
8.jpg?w=1110&ssl=1)
અમરેલી જિલ્લામાં દીપડાની વધતી વસ્તી અને તેના હુમલાઓએ લોકોને ભયભીત બનાવી દીધા છે. તાજેતરમાં વાંકીયામાં એક યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો અને ધારીમાં અગાઉ ઘાયલ થયેલા યુવકનું મોત થયું હતું. દીપડાના વધતા ખતરાના કારણે લોકો રાત્રે ઘરની બહાર જવાનું તો શું, ઊંઘવું પણ ટાળી રહ્યા છે. બાબાપુર, વાંકીયા અને તરવડા ગામમાં સૌથી વધુ દીપડાનો ત્રાસ છે.
બાબાપુરના કનુભાઈ સોજીત્રાએ જણાવ્યું કે, વાડીઓમાં મજૂરો પણ આવતા નથી અને બાળકોને લઈ ચિંતા વધી છે. મનુભાઈ ચાવડાએ જણાવ્યું કે તેમનો શ્વાન દીપડો ઉઠાવી ગયો હતો અને વન વિભાગ નિષ્ક્રિય છે. મીડિયા સાથે વાત કરતા પોલાભાઈ ભરવાડે કહ્યું કે, રાત્રે ફડકો થાય છે અને શ્વાસ અદ્ધર રહે છે.
21.jpg?w=1110&ssl=1)
તરવડાના જીજ્ઞેશભાઈ પટોળીયાએ જણાવ્યુ કે મજૂરોની સુરક્ષા માટે જાળી લગાવ્યા છતાં મજૂરો કામ પર આવતા નથી. નાનુભાઈ લાખાણીએ જણાવ્યું કે મજૂર પર હુમલો થાય તો તંત્ર તેમને જ જવાબદાર ઠેરવે છે. શામજીભાઈ લાખાણીએ જણાવ્યું કે ખેડૂતોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વાંકીયામાં સોમવારે યુવક પર દીપડાના હુમલાની ઘટના ઘટી હતી. સરપંચ નયનાબેન દાતેવાડિયાએ જણાવ્યું કે ત્રણ મહિનાથી રજૂઆત કરવા છતાં વન વિભાગ કોઈ પગલાં લેતું નથી. અમિતભાઈ રાદડીયાએ કહ્યું કે ચારથી પાંચ દીપડાઓ છે અને વન વિભાગ કાર્યવાહી કરતો નથી.
31.jpg?w=1110&ssl=1)
પહેલી ઘટના (06/03/2025):
સાવરકુંડલા તાલુકાના ખાલપર ગામની સીમમાં એક વ્યક્તિ પર સિંહે હુમલો કર્યો હોવાનો બનાવ નોંધાયો હતો. ઘટનાસ્થળેથી સિંહના સગડ મળી આવ્યા હતા અને મૃતકની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વ્યક્તિ પર સિંહે હુમલો કર્યો હતો, છતાં વનવિભાગે આ કેસને “શંકાસ્પદ મોત” તરીકે નોંધ્યો છે. ઘટનાની આજે સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
બીજી ઘટના:
લાઠી તાલુકાના લુવારીયા ગામની સીમમાં વિસેક દિવસ પહેલા સિંહે એક વ્યક્તિ પર હુમલો કરીને તેને ઘાતક ઇજાઓ પહોચાડતા મૃત્યુ થયું હતું. મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો હતો. મૃતકના પરિવારજનો દ્વારા એમએલસીમાં સ્પષ્ટ રીતે સિંહ દ્વારા હુમલાની નોંધણી કરાવવામાં આવી હતી, પરંતુ વનવિભાગે આ ઘટનાને પણ “શંકાસ્પદ મોત” તરીકે નોંધ્યું હતું.
ત્રીજી ઘટના:
ધારીના શેઢાપરા વિસ્તારમાં બે દિવસ અગાઉ ઘરની બહાર સુતેલા યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન 10/06/2025ના રોજ અવસાન થયું હતું. ઘટના અંગે યુવકના પુત્રએ ધારી પોલીસ સ્ટેશનમાં જણાવ્યું છે કે તેના પિતાના મોત માટે દીપડો જવાબદાર છે અને એડી નોંધાઈ છે. જોકે, ધારી ગીર પૂર્વ ડીસીએફ વિકાસ યાદવે આ ઘટનાને પણ “શંકાસ્પદ મોત” ગણાવ્યું છે અને જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ બાદ સાચી માહિતી મળી શકે.
ત્રણ માસમાં ત્રણ શંકાસ્પદ મોત થયાં છે, જેમાં ખાલપર, લુવારીયા અને શેઢાપરા ગામની ઘટનાઓ છે. વન વિભાગ આ મોતને ‘શંકાસ્પદ’ કહીને જવાબદારીથી દૂર રહે છે.
ઘટનાઓ બાદ વન વિભાગની કામગીરી સીમિત રહી છે. ગ્રામજનો સતત ભયના માહોલમાં જીવી રહ્યા છે અને સરકાર અને વન વિભાગ પાસે કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે.