

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ મરાઠી ભાષા અને મહારાષ્ટ્ર વિરુદ્ધ ‘વાંધાજનક’ ટિપ્પણી કરવા બદલ જાહેરમાં રિક્ષાચાલકને માર માર્યો હતો અને તેની પાસેથી માફી મંગાવી હતી.

થોડા દિવસો પહેલા, વિરાર સ્ટેશન એરિયામાં મરાઠી ભાષાને લઈને એક રિક્ષા ચાલક અને ટુ-વ્હીલર સવાર વચ્ચે ઝઘડો થયો હતો. રિક્ષા ચાલક યુવકને ધમકી આપતો અને મરાઠી ભાષામાં બોલવા બદલ તેનો વિરોધ કરતો જોવા મળ્યો હતો. રિક્ષા ચાલકે યુવકને ધમકી પણ આપી હતી અને તેને ભોજપુરી અને હિન્દી બોલવા માટે દબાણ પણ કર્યું હતું.
વાયરલ વીડિયો અનુસાર, આ ઘટના વિરાર રેલ્વે સ્ટેશન નજીક એક ભીડભાડવાળા રસ્તા પર બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ડ્રાઇવર, જે બહારથી આવેલો છે, તેણે કથિત રીતે મરાઠી ભાષા, મહારાષ્ટ્ર રાજ્ય અને મરાઠી સંસ્કૃતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. એવો દાવો કરવામાં આવે છે કે, આનો એક અલગ વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે સ્થાનિક રાજકીય સંગઠનો અને લોકોમાં રોષ ફેલાયો હતો.

શનિવારે, મહિલાઓ સહિત એક જૂથે ઓટો ડ્રાઇવરને થપ્પડ મારી અને તેને એક યુવક અને તેની બહેનની જાહેરમાં માફી માંગવા દબાણ કર્યું, જેમની સાથે તેણે કથિત રીતે દુર્વ્યવહાર કર્યો હતો. આ ઉપરાંત, તેને મહારાષ્ટ્ર અને તેની સંસ્કૃતિનું ‘અપમાન’ કરવા બદલ જાહેરમાં માફી માંગવા માટે પણ કહેવામાં આવ્યું હતું
શિવસેના (UBT) વિરાર શહેરના વડા ઉદય જાધવે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું, ‘જો કોઈ મરાઠી ભાષા, મહારાષ્ટ્ર અથવા મરાઠી લોકોનું અપમાન કરશે, તો તેને શિવસેનાની રીતે જવાબ મળશે. અમે ચૂપ નહીં બેસીએ.’ તેમણે કહ્યું કે, ડ્રાઇવરે મહારાષ્ટ્ર અને મરાઠી માનુષ વિરુદ્ધ બોલવાની ‘હિંમત’ બતાવી હતી, તેથી તેને ‘પાઠ શીખવવામાં આવ્યો’ અને તેને લોકોની માફી માંગવા કહેવામાં આવ્યું.

પોલીસે કહ્યું કે તેઓ વિડિઓથી વાકેફ છે, પરંતુ આ મામલે અત્યાર સુધી કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. આ કારણે હજુ સુધી કોઈની સામે કેસ નોંધાયેલ નથી.