

વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેન નિકોલસ પૂરને મંગળવાર, 10 જૂન 2025ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી. આ નિર્ણયથી બધા હેરાન છે, કારણ કે તેની ઉંમર માત્ર 29 વર્ષ છે. તેણે એક ભાવુક નોટ શેર કરતા તેની જાણકારી આપી. નિકોલસ પૂરને કહ્યું કે, ‘તેણે સંન્યાસ લેવા અગાઉ ખૂબ વિચાર્યું, ચિંતન કર્યું અને પછી ભારે મન સાથે આ નિર્ણય પર પહોંચ્યો કે હવે સમય આવી ગયો છે.’

તેણે લખ્યું કે, ‘આ રમત, જેને આપણે પ્રેમ કરીએ છીએ તેણે અમને ખૂબ ખુશી આપી છે અને આપતી રહેશે. ક્યારેય ભૂલાય નહીં તેવી યાદો અને વેસ્ટ ઈન્ડીઝના લોકોનું પ્રતિનિધિત્વ કરવાની તક. મરૂણ રંગ પહેરવો, રાષ્ટ્રગાન માટે ઉભા રહેવું અને દરેક વખત મેદાન પર પગ રાખતા જ પોતાનું 100 ટકા આપવું. મારા માટે તેનો શું અર્થ છે, તેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરવું મારા માટે હંમેશાં સન્માનની વાત રહેશે.
પૂરને પોતાના ફેન્સ માટે લખ્યું કે, ‘તમારા અતૂટ પ્રેમ બદલ આભાર. તમે મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો અને સારી પળોને ફેશન સાથે સેલિબ્રેટ કરી.’ પોતાના પરિવાર, મિત્રો અને સાથી ખેલાડીઓ માટે તેણે લખ્યું કે, ‘આ સફરમાં મારી સાથે ચાલવા માટે આભાર. તમારા વિશ્વાસ અને સમર્થને મને આ સફરમાં આગળ વધાર્યો. જો કે મારા કરિયરનો આ આંતરરાષ્ટ્રીય અધ્યાય બંધ થઈ ગયો છે, પરંતુ વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ માટે મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. હું ટીમની સફળતા સિવાય કંઈ ઇચ્છતો નથી.’

https://www.instagram.com/p/DKsZCNgRUzQ/?utm_source=ig_embed&ig_rid=d1172ca2-abd3-4254-b14c-8cddb0042987
પૂરને વર્ષ 2016માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, તેના 3 વર્ષ બાદ વર્ષ 2019માં તેણે વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું. તે વેસ્ટ ઈન્ડીઝ માટે ક્યારેય ટેસ્ટ રમ્યો નથી. તેના આંતરરાષ્ટ્રીય કરિયરમાં પૂરને 61 વન-ડે અને 106 T20 મેચ રમી હતી, જેમાં તેણે ક્રમશઃ 1983 અને 2275 રન બનાવ્યા. વન-ડે કરિયરમાં પૂરને 3 સદી અને 11 અડધી સદી ફટકારી, જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે 13 અડધી સદી છે. 19 ડિસેમ્બર 2024ના રોજ બાંગ્લાદેશ સામેની T20 મેચ પૂરનની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સાબિત થઈ.