
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ચીફ સિલેક્ટર અજીત અગરકર હવે ટીમ સિલેક્શનને લઈને ખૂલીને સામે આવી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં, તેઓ ત્રણ વખત એક-બીજા પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. તેની શરૂઆત 25 સપ્ટેમ્બરથી થઈ હતી, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ સીરિઝમાં શમીને તક મળી નહોતી. ત્યારે પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકરે જણાવ્યું હતું કે, શમી બાબતે અત્યારે કોઈ નવી માહિતી નથી. જોકે, તેણે તાજેતરમાં વધુ ક્રિકેટ રમી નથી અને તેણે વધુ મેચ રમવાની જરૂર છે. એટલે કે અગરકરે સ્પષ્ટપણે કહી દીધું હતું કે તેને શમીની ફિટનેસ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
અગરકરના નિવેદનના લગભગ 2 અઠવાડિયા બાદ 14 ઓક્ટોબરના રોજ શમીએ તેની ફિટનેસને લગતી અફવાઓ પર પૂર્વવિરમ મૂકતા ટીમ મેનેજમેન્ટ પર જોરદાર કટાક્ષ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વન-ડે અને T20 ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યા બાદ શમીએ કહ્યું હતું કે, તે પૂરી રીતે મેચ-ફિટ છે અને કોઈપણ ફોર્મેટમાં રમવા માટે તૈયાર છે.
શમીએ કહ્યું કે, ફિટનેસ અંગે ટીમ મેનેજમેન્ટ સાથે કોઈ વાતચીત થઈ નથી. તેણે સ્પષ્ટતા કરી કે, જો તે 4 દિવસની રણજી ટ્રોફી મેચ રમી શકે છે, તો તે 50 ઓવરની ક્રિકેટ રમવા માટે પણ સક્ષમ છે. શમીએ કહ્યું કે, ‘ભારતીય ટીમે મારી ફિટનેસ બાબતે સાથે વાત કરી નથી. હું એ વ્યક્તિ નથી, જે પોતે જઈને પોતાની ફિટનેસની જાણ કરું. જો હું ચાર દિવસની ક્રિકેટ રમી શકું છું, તો હું 50 ઓવરની ક્રિકેટ કેમ ન રમી શકું? જો હું ફિટ ન હોત, તો હું NCAમાં હોત, રણજી ટ્રોફી ન રમી રહ્યો હોત.’

મોહમ્મદ શમીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા અગરકરે તાજેતરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો તે ફિટ હોત, તો તે ટીમમાં હોત. જો તે મને આવું કહે છે, તો હું કદાચ જવાબ આપીશ. મને સારી રીતે ખબર નથી કે તેણે સોશિયલ મીડિયા પર શું કહ્યું. જો હું તે વાંચું છું, તો હું તેને ફોન કરી દઉં, પરંતુ મારો ફોન હંમેશાં બધા ખેલાડીઓ માટે ચાલુ રહે છે. છેલ્લા કેટલાક મહિનામાં મારી તેની સાથે ઘણી વખત વાતચિત થઈ છે.’
અગરકરે કહ્યું કે તે ભારત માટે એક અવિશ્વાસનીય પ્રદર્શન કરનારો ખેલડી રહ્યો છે. જો તેણે કંઈ કહ્યું હોય, તો કદાચ તે વાતચીત મારે તેની સાથે વાતચીત કરવાની છે અથવા તેણે મારી સાથે વાત કરવી જોઈએ. પરંતુ જો તે ફિટ હોત, તો તે વિમાનમાં હોત. કમનસીબે, તે ફિટ નહોતો. શમી લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે તેની પસંદગી કરવામાં આવી નથી, જ્યાં ભારતીય ટીમ ત્રણ મેચની વન-ડે અને પાંચ મેચની T20 સીરિઝ રમશે.
