fbpx

વિસાવદર પેટાચૂંટણીમાં રાજકીય ગરમાવો, ગોપાલ ઈટાલિયાનો ભાજપ પર ગંભીર આરોપ, પથ્થરમારો…

Spread the love
વિસાવદર પેટાચૂંટણીમાં રાજકીય ગરમાવો, ગોપાલ ઈટાલિયાનો ભાજપ પર ગંભીર આરોપ, પથ્થરમારો...

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈ રાજકીય તણાવ વધ્યો છે. આમઆદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો પર જીવાપરા વિસ્તારમાં સભા દરમિયાન પથ્થરમારો અને ગાળાગાળીના ગંભીર આક્ષેપ કર્યા છે. ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે ભાજપના કોર્પોરેટરોના સંબંધીઓએ તેમની સામે હિંસક વર્તન કર્યું અને પોલીસમાં ફરિયાદ માટે ગયા ત્યારે અધિકારીઓ હાજર નહોતા.

ઇટાલિયાએ પ્રશ્ન ઉઠાવ્યો કે રાજ્ય લોકશાહીથી ચાલે છે કે “કિરીટશાહીથી”? આમઆદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ આ ઘટના અંગે ભાજપ પર નિશાન સાધ્યું.

આ આક્ષેપો સામે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે જણાવ્યું કે તેઓ 22 સરપંચો સાથે ગાંધીનગર જઈ વિસાવદરના 13 ગામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી બહાર કાઢવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

VISAVADAR  ELECTION

ગોપાલ ઇટાલિયાનો કિરીટ પટેલ પર પ્રહાર:

વિસાવદર પેટાચૂંટણીના ચુસ્ત રાજકીય માહોલ વચ્ચે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ શુક્રવારે (06/06/2025) ગડત ગામની સભામાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, “જો ચિઠ્ઠીથી કામ થતુ હોત તો વર્ષો સુધી સત્તામાં રહીને પણ લોકોના પ્રશ્નો હલ થયા હોત?” તેમણે ઉદાહરણ આપ્યું કે “સાસણથી વિસાવદરનો રસ્તો બંધ છે, એની પણ ચિઠ્ઠી લખો ને.”

આગળ ઇટાલિયાએ કિરીટ પટેલના પ્રયત્નોને “બે નંબરના કામની ચિઠ્ઠી” ગણાવીને કહ્યું કે, “ભાજપ ફરીથી સત્તામાં આવી તો મતદારોને ફરી રોવાનું વળશે.” તેમણે આરોપ લગાવ્યો કે કિરીટ પટેલ મગરમચ્છનાં આંસુ વહાવે છે અને ભ્રષ્ટાચાર છુપાવવાનું ષડ્યંત્ર ચલાવે છે.
ઇસુદાન ગઢવીએ પણ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર આક્રમક આક્ષેપ કર્યા.

VISAVADAR  ELECTION

દારૂ, ખાતર અને મગફળીકાંડ પર AAP vs BJP

વિસાવદર પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં પ્રતિબંધિત દારૂ સરળતાથી મળી જાય છે, જ્યારે ખેતી માટે જરૂરી ખાતર ખેડૂતોને ન મળે.આ આરોપના જવાબમાં ભાજપના નેતા જયેશ રાદડિયાએ 6 જૂને જણાવ્યું હતું કે, “ખાતરનો કોઇ પ્રશ્ન જ નથી” અને કિરીટ પટેલના ઉમેદવારીની જાહેરાત પહેલા જ વિસાવદર-ભેંસાણમાં 700 ટન ખાતર પહોંચાડવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, “ખાતર માટે કિરીટને નહીં, મને કહો, હું પહોંચાડી દઈશ.”

અગાઉ, 5 જૂને AAPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે અનેક આક્ષેપો કર્યા, જેમાં મગફળીકાંડ, એફિડેવિટમાં માલમત્તાની વિગતો છુપાવવી, અને પત્નીને શંકાસ્પદ લોન આપવી જેવા મુદ્દાઓ હતા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે માત્ર એક વર્ષમાં કિરીટ પટેલની આવક રૂ. 34.74 લાખથી વધીને 1.42 કરોડ કેવી રીતે થઈ?

આ પ્રચાર દરમિયાન બંને પક્ષો દ્વારા આક્ષેપ-પ્રતિક્ષેપો ચરમસીમાએ પહોંચતા ચૂંટણીનો તાપમાન વધુ વધ્યું છે.

error: Content is protected !!