7.jpg?w=1110&ssl=1)
અમદાવાદની જ્યોતિ હોસ્પિટલના કાંડ વિષે તમે બધા તો જાણતા જ હશો, અહી વિવિધ વિસ્તારોમાં કેમ્પ કરીને ખોટી સારવારના નામે PMJAYના પૈસા ખંખેરી લેવાનો મામલો આવ્યો હતો. હવે જામનગરમાં પણ ખ્યાતિ હોસ્પિટલ જેવો મામલો સામે આવ્યો છે. આરોગ્ય વિભાગની તપાસમાં આરોગ્ય વિભાગની તપાસમાં જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 262 કેસમાંથી 53માં જરૂરિયાત વિના કાર્ડિયાક પ્રોસીજર કરવાનો અને 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ આચરવાનું સામે આવ્યું છે.

આ મામલે જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે અને ડૉ. પાર્શ્વ વોરા (G-28538)ને પણ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યૂલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 6 લાખ રૂપિયાથી વધુનો દંડ પણ ફટકારાયો છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટે કેટલાક કેસમાં લેબોરેટરી અને ECG રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસીજરની જરૂર હોવાનું બતાવાયું હતું. રાજ્યકક્ષાએ થયેલી તપાસમાં કુલ 262 કેસમાંથી 53 કેસમાં વિસંગતા મળી આવી હતી, જેમાં જરૂરિયાત ન હોવા છતાં પણ કાર્ડિયાક પ્રોસીજર કરાઈ હતી.

શાંતિભાઈ નંદાએ જણાવ્યું કે અમે અમારા ભાઈ નવીનભાઈ જેરામભાઈ નંદાને 23 સપ્ટેમ્બરે JCC હોસ્પિટલમાં વોરા સાહેબને બતાવવા આવ્યા હતા. મોટાભાઈ બાઇક લઇને અહી આવ્યા હતા. અમે પાછળથી આવ્યા ત્યારે અમને પણ એન્જિયોપ્લાસ્ટી કરવાનું અને સ્ટેન્ટ બેસાડવાનું કહ્યું હતું અને કાર્ડમાં હતું. બધામાં અમને સહી કરાવી એન્જિયોગ્રાફી કરી. એન્જિયોગ્રાફી દરમિયાન ભાઈનું મોત થઈ ગયું. અમને આ મામલે ન્યાય જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જરૂર પડશે તો હું ફરિયાદ કરવા આગળ આવીશ.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, PMJAYમાં યોજના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે. વધુમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં રાજ્યની બે ખાનગી હોસ્પિટલોને દંડ કરીને તાકીદ કરવામાં આવી હતી. આ હોસ્પિટલો પૈકી પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડૉક્ટર સિવાયના ડૉક્ટર દ્વારા સર્જરી કરવામાં આવતા અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત કરેલ પેકેજ કરતા વધુ રૂપિયાની લાલચે અન્ય પેકેજ બુક કરવા બદલ 50-50 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

રાજ્ય આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, સરકારી આરોગ્ય યોજનાઓમાં પારદર્શિતા અને જનહિત માટે ગેરરીતિ કરનાર કોઈપણ હોસ્પિટલ કે ડૉક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. તો JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. કે.એચ. મારકણાએ જણાવ્યું કે અમને ડૉ. પાશ્વ વોરાએ આવી કોઈ ક્યારેય જાણ કરી નહોતી. અમે પણ તપાસ કરી હતી, વારંવાર પૂછવા છતા સાહેબે ક્યારેય કહ્યું નથી કે આપણે ગેરરીતિ કરીએ છીએ. આ બધુ કાર્ય અમને અંધારામાં રાખીને, જાણ બહાર કરવામાં આવ્યુ છે. અમને જ્યારથી જાણ થઈ ત્યારથી અમે તેમને ફરજમુક્ત કર્યા છે. આ કડક કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપે છે કે સરકારી આરોગ્ય યોજનાઓનો દુરુપયોગ કરનારી હોસ્પિટલો સામે રાજ્ય સરકારની સતર્કતા ચાલુ રહેશે.

