
સુરતમાં આ દિવસોમાં નવરાત્રિ ગરબા કાર્યક્રમોને લઈને વિવાદ ઉભો થયો છે. આ દરમિયાન એક ગરબાનો કાર્યક્રમ લગભગ એક કલાક માટે બંધ રહ્યો હતો જ્યારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના સભ્યો મુંબઈ સ્થિત એક મ્યૂઝિક બેન્ડના ઢોલ વગાડનારા 3 મુસ્લિમ યુવકોની ઉપસ્થિતિ સામે વાંધો ઉઠાવવા પહોંચ્યા હતા. આ સતત બીજી વખત છે જ્યારે દક્ષિણપંથી જૂથોએ કથિત રીતે મુસ્લિમ સંગીતકારોની હાજરીને કારણે સુરતમાં ગોલ્ડન નવરાત્રિ કાર્યક્રમને નિશાનો બનાવ્યો છે. જોકે, કાર્યક્રમના આયોજકોએ માફી માગી અને આગામી વર્ષે કાર્યક્રમ માટે મુસ્લિમ સંગીતકારોને ન બોલાવવાનું આશ્વાસન આપ્યું. ત્યારબાદ ત્રણ ઢોલ વાદકોને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

સુરત શહેરના વેસુ વિસ્તારમાં સોમવારે રાત્રે આ ઘટના બની હતી. ધવલ મુંજાણી અને પ્રિન્સ પટે સુવર્ણ નવરાત્રિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બજરંગ દળ અને VHPના સેકડો સ્વયંસેવકો અને નેતાઓ સ્થળ પર એકઠા થયા હતા. પરિસ્થિતિ વધુ વણસી જતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. દક્ષિણપંથી નેતાઓ પંડાલમાં પ્રવેશ્યા, ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર પહોંચ્યા અને મુસ્લિમ ઢોલવાદકોની હાજરી અંગે આયોજકોને જાણ કરી, જેનો આયોજકો ધવલ અને પ્રિન્સે સ્વીકાર કર્યો. જેના કારણે દક્ષિણપંથી નેતાઓ અને કાર્યક્રમ આયોજકો વચ્ચે ઉગ્ર બહેસ થઈ. જોકે, આયોજકોએ આખરે માફી માગી અને આશ્વાસન આપ્યું કે તેઓ આગામી વર્ષે એ સુનિશ્ચિત કરશે મુસ્લિમ ઢોલવાદકોને આવા કાર્યક્રમોમાં બોલાવવામાં નહીં આવે.
ઢોલ વાદકોએ પણ માફી માગી અને આશ્વાસન આપ્યું કે તેઓ આવતા વર્ષથી નહીં આવે. ત્યારબાદ, દક્ષિણપંથી નેતાઓ ઘટનાસ્થળેથી ચાલ્યા ગયા. દક્ષિણપંથી નેતાઓએ આ માફી તેમના મોબાઇલ ફોન પર રેકોર્ડ કરી અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી.
આયોજક ધવલ મુંજાણીએ કહ્યું કે, ‘અમે એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છીએ. અમે આખા વર્ષ દરમિયાન સુરતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. મુંબઈના એક મ્યુઝિકલ બેન્ડ સાથે અમારો વાર્ષિક કરાર છે. કેટલાક કલાકારો મુસ્લિમ છે અને કેટલાક હિન્દુ છે. અમે છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ. આ કલાકારો છેલ્લા બે વર્ષથી આ કાર્યક્રમો માટે સુરત આવી રહ્યા છે. જોકે, દક્ષિણપંથી નેતાઓએ કેટલાક ઢોલવાદકોની હાજરી સામે વાંધો ઉઠાવ્યા બાદ અમે માફી માગી અને આશ્વાસન આપ્યું કે આગામી વર્ષથી એ સુનિશ્ચિત કરીશું કે સુરતમાં કોઈપણ નવરાત્રિ કાર્યક્રમમાં કોઈ મુસ્લિમ કલાકારોને લાવવામાં ન આવે.

સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે જ્યારે દક્ષિણપંથી નેતાઓ નવરાત્રિ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા ત્યારે પોલીસની એક ટીમ હાજર હતી. દક્ષિણપંથી નેતાઓ અને કાર્યક્રમ આયોજકો વચ્ચે શાંતિપૂર્ણ ચર્ચા થઈ હતી, ત્યારબાદ મામલો ઉકેલાઈ ગયો અને કાર્યક્રમ ચાલુ રહ્યો. કોઈની સાથે દુર્વ્યવહાર કે મારામારી થઈ નથી. અમને આ મામલે કોઈ ફરિયાદ મળી નથી. અમે ઇચ્છીએ છીએ કે સુરતમાં નવરાત્રિ કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે યોજાય. કોઈપણ ખલેલ વિના. અમે ફરજ પરની પોલીસને સૂચના આપી છે કે ચાલી રહેલા નવરાત્રિ કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા માગતા બદમાશો પર નજર રાખવામાં આવે.
આ દરમિયાન બજરંગ દળના દક્ષિણ ગુજરાત પ્રાંત પ્રચારક નિલેશ અકબરીએ જણાવ્યું હતું કે, ‘ગયા વર્ષે, સુરતમાં સુવર્ણ નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન લગભગ 10 કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું હતું. અમે તેમને તે સમયે ચાલુ રાખવાની મંજૂરી આપી હતી, કારણ કે તે તેમની પહેલી ભૂલ હતી. આ વર્ષે પણ અમને માહિતી મળી હતી કે કાર્યક્રમના આયોજકો મુંબઈથી મુસ્લિમ ઢોલવાદકોને લાવ્યા છે અને કાર્યક્રમમાં પર્ફોર્મ કરી રહ્યા હતા. અમે ત્યાં ગયા અને પોલીસ અધિકારીઓની હાજરીમાં, કાર્યક્રમના આયોજકોએ માફી માગી અને અમને આશ્વાસન આપ્યું કે આવતા વર્ષે આવું નહીં થાય.’
