
સાયબર ગુનેગારોની ચાલાકીએ ફરી એકવાર સાબિત કરી દીધું કે, ડિજિટલ દુનિયામાં સાવધાન રહેવું કેટલું મહત્વનું છે. કર્ણાટકના ચિક્કબલ્લાપુરના BJP સાંસદ અને ભૂતપૂર્વ મંત્રી ડૉ. K. સુધાકરના પત્ની ડૉ. પ્રીતિ સુધાકર ‘ડિજિટલ એરેસ્ટ’ કૌભાંડનો ભોગ બન્યા. કૌભાંડીઓએ તેમની પાસેથી રૂ. 14 લાખની છેતરપિંડી કરી. કેસની જાણ થતાં જ બેંગલુરુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. એક અઠવાડિયા પછી, પોલીસે કૌભાંડીઓ પાસેથી પુરેપુરા રૂ. 14 લાખની રકમ વસૂલ કરી.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, 26 ઓગસ્ટના રોજ 44 વર્ષીય પ્રીતિને કૌભાંડીઓએ લલચાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મુંબઈના સાયબર ક્રાઇમ અધિકારીઓ તરીકે ઓળખાતા કૌભાંડીઓએ તેમને વોટ્સએપ વીડિયો કોલ કર્યો હતો. તેઓએ દાવો કર્યો હતો કે પ્રીતિનું બેંક એકાઉન્ટ ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય વ્યવહારો સાથે જોડાયેલું હતું. કૌભાંડીઓએ તેમને ચેતવણી આપી હતી કે, જો તેણે પૈસા વેરિફાઇડ એકાઉન્ટમાં ટ્રાન્સફર નહીં કર્યા તો તેમની ધરપકડ કરવામાં આવશે.
ફોન કરીને છેતરપિંડી કરનારાઓએ પ્રીતિને ખાતરી આપી હતી કે, RBIના નિયમો મુજબ તેના પૈસા 45 મિનિટમાં પરત કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, ધરપકડના ડરથી, પ્રીતિએ તેના HDFC બેંક ખાતામાંથી રૂ. 14 લાખ એક અજાણ્યા યસ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા. તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણ થતાં જ, તે વેસ્ટ ડિવિઝન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગઈ. તાત્કાલિક કાર્યવાહી કરતા, પોલીસે સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ હેલ્પલાઈન 1930 પર કેસ નોંધ્યો. જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે ખાતાને ફ્રીઝ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ અનુસાર, 3 સપ્ટેમ્બરના રોજ, 47મી ACJM કોર્ટે યસ બેંકને ફ્રીઝ કરેલા પૈસા પરત કરવાનો આદેશ આપ્યો હતો. એક અઠવાડિયામાં પ્રીતિના બેંક ખાતામાં સંપૂર્ણ રકમ પરત કરવામાં આવી હતી. આ કેસમાં FIR નોંધવામાં આવી છે, અને આરોપીઓની શોધ ચાલુ છે. ડેપ્યુટી કમિશનર (પશ્ચિમ) ગિરીશ S અને આસિસ્ટન્ટ કમિશનર (પશ્ચિમ) ઉમારાની S દ્વારા આ કાર્યવાહીનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. બેંગલુરુ પોલીસે જનતાને વિનંતી કરી છે કે, આવી પરિસ્થિતિઓમાં તાત્કાલિક કાર્યવાહી કરે અને વિલંબ કર્યા વિના 1930 હેલ્પલાઈન પર ફોન કરીને ફરિયાદ નોંધાવે, જેથી પૈસાની વસૂલાતની શક્યતા વધી જાય.
