

રાજા રઘુવંશીના લગ્ન થોડા દિવસ પહેલા જ થયા હતા. પ્રેમમાં વિશ્વાસ હતો, આત્મીયતા હતી, પરંતુ એક વિચિત્ર અંતર પણ હતું. જે તેની પત્ની સોનમે પોતે જ બનાવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનમે લગ્ન પછી રાજાને સ્પષ્ટપણે કહ્યું હતું કે, જ્યાં સુધી તે બંને કામાખ્યા દેવીના દર્શન ન કરે ત્યાં સુધી તે તેની નજીક નહીં આવે. લગ્ન પછી સોનમે રાજાને સ્પર્શ પણ નહોતો કરવા દીધો. રાજાએ તેની પત્નીના દરેક શબ્દને શ્રદ્ધા અને આદરનો વિષય માનતો રહ્યો, તે તેની આ વાત સાથે પણ સંમત થયો.
સોનમે તેના પિયરમાં રહીને રાજાની હત્યાનો આખો પ્લાન બનાવ્યો હતો. 15 મેના રોજ, તે તેના પિયર ગઈ અને ત્યાં રહીને ગુવાહાટીની ટિકિટ બુક કરાવી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનમ તેના પ્રેમી રાજ કુશવાહ સાથે ફોન પર સતત સંપર્કમાં હતી. સોનમ અને રાજે સાથે મળીને એક યોજના બનાવી હતી કે રાજાને મેઘાલય લઈ જવામાં આવે અને ત્યાંજ તેને હંમેશને માટે દૂર કરી દેવામાં આવે.

ક્રાઈમ બ્રાન્ચને મળેલા ઇનપુટ્સ અનુસાર, સોનમે રાજ કુશવાહાને કહ્યું હતું કે, જો તેના મિત્રો વિશાલ, આનંદ અને આકાશ રાજાને મારી ન શકે, તો તે પોતે રાજાને ફોટો પાડવાના બહાને પહાડ પરથી ખાઈમાં ધકેલી દેશે. એટલું જ નહીં, જો કાવતરું ખુલ્લું પડી જાય, તો તેઓએ નેપાળ ભાગી જવાની પણ યોજના બનાવી હતી.
સોનમે રાજાને કામાખ્યા મંદિરમાં લઈ ગયા પછી મેઘાલય જવાનું સૂચન કર્યું. રાજાને પર્વતો પસંદ નહોતા, પરંતુ તે તેની પત્નીના આગ્રહ પર ગયો. સોનમે માત્ર સ્થળ જ નક્કી ન કર્યું, પરંતુ મુસાફરી યોજનાથી લઈને રહેવાની વ્યવસ્થા સુધીની બધી વ્યવસ્થા પણ જાતે જ કરી. ઇન્દોર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનમે લગ્નના એક અઠવાડિયામાં રાજાને મારી નાખવાનો સંપૂર્ણ પ્લાન તૈયાર કર્યો હતો. જ્યારે મેઘાલય પોલીસે ઇન્દોરમાં ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરી, ત્યારે ઇન્દોર પોલીસે કેટલાક ઇનપુટ્સ શેર કર્યા અને દાવો કર્યો કે સોનમે પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે તેણે કોઈપણ ભોગે રાજાને મારી નાખવો પડશે.

23 મેના રોજ, રાજા અને સોનમ મેઘાલયના નોંગરીહાટ ગામ નજીક પહોંચ્યા. સોનમના કહેવાથી રાજાને એક નિર્જન રસ્તા પર લઈ જવામાં આવ્યો. ત્યાં જ ત્રણ આરોપીઓ વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મીએ તેના પર હુમલો કર્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, રાજાના માથા પર બે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો, એક આગળથી અને એક પાછળથી.
હત્યા પછી સોનમ ગુમ થઈ ગઈ હતી. પરંતુ હવે એવું બહાર આવ્યું છે કે, તે 25 થી 27 મે દરમિયાન ઈન્દોરના દેવાસ નાકા વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં છુપાઈ હતી. મંગળવારે પોલીસે એમ પણ કહ્યું કે, હત્યામાં સંડોવાયેલા આરોપી વિશાલના ઘરેથી તેના લોહીથી ખરડાયેલા કપડાં મળી આવ્યા છે, જેને હવે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.
ઈન્દોરથી ધરપકડ કરાયેલા ચાર આરોપી રાજ કુશવાહા, વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મીને મેઘાલય પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર શિલોંગ લઈ ગઈ છે. જ્યારે ચારેયને એરપોર્ટ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે એક મુસાફરે આરોપીઓમાંથી એકને થપ્પડ મારી દીધી. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

રાજ કુશવાહા સોનમના પિતાના ફર્નિચર શોરૂમમાં એકાઉન્ટન્ટ હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે સોનમના પ્રેમમાં હતો અને તેના કહેવાથી હત્યાના કાવતરામાં જોડાયો હતો. જોકે, રાજની માતા અને બહેને મીડિયા સામે આવીને દાવો કર્યો હતો કે, રાજ અને સોનમ વચ્ચે ફક્ત માલિક-નોકરનો સંબંધ હતો. વાયરલ થયેલા એક વીડિયોમાં, રાજ રાજાના અંતિમ સંસ્કાર દરમિયાન સોનમના પિતાને ગળે લગાવીને રડતો પણ જોવા મળ્યો હતો.
રાજાની માતા ઉમા રઘુવંશી કહે છે કે, જો સોનમ કોઈ બીજા સાથે પ્રેમમાં હતી, તો તેણે તેની સાથે લગ્ન કેમ કર્યા? તેણે મારા પુત્રને કેમ માર્યો? જ્યારે, રાજાના પિતા અશોક રઘુવંશીએ આ હત્યાના ગુનેગારોને માટે મૃત્યુદંડની માંગ કરી છે.