

ગુજરાતમાં નકલી અધિકારીઓના મામલા સતત વધી રહ્યા છે. આ દરમિયાન હવે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી એક નકલી TTE પકડાયો છે. રેલવે સુરક્ષા બળ (RPF)એ જણાવ્યું હતું કે, 2 જૂનની રાત્રે લગભગ 10:00 વાગ્યે, સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ પર સુરક્ષા તપાસ દરમિયાન એક વ્યક્તિ TTEની વર્દીમાં શંકાસ્પદ અવસ્થામાં નજરે પડ્યો હતો.

RPFના SIPF પિયુષ ચૌધરીએ જ્યારે તેની પૂછપરછ કરી, ત્યારે તે સંતોષકારક જવાબ ન આપી શક્યો. તેને તાત્કાલિક પોસ્ટ પર લઇ જવામાં આવ્યો અને સઘન પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ શિવ શંકર જાયસ્વાલ, ઉંમર 45 વર્ષ, સુંદરપુર, વારાણસી (ઉત્તર પ્રદેશ)નો રહેવાસી બતાવ્યો હતો. આરોપીએ સ્વીકાર્યું કે તે નકલી વર્દી પહેરતો હતો અને ટિકિટ ચેકિંગના નામે QR કોડ સ્કેન કરાવીને મુસાફરો પાસેથી પૈસા વસૂલતો હતો. આ અગાઉ 30 મેના રોજ પણ, તે આવી જ ગતિવિધિઓમાં અમદાવાદ સ્ટેશન પર જોવા મળ્યો હતો. શંકા ન જાય તેના માટે તે ફેસ માસ્ક પહેરતો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તેની પાસે કોઈ માન્ય રેલવે ઓળખ કાર્ડ અથવા EFT નહોતું. તેની પાસે માત્ર આધાર કાર્ડ અને ATM કાર્ડ મળી આવ્યું હતું.

આરોપી મજૂર વર્ગ અને ઓછા શિક્ષિત મુસાફરોને નિશાનો બનાવતો હતો. ટિકિટમાં ત્રુટિ અથવા વેઇટિંગ લિસ્ટમાં બર્થ અપાવવાના નામ પર QR કોડથી પૈસા પડાવતો હતો. હવે આરોપીને આગળની કાર્યવાહી માટે GRP અમદાવાદને સોંપી દેવામાં આવ્યો છે. રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ માત્ર અધિકૃત ટિકિટ નિરીક્ષકોને જ ટિકિટ બતાવે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની સૂચના તાત્કાલિક પોલીસને આપે.