નાખી દે. ખડગેએ સ્પષ્ટ કહ્યું કે, જો તમે કામનો શ્રેય લેવા માગો છો, પરંતુ તેનાથી સમસ્યાઓ ઉભી થાય છે, તો તેની અસર આખા રાજ્ય પર પડશે. આ સર્વે એવી રીતે કરો કે કાલે કોઈ સવાલ ન ઊભો કરી શકે. રાહુલ ગાંધીનું નામ બિનજરૂરી રીતે વિવાદમાં ન આવવું જોઈએ.

આ નિવેદન ત્યારે  આવ્યું છે, જ્યારે કર્ણાટક સરકાર અત્યાર સુધી આ સર્વેનો રિપોર્ટને સાર્વજનિક કરી શકી નથી. આ સર્વેને જાતિગત વસ્તી ગણતરી કહેવામાં આવી રહ્યો છે અને ઘણા સમુદાયો તેને અવૈજ્ઞાનિક ગણાવીને વિરોધ કરી ચૂક્યા છે. રાજ્યના બે મુખ્ય સમુદાય- વોક્કાલિગા અને વીરશૈવ-લિંગાયત, આ સર્વે વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે સર્વેની પ્રક્રિયા ખોટી છે અને તેને રદ કરીને તેને ફરીથી કરાવવી જોઈએ. માત્ર બહારથી જ નહીં, કોંગ્રેસની અંદરથી પણ વિરોધના સૂર ઉઠ્યા છે.

kharge2

ખડગેએ બીજો એક વિવાદાસ્પદ મુદ્દો ઉઠાવ્યો. બેડા જંગમા સમુદાયને અનુસૂચિત જાતિ (SC) લિસ્ટમાં સામેલ કરવા પર સવાલ ઉઠાવવામાં આવ્યા. તેમણે કહ્યું કે, હૈદરાબાદ-કર્ણાટક ક્ષેત્રમાં આ સમુદાયના માત્ર 500 લોકો હતા, હવે વસ્તી 4-5 લાખ કેવી રીતે થઈ ગઈ? આ અન્યાય છે. તેનાથી અસલી દલિત સમુદાયોને નુકસાન થશે. શું આપણે અનુસૂચિત જાતિઓની મદદ કરી રહ્યા છીએ કે તેમના અધિકારો છીનવી રહ્યા છીએ? તેમણે સરકાર પાસેથી નકલી જાતિ પ્રમાણપત્રો રજૂ કરનારાઓ સામે કડક કાર્યવાહીની પણ માગ કરી. ખડગેએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના દબાણ બાદ જ કેન્દ્રની મોદી સરકારે હવે દેશવ્યાપી જાતિગત વસ્તી ગણતરી માટે સહમતિ વ્યક્ત કરી છે.

error: Content is protected !!