fbpx

પ્રશાંત કિશોરની પાર્ટી વોટ કાપનાર પણ ન બની શકી, શું તેઓ રાજનીતિમાંથી ‘સંન્યાસ’ લઇને આપેલું વચન પાળશે?

Spread the love

પ્રશાંત કિશોરની પાર્ટી વોટ કાપનાર પણ ન બની શકી, શું તેઓ રાજનીતિમાંથી 'સંન્યાસ' લઇને આપેલું વચન પાળશે?

બિહાર વિધાનસભા ચૂંટણીના આ વખતે જે પરિણામો આવ્યા છે તેને જોતા પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટી (JSP)ની આશાઓ ઠગારી નીવડી છે. શરૂઆતના વલણો અનુસાર, JSP એક પણ બેઠક જીતી શકી નથી, જ્યારે એક્ઝિટ પોલમાં 0-5 બેઠકોની જીતની આગાહી કરવામાં આવી હતી. સૌથી ખાસ વાત એ રહી હતી કે, પ્રશાંત કિશોરના જે ઉમેદવારો સૌથી મજબૂત દેખાતા હતા તેઓ પણ કોઈને ટક્કર આપતા દેખાય નહીં. એવી અપેક્ષા હતી કે વિધાનસભા પેટાચૂંટણીમાં 10 ટકાથી વધુ મત મેળવનારા પ્રશાંત કિશોર ઓછામાં ઓછા વોટ કાપનાર તરીકે તો બહાર આવશે જ. પરંતુ એવું પણ બન્યું નહીં.

જન સૂરાજની સભાઓમાં પ્રશાંત કિશોરને સાંભળવા માટે ઉમટી પડેલી ભીડ પુષ્ટિ કરતી હતી કે તેઓ NDA અને મહાગઠબંધન બંનેને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ પરિણામો જોતા એવું લાગે છે કે પ્રશાંત કિશોરે કોઈ નક્કર તૈયારીઓ જ નહોતી કરી, પરંતુ ફક્ત હવામાં જ બધી વાતો કરતા હતા. હવે સવાલ એ ઊભો થાય છે, શું તેઓ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચનો પાળશે?

Mahagathbandhan-Tejashwi Pran

ચૂંટણી પ્રચાર દરમિયાન, પ્રશાંત કિશોરે એક રાષ્ટ્રીય TV પત્રકારને દાવો કર્યો હતો કે, જનતા દળ યુનાઇટેડ (JDU) આ વિધાનસભા ચૂંટણીમાં 25થી વધુ બેઠકો જીતી શકશે નહીં. તેમણે પોતાની વાતને જોર આપતા કહ્યું કે, જો આવું નહીં થાય, તો તેઓ રાજકારણમાંથી સન્યાસ લઇ લેશે. જ્યારે પત્રકારે તેમને ફરીથી પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું, ‘આ રેકોર્ડિંગ કરી રાખ જો. જો મારો પક્ષ સત્તામાં આવે તો પણ, જો JDU 25થી વધુ બેઠકો જીતે છે, તો હું સન્યાસ લઇ લઈશ.’

આનો મતલબ સ્પષ્ટ હતો કે તેઓ તેમના શબ્દોમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા હતા. જોકે, રાજકારણમાં આવી વાતો તો થતી રહે છે. બિહારના DyCM સમ્રાટ ચૌધરીએ એકવાર આવું જ વચન આપ્યું હતું, અને તે વચન પૂર્ણ કર્યું છે. તેથી, પ્રશાંત કિશોર પર આ વાતનું દબાણ ચોક્કસ રહેશે. થોડા દિવસો પહેલા, પ્રશાંત કિશોરે એક નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ આગામી પાંચ વર્ષ સુધી લોકો માટે લડશે. પરંતુ તે પહેલાં, કિશોરે ચોક્કસપણે વિચાર કરવો જોઈએ કે, તેમને આટલી કારમી હારનો સામનો કેમ કરવો પડ્યો.

Prashant Kishore

જનસુરાજની નિષ્ફળતાનું સૌથી મોટું કારણ પ્રશાંત કિશોર દ્વારા તેજસ્વી યાદવને પડકાર આપ્યા પછી તેમનું પીછેહઠ કરવાનું હતું. આ ઘટના પછી, જનતા તેમને એક વ્યવસાયી વ્યક્તિ તરીકે સમજવા લાગી. ‘બિહારમાં નવો સુરજ લાવવાનો દાવો કરનારા’ કિશોરે પોતાને વૈકલ્પિક નેતા તરીકે સ્થાપિત કરવાની સુવર્ણ તક ગુમાવી દીધી. 9 ઓક્ટોબરના રોજ એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું, ‘પંડિતે કહ્યું કે 51 નંબર શુભ છે, હું રાઘોપુરથી ચૂંટણી લડી શકું છું.’ આ પડકાર તેજસ્વીના ‘ભાઈભતીજાવાદ’ અને ‘પોકળ વચનો’ (જેમ કે દરેક ઘર માટે રોજગાર) પર નિર્દેશિત હતો. કિશોરે જાહેર કર્યું, ‘તેજસ્વીની હાલત રાહુલ ગાંધી જેવી થશે, હું તેમના ગઢમાં ચૂંટણી લડીશ.’ જો આ ચૂંટણી થઈ હોત, તો પ્રશાંત કિશોરની બિહારમાં એ જ રીતે ચર્ચા થઈ હોત જે રીતે અરવિંદ કેજરીવાલ 2014માં વારાણસીથી PM નરેન્દ્ર મોદી સામે ઉમેદવારી જાહેર કરીને પ્રખ્યાત થયા હતા.

તેમણે PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા કેન્દ્રીય નેતાઓને સીધા નિશાન બનાવવાનું ટાળ્યું. લોકો કિશોરને BJPની B-ટીમ તરીકે કામ કરતા જોવા લાગ્યા હતા, કારણ કે દરેક વિપક્ષી નેતા PM નરેન્દ્ર મોદી અને શાહ વિરુદ્ધ ઝેર ઓકતા હતા. પ્રશાંત કિશોરે અરવિંદ કેજરીવાલના નેતૃત્વને અનુસરવું જોઈતું હતું અને દરેક સમસ્યા માટે શાહ અને PM નરેન્દ્ર મોદીને દોષી ઠેરવવા જોઈતા હતા. આ રણનીતિ કંઇક ફાયદાકારક સાબિત થઇ હોતે, પરંતુ બિહારમાં PM નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારના સમર્થનની લહેરને જોતાં, તે કામ ન કરી શકે.

Prashant Kishore

પ્રશાંત કિશોરે BJPના નેતા સમ્રાટ ચૌધરી (DyCM) અને JDU નેતા અશોક ચૌધરી (મંત્રી) સહિત અગ્રણી NDA નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા. જોકે, કિશોરે આ આરોપોને પ્રેસ કોન્ફરન્સ સુધી મર્યાદિત રાખ્યા. તેમણે સકારાત્મક રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જો તેમણે ભ્રષ્ટાચારનો મુદ્દો જનતામાં વિકાસ, શિક્ષણ અને આરોગ્યની ચર્ચા જેટલી તીવ્રતાથી ઉઠાવ્યો હોત, તો કદાચ પરિસ્થિતિ અલગ હોત.

પ્રશાંત કિશોરે કહ્યું કે, તેઓ જાતિને રાજકારણમાં સામેલ નહીં કરે, પરંતુ તેમણે બરાબર તેની વિરુદ્ધ કર્યું. તેમણે ટિકિટ વિતરણમાં જાતિ અને ધર્મના આધારે ઉમેદવારોની પસંદગી કરી. 2022માં JSP શરૂ કરતી વખતે, કિશોરે દાવો કર્યો હતો કે, તેમનો પક્ષ ‘પારદર્શિતા, વિકાસ અને જાતિવિહીન રાજકારણ’નું પ્રતીક બનશે. આ વિરોધાભાસે કિશોરની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા જ નહીં, પરંતુ બિહારના રાજકારણની કઠોર વાસ્તવિકતાને પણ ઉજાગર કરી.

Prashant Kishore

પ્રશાંત કિશોર દારૂબંધીનો વિરોધ કરીને મહિલાઓના દુશ્મન બની ગયા. RJDએ પણ દારૂબંધી પર વચલો માર્ગ અપનાવતા કહ્યું કે, તે સત્તામાં આવ્યા પછી તેની સમીક્ષા કરશે. જોકે, કિશોરે ખુલ્લેઆમ કહ્યું કે તેઓ તેમના સત્તામાં આવ્યા પછી તરત જ પહેલા 24 કલાકમાં આ પ્રતિબંધ ખતમ કરી દેશે. 2016થી અમલમાં મુકાયેલી નીતિશ કુમારની દારૂબંધી નીતિ મહિલાઓની સલામતી અને કૌટુંબિક સુખનું પ્રતીક બની ગઈ છે. જો કે આ સ્પષ્ટ છે કે, કિશોરનો તેનો વિરોધ તેમના માટે રાજકીય રીતે આત્મહત્યા કરનારું પગલું સાબિત થયું. યુવા મતદારોને આકર્ષવાના પ્રયાસમાં, તેમણે બિહારની 50 ટકા મહિલા મતદારોને નારાજ કરી દીધી.

error: Content is protected !!