
બેંક ચેક ક્લિયર થવામાં થતા ઘણા સમયની સમસ્યા હવે સમાપ્ત થવાની તૈયારીમાં છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે મુજબ, 4 ઓક્ટોબર, 2025ના રોજ જમા કરાવેલો ચેક તે જ દિવસે ક્લિયર થશે. આનો અર્થ એ છે કે તમે ચેક જમા કરાવો તે જ દિવસે તમારા ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. પહેલાં, ચેક ક્લિયર થવામાં 1-2 દિવસ લાગતા હતા, પરંતુ હવે પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે.

નવી સિસ્ટમ અનુસાર, ચેક ક્લિયરિંગ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે: તબક્કો 1: 4 ઓક્ટોબર, 2025થી 3 જાન્યુઆરી, 2026; તબક્કો 2: 3 જાન્યુઆરી, 2026 ત્યાર પછીનો.
એક જ પ્રેઝન્ટેશન સત્ર હશે. ચેક સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બેંકમાં રજૂ કરવાના રહેશે. બેંક ચેકની ઇમેજ ક્લિયરિંગ હાઉસને મોકલશે, ત્યાર પછી તેને ચુકવણી કરતી બેંકને ફોરવર્ડ કરવામાં આવશે. ત્યારપછી બેંક સવારે 10 થી સાંજે 7 વાગ્યાની વચ્ચે ચેકનું પોઝિટિવ કે નેગેટિવ કન્ફર્મેશન આપશે. દરેક ચેકમાં ‘આઇટમ એક્સપાયરી ટાઈમ’ હશે જેના દ્વારા કન્ફર્મેશન જરૂરી રહેશે.

RBIએ ગ્રાહકોને સુરક્ષા વધારવા માટે પોઝિટિવ પે સિસ્ટમ અપનાવવાની સલાહ આપી છે. આ માટે બેંકને ડિપોઝિટ કરતા પહેલા ચેકમાં મુખ્ય વિગતો પૂરી પાડવી જરૂરી છે. આમાં શામેલ છે: એકાઉન્ટ નંબર, ચેક નંબર, તારીખ, રકમ અને લાભાર્થીનું નામ.

ખાસ કરીને આ માહિતી જરૂરી છે, રૂ. 50000થી વધુના ચેક માટે, જે ઓછામાં ઓછા 24 કાર્યકારી કલાકો અગાઉ આપવી જરૂરી છે. જો વિગતો સાચી જણાય, તો ચેક તરત જ ક્લિયર કરવામાં આવશે; અન્યથા, બેંક તેને અસ્વીકાર કરી દેશે.

ગ્રાહક સલાહ: ચેક જમા કરાવતી વખતે ખાતામાં પૂરતું બેલેન્સ રાખો, બધી વિગતો યોગ્ય રીતે અને સાચી ભરો, પોઝિટિવ પે સિસ્ટમનું પાલન કરો. આ નવી સિસ્ટમ ચેક પેમેન્ટને ઝડપી, સરળ અને સુરક્ષિત બનાવશે.
આ નવા નિયમો વર્તમાન સિસ્ટમ કરતાં કેટલા સુવિધાયુક્ત છે, ચાલો તે જોઈ લઈએ…: હાલમાં, ચેક ક્લિયર થવામાં 1-2 કાર્યકારી દિવસો લાગે છે. ફંડ થોડા કલાકોમાં ખાતાઓ સુધી પહોંચી શકે છે. દેશભરમાં ક્લિયરિંગ ગતિ સુસંગત રહેશે. ચેક સ્ટેટસ ટ્રેકિંગ સરળ અને વધુ પારદર્શક બનશે. આ બેંકો માટે સેટલમેન્ટ જોખમ પણ ઘટાડશે અને એકંદર કાર્યક્ષમતામાં વધારો કરશે.

ગ્રાહકો માટે આ નિયમ કેવી રીતે સુવિધાયુક્ત બનશે?: પૈસા ઝડપથી મળશે. બિઝનેસ માટે ઝડપી ચુકવણી શક્ય બનશે. સમગ્ર ભારતમાં એક સરખી ક્લિયરિંગ સ્પીડથી કામ થશે. તમારા ચેકના સ્ટેટસને તમે આસાનીથી ટ્રેક કરી શકશો. આ માટે ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફેરફાર દરમિયાન મુશ્કેલીમુક્ત પ્રક્રિયા માટે તેમની બેંક સાથે અપડેટ રહે.
આ નવા નિયમો RBIના ત્રણ ક્લિયરિંગ ગ્રીડ- દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈને લાગુ પડશે, જે સમગ્ર દેશ હેઠળની બધી બેંકોને આવરી લે છે.
