

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં મળેલી હાર બાદ પૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ જોનસને દિગ્ગજ બોલર જોશ હેઝલવુડ પર જોરદાર નિશાનો સાધ્યો છે. જોનસને કહ્યું કે, હેઝલવુડનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અગાઉ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને પસંદ કરવાનું આશ્ચર્યજનક હતું. હેઝલવુડે આ વર્ષે IPL વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) માટે શાનદાર પ્રદર્શન કરતા 22 વિકેટ લીધી હતી અને ફાઇનલમાં પ્રિયાંશ આર્યની મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. IPL સ્થગિત થયા બાદ તે ફરીથી ટીમમાં જોડાઈ ગયો હતો, જ્યારે કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ભારત પાછા ફરવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, જોશ હેઝલવુડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં માત્ર 2 જ વિકેટ લઈ શક્યો અને ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકા સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો.

જોનસને શું કહ્યું?
જોનસને કહ્યું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોથી હેઝલવુડની ફિટનેસ પર સવાલ ઉઠતા રહ્યા છે અને IPLમાં પાછા ફરવાનો નિર્ણય તેની રાષ્ટ્રીય ટીમની તૈયારી પર અસર નાખે છે. તેણે પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન અને હેઝલવુડ જેવા સીનિયર ખેલાડીઓની વિચારસરણી પર પણ સવાલ ઉઠાવ્યા. તેણે કહ્યું કે જો આ દિગ્ગજ ખેલાડીઓ માત્ર એશેજ માટે ટીમમાં છે, તો આ યોગ્ય વિચારસરણી નથી. ભવિષ્યના ખેલાડીઓને અવસર આપવા જરૂરી છે

જોનસને સેમ કોન્સ્ટાસ, જોશ ઇંગ્લિસ અને સ્કોટ બોલેન્ડ જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાની હિમાયત કરી. તેણે કહ્યું કે, આ ખેલાડીઓ દરેક વખતે પોતાને સાબિત કરવા માટે તૈયાર છે. ઉંમર ભલે ગમે તે હોય, જો જુસ્સો હોય તો અવસર મળવા જોઈએ. ઓસ્ટ્રેલિયાનો આગામી પ્રવાસ વેસ્ટ ઇન્ડીઝનો છે. જોનસનના મતે, ટીમમાં બદલાવ અને નવી પ્રતિભાઓને અવસર આપવાનો આ યોગ્ય સમય છે. તેણે વધુમાં કહ્યું કે કોન્સ્ટાસ વેસ્ટ ઇન્ડીઝની પીચો પર સારું પ્રદર્શન કરી શકે છે, ખાસ કરીને જો ઉસ્માન ખ્વાજા જેવા અનુભવી ખેલાડી તેની સાથે હોય.