

તાજેતરમાં અભિનેતા સુનીલ શેટ્ટી તેની દીકરી અથિયા શેટ્ટીના કુદરતી ડિલિવરી વિશે આપેલા નિવેદનને કારણે વિવાદમાં આવી ગયા હતા. તેમના નિવેદનને ઘણા લોકોએ સીઝેરિયન (C-section) ડિલિવરી કરાવનારી માતાઓને નીચું દેખાડવાનું હોય તેવું માન્યું. જોકે, વિવાદ ઊભો થતા સુનીલ શેટ્ટીએ માફી માંગતા જણાવ્યું કે તેમનો ઉદ્દેશ કોઈ મહિલાના માતૃત્વના અનુભવને ઓછું દેખાડવાનો નહોતો.
આ ઘટના એક મોટા સામાજિક મુદ્દા તરફ ધ્યાન ખેંચે છે —ઘણા લોકો કુદરતી ડિલિવરીને ઉત્તમ માને છે અને સીઝેરિયનને નબળું માનવાની માનસિકતા ધરાવે છે. જોકે, આ બન્ને પ્રકારની માન્યતા ધરાવનારાઓમાંથી મોટા ભાગના લોકો તેની પાછળની જટિલતાઓથી અજાણ હોય છે. આવી માન્યતાઓની અસરથી ઘણીવાર ગર્ભવતી મહિલાઓ ઉપર અણધાર્યો માનસિક દબાણ સર્જાય છે.

તબીબી નિષ્ણાતોની ભૂમિકા મહત્વપૂર્ણ
પ્રસવ એક જટિલ તબીબી પ્રક્રિયા છે. તેની પદ્ધતિ શું હોય એ નિર્ણય gynecologist અને obstetrician જેવા લાયક તબીબો દ્વારા લેવો જોઈએ. તેઓ માતા અને બાળકની તબિયત, સંભવિત મુશ્કેલીઓ વગેરેને ધ્યાનમાં રાખીને સૌથી સુરક્ષિત રીત પસંદ કરે છે. સ્ત્રીઓની પસંદગીઓ મહત્વની છે પણ તે તબીબી સલાહ સાથે સંતુલિત હોવી જોઈએ.

માતાઓ માટે માહિતી મહત્વપૂર્ણ છે
સ્ત્રીઓને ડિલિવરી પહેલા તેમની પાસે રહેલા વિકલ્પો વિશે પૂરી માહિતી હોવી ખૂબ જરૂરી છે. એવી માહિતી તેમને તબીબો સાથે ખુલ્લી ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. છતાં, અમુક વખતે પરિસ્થિતિમાં ફેરફાર આવતા પોતાને ગમતા નિર્ણયથી હટવું પડે — એટલે ફ્લેક્સિબલિટી જરૂરી છે.
સામાજિક માન્યતાઓથી દૂર થવું પડશે
કુદરતી ડિલિવરી સીઝેરિયન કરતાં શ્રેષ્ઠ જ છે —એવી માન્યતાઓ ખોટી અને નુકસાનકારક છે. C-section એ એક મોટી સર્જરી છે અને ઘણીવાર જીવન બચાવનારી સાબિત થાય છે. એનો નિર્ણય કોઇ ખાસ પરિસ્થિતિમાં જ લેવાય છે. ખરેખર એ માતાના સમર્પણ કે શક્તિને નાપવાનો માપદંડ જરાય નથી. આપણે સમાજમાં પ્રવર્તતી માન્યતાઓથી દૂર રહેવું જોઇએ. નહીં તો નુક્સાન કરી બેસીશું.

દરેક માતા માટે પ્રસવ એક જુદો અનુભવ છે. એના નિર્ણયનો આધાર સમયની માગ અનુસાર ડોક્ટરની સલાહ અને માતાને અપાતી યોગ્ય માહિતી પર હોવો જોઈએ, ન કે સામાજિક માન્યતાઓથી ઊભા થતા દબાણ પર. તબીબી નિષ્ણાતોની સલાહનું માન રાખીને અને માતાઓના વ્યક્તિગત અનુભવને સન્માન આપીને જ આપણે એક વધુ સમજદારીભર્યો દૃષ્ટિકોણ વિકસાવી શકીશું.