fbpx

‘ઈતિહાસના સૌથી મોટા કડાકાનો સમય આવી ગયો છે, શેરબજાર-બોન્ડ માર્કેટ ક્રેશ..’ કિયોસાકીની નવી ચેતવણી!

Spread the love
'ઈતિહાસના સૌથી મોટા કડાકાનો સમય આવી ગયો છે, શેરબજાર-બોન્ડ માર્કેટ ક્રેશ..' કિયોસાકીની નવી ચેતવણી!

બેસ્ટ સેલિંગ પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક અને પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર નવી ચેતવણી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘ઇતિહાસનો સૌથી મોટો કડાકો’ આવી રહ્યો છે અને તેમનું માનવું છે કે આ ઘટાડો આ ઉનાળાની ઋતુ દરમિયાન ચાલુ રહેશે.

કિયોસાકીએ X પરની તેમની નવીનતમ પોસ્ટમાં લખ્યું છે કે, ‘મને ડર છે કે ક્રેશનો સમય આવી ગયો છે અને તે આખા ઉનાળા દરમિયાન ચાલુ રહેશે.’

કિયોસાકીએ કહ્યું કે 2013માં પ્રકાશિત તેમના પુસ્તક રિચ ડેડ્સ પ્રોફેસીમાં ‘ઇતિહાસના સૌથી મોટા’ હાલના નાણાકીય પતનની આગાહી કરવામાં આવી હતી. તેમણે ચેતવણી આપી હતી કે સ્ટોક, બોન્ડ અને રિયલ એસ્ટેટ બજારો બધા મુશ્કેલીમાં છે. તેમને ડર છે કે લાખો લોકો, ખાસ કરીને બેબી બૂમર પેઢીના જુના રોકાણકારો, તેમની બચત ગુમાવી શકે છે.

Robert Kiyosaki

તેમણે લખ્યું, ‘દુર્ભાગ્યવશ, શેરબજાર અને બોન્ડ માર્કેટ તૂટી પડવાથી લાખો લોકો, ખાસ કરીને મારી પેઢીના બૂમર, નાશ પામશે.’

પરંતુ પોતાની આ આગાહી છતાં, કિયોસાકી એક આશાસ્પદ સ્થિતિ પણ જુએ છે. તેમનું માનવું છે કે, આ કડાકો એવા લોકો માટે પણ તકો ઉભી કરશે જેઓ સક્રિય છે અને સમજદારીપૂર્વક રોકાણ કરે છે. તેમના મતે, ચાંદી હાલમાં બજારમાં શ્રેષ્ઠ સોદો છે અને તેનું મૂલ્ય 2025 સુધીમાં ત્રણ ગણું થઈ શકે છે.

તેમણે કહ્યું, ‘આજે સૌથી મોટો સોદો ચાંદી છે. 2025માં ચાંદી 3 ગણી વધી શકે છે. સારા સમાચાર એ છે કે, ચાંદી હજુ પણ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી 60 ટકા નીચે છે… હજુ પણ તેની કિંમત 35 ડૉલરની આસપાસ છે… જ્યારે સોનું અને બિટકોઈન સર્વકાલીન ઉચ્ચ સ્તર પર અથવા તેની નજીક છે.’

કિયોસાકીએ કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં ભૌતિક ચાંદી ખરીદવા માટે તેમના સ્થાનિક સોના અને ચાંદીના વેપારીની મુલાકાત લેવાની યોજના ધરાવે છે, એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF) લેવા માટે નહીં, જેને તેઓ ‘નકલી નાણાં’ કહે છે.

Robert Kiyosaki

તેમણે તેમના ફોલોઅર્સને આગામી દિવસોમાં તેમની નાણાકીય પસંદગીઓ વિશે કાળજીપૂર્વક વિચારવા વિનંતી કરી. તેમણે કહ્યું, ‘ચાંદીની કિંમત લગભગ 35 ડૉલર પ્રતિ ઔંસ છે, જેનો અર્થ એ છે કે, વિશ્વમાં લગભગ દરેક વ્યક્તિને ધનવાન બનવાની તક મળે છે… જ્યારે લાખો લોકો ગરીબ બની જાય છે.’

તેમણે પોસ્ટનો અંત તેમના ફોલોઅર્સ માટે એક પ્રશ્ન અને સલાહ સાથે કર્યો: ‘તમે કાલે શું કરવાના છો… ધનવાન બનવાના કે ગરીબ બનવાના?’ કિયોસાકીએ તેમની પોસ્ટમાં પૂછ્યું. તેમણે સલાહ આપતા કહ્યું કે, ‘કૃપા કરીને ધનવાન બનવાનું પસંદ કરજો.’

નોંધ : શેર બજારમાં નાણાકીય રોકાણ તમારા બજાર નિષ્ણાંતની સલાહ લઈને જ કરજો.

error: Content is protected !!