

સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યૂનલ (CAT)એ 4 જૂને બેંગલુરુમાં થયેલી અફરાતફરી માટે ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને જવાબદાર ઠેરવી છે. ટીમે પોલીસની મંજૂરી વિના સોશિયલ મીડિયા પર અચાનક વિક્ટ્રી પરેડની જાહેરાત કરી દીધી હતી, જેથી લાખોની ભીડ ભેગી થઈ ગઈ. આ અફરાતફરીમાં 11 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઇજાગ્રસ્ત થયા હતા.
ટ્રિબ્યૂનલે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે, ‘એટલે પ્રથમ દૃષ્ટિએ એવું પ્રતીત થાય છે કે લગભગ 3-5 લાખ લોકોની ભીડ એકત્રિત થવા માટે RCB જવાબદાર છે. RCBએ પોલીસ પાસેથી યોગ્ય મંજૂરી કે સહમતિ લીધી નહોતી. અચાનક સોશિયલ મીડિયા પર માહિતી પોસ્ટ કરવામાં આવી હતી અને તેના પરિણામે લોકો એકત્ર થયા હતા.’ ટ્રિબ્યૂનલે RCB દ્વારા કાર્યક્રમની અચાનક જાહેરાતને ‘અવ્યવસ્થા ફેલાવનારી’ ગણાવી હતી. આદેશમાં કહેવામાં આવ્યું કે, ‘RCBએ કોઈપણ પૂર્વ મંજૂરી વિના આ પ્રકારની અવ્યવસ્થા ઉત્પન્ન કરી. એવી અપેક્ષા રાખી શકાય નહીં કે માત્ર 12 કલાકમાં પોલીસ પોલીસ બધી આવશ્યક વ્યવસ્થાઓ પોલીસ અધિનિયમ કે અન્ય નિયમો અનુસાર કરી શકશે.’

RCBએ પોતાની પહેલી IPL જીતના આગામી દિવસે એટલે કે 4 જૂને એક વિક્ટ્રી પરેડનું આયોજન કરવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. પોલીસની ભૂમિકાનો બચાવ કરતા ટ્રિબ્યૂનલે કહ્યું કે, ‘પોલીસકર્મીઓ પણ માણસો છે. તેઓ ન તો ભગવાન છે, ન તો જાદુગર, અને તેમની પાસે ‘અલાદ્દીનના ચિરાગ’ જેવું કોઈ જાદુઈ યંત્ર નથી જે આંગળી ફેરવીને કોઈપણ ઇચ્છા પૂરી કરી શકે.’ ટ્રિબ્યૂનલે એમ પણ કહ્યું કે પોલીસને યોગ્ય તૈયારીઓ માટે પૂરતો સમય આપવામાં આવ્યો નહોતો. 4 જૂન 2025ના રોજ સમયના અભાવે પોલીસ જરૂરી વ્યવસ્થા ન કરી શકી. પોલીસને પૂરતો સમય ન મળ્યો.’

આ ટિપ્પણી બેંગ્લોરના એક પોલીસ અધિકારી દ્વારા પોતાના સસ્પેન્શન સામે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 3 અને 4 જૂનની રાત્રે મોટી સંખ્યામાં લોકો પહેલાથી જ ઉપસ્થિત હતા, જેમને સંભાળવામાં પોલીસ વ્યસ્ત હતી. સાથે જ, રાજ્ય સરકાર દ્વારા વિધાન સૌધામાં અન્ય એક કાર્યક્રમ પણ ચાલી રહ્યો હતો, જેનાથી પોલીસ દળ પર વધુ દબાણ આવ્યું. ટ્રિબ્યૂનલે તારણ કાઢ્યું કે પોલીસને આવી ભીડને નિયંત્રિત કરવા અને જરૂરી વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય અને પૂર્વ માહિતી મળવી જોઇએ, જે આ કેસમાં આપવામાં આવી નહોતી.