

પશ્ચિમ બંગાળ વન વિભાગને કોલકાતા પ્રાણી સંગ્રહાલયની વાર્ષિક યાદીમાં કથિત વિસંગતતાનો તપાસ રિપોર્ટ મળ્યો છે અને વિભાગ તારણોનું વિશ્લેષણ કરી રહ્યો છે. આ યાદીમાં નોંધાયેલા પ્રાણીઓની સંખ્યા 672ની જગ્યાએ 321 હતી. તેનાથી સવાલ ઊભા થાય છે કે બાકીના પ્રાણીઓ ક્યાં ગયા? એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી. મામલો સામે આવ્યા બાદ અન્ય ઘટનાક્રમમાં, પ્રાણી સંગ્રહાલયના ડિરેક્ટર અરુણ મુખર્જીની દાર્જિલિંગ હિલ્સ સ્થિત પદ્મજા નાયડુ હિમાલયન ઝૂ લોજિકલ પાર્કમાં બદલી કરી દેવામાં આવી છે. જોકે, અધિકારીઓએ દાવો કર્યો કે- આ બદલી નિયમિત હતી.

તમને જણાવી દઈએ કે, ગયા મહિને વન વિભાગે વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન કોલકાતાના 149 વર્ષ જૂના અલીપુર ઝૂ લોજિકલ ગાર્ડનની પ્રાણીઓની યાદીના રિપોર્ટમાં એક મોટી વિસંગતતા અંગે મીડિયા રિપોર્ટ્સની તપાસનો આદેશ આપ્યો હતો. મુખ્ય વન્યજીવન વોર્ડન એસ. સુંદરિયાલે એજન્સીને જણાવ્યું હતું કે, ‘અમને રિપોર્ટ મળી ગયો છે, જેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. અમે તમને યોગ્ય સમયે તારણો બાબતે જાણ કરીશું. આ એક સત્તાવાર પ્રક્રિયા છે. અમે પારદર્શિતા જાળવી રહ્યા છીએ.’
તેમણે જણાવ્યું હતું કે, ટમુખર્જીની બદલી 1 ઓગસ્ટના રોજ રાજ્ય વન વિભાગના આદેશ બાદ કોલકાતાથી દાર્જિલિંગ કરવામાં આવી હતી. કોલકાતા પ્રાણી સંગ્રહાલયમાં 2023-24ના અંતિમ સ્ટોકમાં 672 પ્રાણીઓ નોંધાયેલા હતા, જ્યારે 2024-25ના શરૂઆતી સ્ટોકમાં માત્ર 321 પ્રાણીઓ હતા. આ પ્રકારે 321 પ્રાણી રાતોરાત ગાયબ થઈ ગયા. આ ઘટના બાદ ગયા અઠવાડિયે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)ની એક ટીમે પણ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી.

જ્યારે સુંદરિયાલને પૂછવામાં આવ્યું કે, શું મુખર્જીની બદલી પ્રાણીઓની વાર્ષિક યાદીમાં વિસંગતતા સાથે જોડાયેલી છે, ત્યારે તેમણે કહ્યું કે, ‘તેમના સિવાય ઘણા અન્ય IFS અધિકારીઓની નિયમિત ફેરબદલના ભાગ રૂપે બદલી કરવામાં આવી હતી. તેનાથી વધુ કંઈ નહીં કહી શકાય.’ વરિષ્ઠ IFS અધિકારી તૃપ્તિ સાહે મુખર્જીની જગ્યાએ અલીપુર પ્રાણી સંગ્રહાલયના નવા પૂર્ણ-કાલિન ડિરેક્ટરનો કાર્યભાર સાંભળી લીધો છે.
