
હિંમતનગર સિવિલમાં કોરોનાના કેસ વધ્યા
૨૦ દિવસમાં ૪૦ સેમ્પલમાંથી ૧૭ પોઝિટિવ, ત્રણ મહિલા દર્દીઓ હોમ આઈસોલેશનમાં
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં વધારો થઈ રહયો છે ત્યારે ર૦ દિવસમાં હિંમતનગર સિવિલ સત્તાવાળાઓ દ્વારા કોરોનાના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરાઈ છે ત્યારે આ ર૦ દિવસના સમયગાળામાં અંદાજે ૪૦ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા હતા. જે પૈકી ૧૭ પોઝિટિવ આવ્યા છે અને ત્રણ મહિલાઓને સલામતીના ભાગરૂપે હોમઆઈસોલેશન કરી દેવાય છે.
આ અંગે હિંમતનગર સિવિલના ઈન્ચાર્જ આરએમઓ ડૉ. વિપુલ જાનીના દાવા મુજબ ગત તા.૨૬ મે ૨૦૨૫થી કોરોનાના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેના ભાગરૂપે ૨૦ દિવસમાં લેવાયેલા ૪૦ સેમ્પલમાંથી ૧૭ કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૨૩ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તાજેતરમાં ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પ્રાંતિજના ગ્રીનપાર્ક સોસાયટીની ૨૨ વર્ષીય મહિલા, તલોદના વાવડી ગામની ૧૯ વર્ષીય મહિલા અને હિંમતનગરની ઉમિયા વિજય સોસાયટીની ૩૬ વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. દરમ્યાન હિંમતનગર સિવિલના ત્રણ સ્ટાફ સભ્યોના કોરોના રીપોર્ટ નેગેટિવ આવતા તેઓ ફરીથી ફરજ પર હાજર થયા છે.