
મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં પન્હાલા તાલુકાના કોડોલી ગામમાં, એક દસ વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું. આ ઘટના પછી પરિવારના સભ્યોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આખા ગામમાં શોકનું મોજું છવાઈ ગયું છે.
હકીકતમાં, આ ઘટના ત્યારે બની જ્યારે દસ વર્ષનો શ્રવણ અજીત ગાવડે ઘરની નજીક ગણપતિ મંડળના મંડપમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. રમતી વખતે, શ્રવણને થોડી ગભરામણનો અનુભવ થવા લાગ્યો. ડર અને બેચેનીમાં તે ઘર તરફ દોડી ગયો. ઘરે પહોંચ્યા પછી, બાળક તેની માતાના ખોળામાં સૂઈ ગયો. થોડીવારમાં, તેનું તેની માતાના ખોળામાં જ મૃત્યુ થયું. પરિવારનું કહેવું છે કે, બાળકનું ગંભીર હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.

આ સમય દરમિયાન, પરિવાર બાળકને હોસ્પિટલ લઈ ગયો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. શ્રવણનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. આ દુ:ખદ ઘટનાથી કોડોલી અને આસપાસના વિસ્તારોમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. આ સમાચારથી પડોશીઓ અને ગ્રામજનો આઘાતમાં પડી ગયા છે. માસૂમ બાળકના અચાનક મૃત્યુથી દરેક વ્યક્તિ દુઃખી છે.

અજિત ગાવડે કોલ્હાપુર જિલ્લાના પન્હાલા તાલુકાના કોડોલી ગામના વૈભવ નગરમાં પોતાના પરિવાર સાથે રહે છે. અજિત ગાવડેનો દસ વર્ષનો પુત્ર શ્રવણ ગણપતિ મંડળના મંડપમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. રમતી વખતે તેની તબિયત અચાનક બગડવા લાગી. ગભરામણ અનુભવતા બાળક દોડીને ઘરે ગયો અને તેની માતા પાસે આવ્યો અને કહ્યું કે, મારી તબિયત સારી નથી. આ પછી, થોડીવારમાં, બાળક તેની માતાના ખોળામાં જ મૃત્યુ પામ્યો.

શ્રવણના અચાનક મૃત્યુથી પરિવારના સભ્યોમાં ગભરાટ ફેલાઈ ગયો. અજિત ગાવડેને બે બાળકો હતા. એક પુત્ર અને એક પુત્રી. તેમની પુત્રીનું ચાર વર્ષ પહેલા અવસાન થયું. હવે તેમના એકમાત્ર પુત્ર શ્રવણના મૃત્યુથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
શ્રવણના કાકા ગજાનન ગાવડેએ જણાવ્યું કે, શ્રવણ ખૂબ જ રમતિયાળ અને મિલનસાર બાળક હતો. બધા તેનાથી ખુશ રહેતા હતા. તેનું આટલું જલ્દી જવું અમારા બધા માટે ખૂબ જ દુઃખદ છે. ગામના લોકો કહે છે કે, શ્રવણ હંમેશા રમતગમતમાં આગળ રહેતો હતો. હવે તેનું હાસ્ય અને માસૂમિયત બધાની યાદોમાં જ સમાયેલી રહેશે.