

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહિલાએ જણાવ્યું છે કે, તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ જોયો હતો જેમાં એક ડોક્ટરે સોજો અને સાંધાના દુખાવાને દૂર કરવા માટે હળદરની ગોળીઓ લેવાની સલાહ આપી હતી. ત્યારપછી તેણે પણ દરરોજ હળદરની ગોળીઓ લેવાનું શરૂ કર્યું.
અમેરિકામાં રહેતી કેટી મોહન નામની આ મહિલાએ મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘મને સમજાતું નહોતું કે શું થયું છે. મેં એ પણ જોયું કે દરરોજ ઘણું પાણી પીવા છતાં, મારા પેશાબનો રંગ ઘેરો થઈ રહ્યો હતો. શરૂઆતમાં મને લાગ્યું કે હળદરની ગોળીઓનો આ સાથે કોઈ સંબંધ નથી. પરંતુ મેં પછીથી સમાચાર વાંચ્યા. જેમાં આ ગોળીઓથી લીવરને થતા નુકસાન વિશે કહેવામાં આવ્યું હતું.’

ત્યાર પછી મહિલાને સારવાર માટે ન્યુ જર્સી શહેર લઈ જવામાં આવી. જ્યાં જાણવા મળ્યું કે મહિલામાં લીવર એન્ઝાઇમનું સ્તર સામાન્ય કરતા 60 ગણું વધારે છે. ડોક્ટરો કહે છે કે આ ખૂબ જ ગંભીર બાબત હતી. જો આ થોડા વધુ દિવસો સુધી ચાલુ રહ્યું હોત, તો તે લીવર ફેલ્યોર તરફ દોરી ગયું હોત. હાલમાં, કેટી મોહનની ન્યુ યોર્ક સિટીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
લીવર એન્ઝાઇમ્સ એ લીવરમાં જોવા મળતા પ્રોટીન છે, જે રાસાયણિક પ્રતિક્રિયાઓને ઝડપી બનાવવામાં મદદ કરે છે. પરંતુ જો તે વધુ પડતું હોય તો તે નુકસાન પણ કરી શકે છે.

હળદરને કાચા સ્વરૂપમાં ખોરાકમાં ઉમેરવામાં આવે તો તે સલામત છે. એવું કહેવાય છે કે તેની માત્રા એક વ્યક્તિ માટે દરરોજ દોઢથી ત્રણ ગ્રામથી વધુ ન હોવી જોઈએ. જે લગભગ અડધાથી એક ચમચી જેટલી છે.
જ્યારે, 500થી 2000 મિલિગ્રામ ‘કર્ક્યુમિન’ સપ્લિમેન્ટ સામાન્ય પુખ્ત વયના લોકો માટે દરરોજ સલામત માનવામાં આવે છે. કર્ક્યુમિન એક એવું સંયોજન છે, જે હળદરને તેનો રંગ આપે છે. હળદરના કેપ્સ્યુલ્સ અથવા ગોળીઓમાં કર્ક્યુમિનની માત્રા વધુ હોય છે. તેથી, તે પીસેલી હળદર કરતાં વધુ અસરકારક છે.

ડૉ. પુનીત સિંગલાએ મીડિયા સૂત્રો સાથે વાત કરતા હળદરની માત્રા વિશે ચેતવણી આપી છે. તેઓ ફરીદાબાદના મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર ટ્રાન્સપ્લાન્ટ એન્ડ HPB સર્જરીના પ્રોગ્રામ ક્લિનિકલ ડિરેક્ટર છે. ડૉ. પુનીત કહે છે, ‘જો હળદર વધુ પડતી લેવામાં આવે તો તે લીવર પર અસર કરી શકે છે. દરેક વ્યક્તિની પાચન ક્ષમતા અલગ અલગ હોય છે. કેટલાક લોકોમાં વધુ ક્ષમતા હોઈ શકે છે. પરંતુ હજુ પણ વધુ પડતી હળદર લેવી સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે.’
WHO સાથે સંકળાયેલી એક સંસ્થા અનુસાર, વિવિધ સપ્લિમેન્ટ્સને કારણે લીવરને નુકસાન થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. 2004થી અત્યાર સુધી 1,800થી વધુ લીવરના દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 19 ટકા કેસ સપ્લિમેન્ટ્સ સાથે સંબંધિત છે.